Mehsana: હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે, જાણો આ કૌભાંડની રજેરજ વિગતો
આ સમગ્ર ઘટનામાં કરોડોના શંકાસ્પદ વ્યવહારની જાણકારી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા EDને કરવામાં આવી છે. ACBની તપાસમાં ખૂલ્યું છે કે વિપુલ ચૌધરીએ 4 બોગસ કંપની મારફતે વિદેશમાં પણ કરોડોના વ્યવહાર કર્યા છે અને આ 4 કંપનીઓ રજિસ્ટર થયા વિનાની છે
મહેસાણાની (Mehsana) દૂધસાગર ડેરીમાં (Doodh Sagar Dairy) ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ તપાસમાં ED (Directorate of Enforcement) પણ જોડાશે આથી વિપુલ ચૌધરી (Vipuul Chaudhri) સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.
આ સમગ્ર ઘટનામાં કરોડોના શંકાસ્પદ વ્યવહારની જાણકારી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા EDને કરવામાં આવી છે. ACBની તપાસમાં ખૂલ્યું છે કે વિપુલ ચૌધરીએ 4 બોગસ કંપની મારફતે વિદેશમાં પણ કરોડોના વ્યવહાર કર્યા છે અને આ 4 કંપનીઓ રજિસ્ટર થયા વિનાની છે તેમજ ખોટા દસ્તાવેજ આપીને આ કંપનીનો ઊભી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં વિપુલ ચૌધરીના અને તેના પરિવારના 22 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તેમજ કરોડો રૂપિયાના બેનામી હિસાબ અને વિદેશમાં કરેલા વ્યવહાર પણ મળી આવ્યા છે.
શું છે ઇડી
દેશભરમાં ક્યાંય પણ રૂ. 1 કરોડથી વધુ રકમની નાણાંકિય ગેરરીતિની FIR થાય એ સાથે EDને તપાસના અધિકાર મળી જાય છે અને આર્થિક ગોટાળાઓની તપાસમાં EDનું કામ કારગત ગણાય છે.
શું છે વિપુલ ચૌધરી સામેનો કેસ
- વિપુલ ચૌધરીએ આચરેલા કૌભાંડમાં સમગ્ર વિગતો 15 સપ્ટેમ્બરના રોજ બહાર આવી હતી. તે દિવસે મોડી રાત્રે જરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરમાં આવેલા તેમના ફાર્મ હાઉસ પંચશીલ ખાતેથી એસીબી તથા પોલીસે ધરપકડ કરી હતી.
- તે સમયે ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી અને મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.
- વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના (Dudh sagar dairy) ચેરમેન પદ સમયે 320 કરોડની નાણાંકીય ગેરરીતિઓ આચર્યાનો આરોપ છે. વિપુલ ચૌધરીના પર્સનલ સીએ શૈલેષ પરીખની (Sailesh parikh) પણ ધરપકડ કરવામાં આવી હતી.
- વિપુલ ચૌધરી સામે મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગેરરીતિના કેસમાં વિપુલ ચૌધરીના પુત્ર અને પત્ની વિરૂદ્ધ પણ એસીબીએ ફરિયાદ નોંધી છે. રાજ્ય સરકારે કેસની કાર્યવાહી માટે વિજય બારોટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી છે.
- વિપુલ ચૌધરી સામે થયેલી કાર્યવાહી મુદ્દે ACBના જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી, તેના પત્ની, પુત્ર અને CA સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. દૂધ સાગર ડેરીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ સત્તાનો દુરુપયોગ કરી આશરે રૂપિયા 750 કરોડથી વધુ રકમની ઉચાપત (Scam) કરતા એસીબી એ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
- 2005 થી 2016 સુધી ગેરરીતિ આચરવામાં આવી હતી.આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ કરોડોના કૌભાંડ કર્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી, તેમાં સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ આચરી હતી.
- વિપુલ ચૌધરીએ કરોડોના બાંધકામ કરાવ્યા હતા, જે બાંધકામ માટે પણ SOPનું પણ ઉલ્લંઘન કર્યું હતું. તેમણે ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો અને ડેરીમાં ભ્રષ્ટાચાર કરીને વિપુલ ચૌધરીએ 31 કંપની ખોલી હતી જેમાં મની લોન્ડરિંગ થયું હોવાનું સામે આવ્યુ છે.