Mehsana: જીરુની વિદેશમાં નિકાસમાં ઘટાડાથી ખેડૂતો થી લઈ વહેપારીઓ ચિંતામાં, આ કારણે વિદેશમાં વેચાણ મુશ્કેલ બન્યુ
ભારતમાંથી જીરુ (Cumin) દેશ અને વિદેશમાં નિકાસ થાય છે. ભારે માંગ પણ સ્થાનિક જીરુની રહેતી હોય છે પરંતુ આ વખતે ખેડૂતો અને વહેપારીઓ માટે ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે નિકાસમાં ધરખમ ઘટાડો આ એક કારણ થી થયો છે.
ઉંઝા એટલે જીરુ માટે દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ છે. અહીંથી જીરુની નિકાસ વિશ્વભરમાં મોટા પ્રમાણમાં થતી હોય છે. અહીં ના જીરુંની માંગ પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. પરંતુ માંગ પર ગ્રહણ લાગ્યુ છે. તો વળી તેની આડઅસર રુપે ભાવ (Cumin Price) ને પણ અસર પહોંચી રહી છે. ઉંઝા (Unza APAMC) ના બજારની જ વાત કરવામાં આવે તો પ્રતિવર્ષ 50 લાખ રુપિયા જેટલી બોરીની નિકાસ કરવામાં આવે છે. જેના થકી દેશને પણ મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થતુ હોય છે. જોકે હાલમાં ભારતીય જીરુની નિકાસને લઈને ચિંતા વર્તાઈ રહી છે. કારણ કે વિદેશમાં નિકાસ થતા જીરુ પર પેસ્ટિસાઈડનુ કારણ સામે આવ્યુ છે.
ઊંઝાથી નિકાસ થતું 70 ટકા જીરું ચાઈનામાં નિકાસ થાય છે, જોકે છેલ્લા બે વર્ષથી ચીને જીરું ટેસ્ટિંગના પરિમાણમાં ફેરફાર કર્યો છે. જેને લઈને ભારતથી મોકલેલા જીરુંના સેમ્પલ ચાઇનામાં ફેઈલ થઈ રહ્યા છે. આ જ કારણે ચાઇના સાથે જીરુંનો વેપાર અટકી ગયો છે. એટલું જ નહીં જીરુંની નિકાસમાં પણ 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ભારતીય જીરુંનું ચાઇનામાં સૌથી મોટું માર્કેટ છે.
જીરુંની નિકાસમાં થઈ રહેલો ઘટાડો ભારે ચિંતાનો વિષય છે. આ ઘટાડાને લઈને નિકાસકારો પણ મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ ઉત્પાદન ઓછું હોવા છતાં જીરુંના યોગ્ય ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. જીરુના ભાવ ઉપર વિદેશી વેપાર ખૂબ મોટી અસર કરે છે. પરંતુ વિદેશના બજારમાં મોકેલવામાં આવતા જીરુંના સેમ્પલ ફેઈલ થતા ભારતીય જીરુંના ભાવ ઉપર મોટી અસર પડી છે.
કેટલીક જંતુનાશક દવાઓ વિદેશમાં પ્રતિબંધિત છે
આ સ્થિતિને લઈને થોડા સમય પૂર્વે નિકાસકારો દ્વારા ઊંઝા એપીએમસીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. ખેડૂતો આ દિશામાં જાગૃત થાય અને તેને માટે સરકાર પણ યોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમ શરૂ કરે તેવી આ નિકાસકારોએ અપીલ કરી હતી. ખેડૂતો દ્વારા પાક માટે ઉપયોગમાં લેવાતી વિવિધ જંતુનાશક દવાઓ વિદેશમાં પ્રતિબંધિત છે, અને જ્યાં સુધી દવાઓનો ઉપયોગ નહીં ઘટે ત્યાં સુધી આ સ્થિતિમાં સુધાર આવવો લગભગ અશક્ય છે.
મસાલા પાકના વાવેતરમાં રાજસ્થાન અવ્વલ નંબર ઉપર છે. જો કે સૌથી વધુ જીરું પકવતા રાજસ્થાનના ખેડૂત પણ ઊંઝા બજાર ઉપર નિર્ભર છે. આ સંજોગોમાં જો વિદેશી વેપાર નહીં સુધરે તો જીરુંના ભાવમાં પણ સુધારો થવો લગભગ અશક્ય છે. આ જોતાં બધો જ દારોમદાર હવે જીરૂં પકવતા ખેડૂતો પર છે. તેઓ જો જંતુનાશક દવાઓનો ઓછોમાં ઓછો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરતાં થાય તો જ નિકાસની ગાડી પાટા પર ચડે એમ છે.
News Input: Manish Mistry