Mehsana: ધરોઈ ડેમના 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવાયા, ડેમમાં હાલ પાણીનો સંગ્રહિત જથ્થો 96.01 ટકા
મહેસાણા ( Mehsana) જિલ્લાના ધરોઈ ડેમમાં (Dharoi Dam) પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે. ડેમના 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં મેઘમહેર ચોમાસાના (Monsoon 2022) અંતિમ ચરણમાં પણ યથાવત જોવા મળી રહી છે. ગુજરાતના (Gujarat) અનેક જિલ્લામાં હજુ પણ મેઘરાજાનો હેત વરસી રહ્યો છે. જેના પગલે અનેક નદી-નાળા છલકાયા છે. ગુજરાતના ડેમોમાં પણ પાણીનો સારો એવો જથ્થો એકત્ર થઇ ગયો છે. મહેસાણા ( Mehsana) જિલ્લાના ધરોઈ ડેમમાં (Dharoi Dam) પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે જળ સ્તર જાળવી રાખવા ડેમના 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. પાણીની આવક 18378 ક્યુસેક થતા 2 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી કુલ 18378 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ પાણીનો સંગ્રહિત જથ્થો 96.08 ટકા થયો છે. તો ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ સામે 621 ફૂટ જળ સપાટી જાળવી રખાઈ છે.
ધરોઈ ડેમમાં પાણીની આવક બમણી
ઉપરવાસમાં વરસાદને લઈ મધ્યરાત્રી ના 3 કલાક બાદ ધરોઈ ડેમમાં પાણીની આવક બમણી નોંધાઈ હતી. 17,670 થી વધીને 32 હજાર ક્યુસેક પહોંચી હતી. જેને લઈ રાત્રીના 3 કલાકે ધરોઈના વધુ 2 દરવાજા ખોલવામા આવ્યા હતા. આમ સાબરમતી નદીમાં 32 હજાર ક્યુસેક પાણી મધ્યરાત્રી દરમિયાન છોડવામાં આવ્યુ હતુ. જેનાથી સાબરમતી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થયો હતો. ગુરુવાર સાંજ સુધીમાં અમદાવાદમાં જે પાણીનો પ્રવાહ સાબરમતી નદીમાં કેટલેક અંશે વધેલો જોવા મળી શકે છે.
જોકે સવારે 9 વાગ્યાના અરસા દરમિયાન ધરોઈમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. જેને લઈ વધુ 2 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા હતા, જે સવારે બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે દશ કલાકની સ્થિતી મુજબ ધરોઈ ડેમના 2 ગેટ 1.82 મીટર સુધી ખુલ્લા છે. આમ નદીમાં 17,688 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. હાલ ડેમની સંપૂર્ણ સપાટી 189.59 મીટર છે અને હાલ જળ સપાટી 189.28 મીટર છે અને હાલમાં ડેમ 96.01 ટકા જેટલો ભરાયેલો છે.
સરદાર સરોવર ડેમ છલોછલ
તો આ સિઝનમાં સરદાર સરોવર ડેમ (Narmada dam) પ્રથમ વખત છલોછલ થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા. હાલ નર્મદા ડેમમાં 1.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને કુલ 1.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં (narmada river) છોડવામાં આવ્યું છે. મહત્વનુું છે કે નર્મદા ડેમ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ વર્ષે ડેમ છલોછલ થવાથી ગુજરાતમાં જળસકંટની સમસ્યા ઓછી જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૈારાષ્ટ્રના (saurashtra) દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના (South gujarat) કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (heavy rain) થવાની સંભાવના છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.