Mahisagar: સંતરામપુરમાં ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા, નિવૃત્ત તલાટીના ઘરમાંથી 120 ગ્રામ સોના અને 1 કિલો ચાંદીની ચોરી
સંતરામપુર (Santrampur) ના રામપુર વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. જે પૈકી એક મકાનમાંથી જ 12 તોલા સોના અને એકાદ કિલો અંદાજે ચાંદીના ઘરેણાં અને સિક્કાની તસ્કરોએ ચોરી કરી હતી.
મહિસાગર (Mahisagar) જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે. આસપાસના જિલ્લાઓમાં તસ્કરોના ત્રાસ દરમિયાન હવે મહિસાગર જિલ્લામાં પણ તસ્કરોનો ત્રાસ લોકોને પરેશાન કરી રહ્યો છે. સંતરામપુર તાલુકાના રામપુર ગામમાં નિવૃત્ત તલાટીના ઘરમાં તસ્કરોએ ત્રાટકતા 1.96 લાખ રુપિયાની મત્તાના સોના ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરી ગયા છે. પરિવાર ધાબા અને પહેલા માળે સૂઈ રહેલ હતા એ દરમિયાન તસ્કરોએ ઘરના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી. તેમજ પાડોશના બીજા બે મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરી કરી હતી. ઘટનાને લઈ સંતરામપુર પોલીસ (Santrampur Police) સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
2016માં તલાટી કમ મંત્રીની ફરજમાંથી નિવૃત્ત થયેલા નારાયણભાઈ પરાગભાઈ વણકર પોતાના વતન સંતરામપુરના રામપુર ગામમાં રહે છે. જ્યાં તેઓ પોતાના ઘરના ઘાબા પર સુતેલા હતા અને તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરના પ્રથમ માળના રુમમાં સુતેલ હતો. એ દરમિયાન રાત્રીના સમયે કોઈ તસ્કર ટોળકી ઘરના દરવાજાના નકૂચાને તાળા સાથે તોડીને ઘરમાં ઘૂસી જઈને ચોરી આચરી હતી. વહેલી સવારે પુત્રવધુ મનિષા પાણી ભરવા માટે નિચેના માળે આવતા ત્યાં ઘરનો સામાન વેરવિખેર જોતા અને ઘરનો દરવાજો ખુલ્લો જોતા સસરા નિવૃત્ત તલાટી નારાયણ ભાઈને બોલાવ્યા હતા. જ્યાં જોતા તસ્કરોએ તિજોરી તોડીને તેમાં રહેલ સોના ચાંદીના દાગીના ચોરી થયેલાનુ જણાયુ હતુ.
શુ શુ ચોરી કરી ગયા ?
નિવૃત તલાટીના મકાનમાંથી ત્રણ તોલાના વજન ધરાવતુ સોનાનુ મંગળસૂત્ર જેની કિંમત અંદાજે 45 હજાર, સોનાનુ બીજુ મંગળસૂત્ર અઢી તોલા વજન, અંદાજીત કિંમત 30 હજાર. સોનાની બંગડી આશરે 4 તોલા વજનની કિંમત 60 હજાર. સોનાનો એક તોલા વજનનો દોરો કિંમત અંદાજે 15 હજાર રુપિયા. દોઢ તોલા વજનની સોનાની બુટ્ટી શેરો સાથે કિંમત 20 હજાર રુપિયા. સોનાની વિંટી કિંમત અંદાજે 2500 રુપિયા. 1500 રુપિયાનુ સોનાનુ પેડન્ટ, ચાંદીના એક જોડ છડાં વજન 500 ગ્રામ કિંમત 10 હજાર રુપિયા. બે જોડ ચાંદીના નાના છડાં કિંમત 8 હજાર રુપિયા. ચાંદીના આંકડા નંગ 2 કિંમત 2 હજાર રુપિયા અને ચાંદિના સિક્કા નંગ 25 કિંમત અંદાજે રુપિયા 2500 ગણીને પોલીસે ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આમ 120 ગ્રામ કરતા વધુ સોનાના ઘરેણાં અને અંદાજે એક કિલોના ચાંદીના ઘરેણાં અને સિક્કાની તસ્કરો ચોરી કરી ગયા છે.
પાડોશના અન્ય બે મકાનમાં પણ ચોરી
નારાયણભાઈ વણકરની પાડોશમાં આવેલા બે મકાનોને પણ તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ પાડોશમાં રહેલા ઝોએબ મુસ્તાક અહેમદ અને ચાવડા દીપક કુમાર હિરાલાલના બંધ મકાનમાંથી પણ ચોરી આચરી હતી. બંને મકાનના તાળા તોડી ઘરમાંથી ઘરેણાં અને અન્ય કિંમતી સામાન અને રોકડ રકમની ચોરી કરી હતી. આમ એક જ રાતમાં ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.