Mehsana : મહિલા સ્વ-સહાય જુથોને કેશ ક્રેડિટ અને લોનનુ વિતરણ કરાયું
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ ગરીબીને દૂર કરી શકાય.
ગુજરાતમાં મહેસાણા (Mehsana) દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત રચાયેલ મહિલા સ્વસહાય જુથોને(Self Help Group) કેશ ક્રેડિટના આપવાના બાસણા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ગ્રામીણ ગરીબ પરિવારની મહિલાઓને સમૂહના માધ્યમથી ગરીબીમાંથી બહાર લાવી તેની આજીવિકામાં વધારો થાય તે માટે આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે ઉમેર્યું હતું કે દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ ગરીબીને દૂર કરી શકાય. બીજો ધ્યેય તેમને બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમના આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે.
જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે મહિલા સ્વસહાય જુથો જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તેનું વેચાણ રાષ્ટ્રીય સ્તરે થાય તે માટે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ માટે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવા પણ ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હરીભાઇ પટેલે જણાવ્યું હતું કે આજની મહિલાઓ રોજગાર મેળવે છે અને રોજગાર આપે પણ છે. દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાનો લાભ દેશના દરેક ખૂણે પહોચાડવાનો છે.. દેશ અને સમાજના વિકાસ માટે મહિલા આગળ વધે એ જરૂરી છે.તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓને સશક્ત બનાવવા ગુજરાત સરકાર એ કામ કર્યા છે. આપણે સૌને જાગૃત કરી અન્ય મહિલાઓને પણ રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવી પડશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વી.એમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં 11,250 સખી મંડળોમાં 1.25 લાખ જેટલી મહિલાઓ કાર્યરત છે.સખી મંડળોનો વિકાસ થાય તે માટે સરકાર રીવોલ્વીગ ફંડ લહિત અનેક પ્રકારની સહાય અને માર્ગદર્શન આપે છે.તેમણે સખી મંડળો અને મહિલાઓને લગતી યોજનાઓથી વાકેફ કર્યા હતા.
આ પ્રસંગે બેન્કના ઉપસ્થિત અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સખીઓને સન્માનીત કરવામાં આવી હતી. આ ઉપરાતં આ યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બેન્ક મેનેજરનું સ્વાગત સન્માન કરાયું હતુ. કાર્યક્રમમાં સ્વ સહાય જુથોને કેશ ક્રેડીટ તેમજ લોનનુ વિતરણ સ્ટેજ પરથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડના રણજીત રંજન,ગ્રામિણ બેન્કના નટવરસિંહ વાધેલા સહિત બેન્ક અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
(With Input, Manish Mistri , Mehsana)