સરકારી આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનુ ભાડુ ચુકવવાનુ બાકી હોઈ, મકાન માલિકે તાળુ લગાવી દીધુ, અધિકારીઓ દોડતા પહોંચ્યા!
સરકારી સામૂૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અહીં શરુ તો કરવામાં આવ્યુ હતુ, પરંતુ સરકારી મકાન નસીબ નથી થઇ શક્યુ. આવી સ્થિતીમાં ભાડાના મકાનમાં આરોગ્ય સેવા શરુ કરવામાં આવી હતી.
મહીસાગર (Mahisagar) જિલ્લામાં સરકારી દવાખાનાને જ તાળુ લગાવી દેવામાં આવ્યુ હતુ સરકારી હોસ્પિટલ (Community Health Centre) ને દર્દીઓને હાલાકી કે પછી સ્થાનિકોનો હોસ્પિટલના સ્ટાફ સાથે અણબન હોવાને લઈને નહીં પરંતુ CHC નુ ભાડું બાકી હોવાને લઈ તાળુ લગાવી દેવામાં આવ્યુ હતુ. જાણીને તમને નવાઈ લાગશે. પણ જે વાંચ્યુ એ કારણ સાચુ જ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંતરામપુર તાલુકાના ગોઠીબમાં ભાડાના મકાનમાં ચાલે છે, જેનુ ભાડું એક બે નહીં પરંતુ સાત માસથી બાકી છે. બાકી ભાડાને લઈ અંતે આરોગ્ય કેન્દ્ર જ્યાં ચાલે છે, તે મકાનના માલિકે તાળુ જ લગાવી દીધુ હતુ. તાળુ લગાવેલા આરોગ્ય કેન્દ્રને લઈ દર્દીઓ પણ અહીં આવીને સ્થિતી જોઈ બહાર બેસી રહ્યા હતા. તો બીજી તરફ આરોગ્ય કેન્દ્રને તાળુ મારેલુ જોઈને તંત્રના અધિકારીઓ પણ દોડતા સ્થળ પર પહોંચ્યા હતા.
વિસ્તારની પ્રજાને અહીં સરકારી આરોગ્યની સેવાતો નસીબ થઈ હતી. પરંતુ આ માટે સરકારી આરોગ્ય કેન્દ્રને એક સરકારી મકાનની કૃપા થવામાં હજુ વાર લાગી છે. જેથી સામૂહિક આરોગ્ય કેન્દ્રને ગોઠીબમાં એક ખાનગી બિલ્ડીંગમાં ચલાવવામાં આવી રહ્યુ છે. વિસ્તારના લોકો આ ખાનગી મકાન સ્થિત આરોગ્યની સેવાઓ પણ મેળવે છે. પરંતુ અચાનક બંધ જોઈને સૌ કોઈને આશ્ચર્ય સર્જાયુ હતુ. કારણ કે આરોગ્ય કેન્દ્રને તાળા લગાવેલા હતા. તાળા લાગવા પાછળ પહેલા તો એમ વિચાર્યુ કે ડોક્ટરો નહીં આવ્યા હોય કે સ્ટાફ નહીં આવ્યો હોય પણ એ પણ સીએચસી કેન્દ્રની આસપાસમાં દોડધામની સ્થિતીમાં જોવા મળ્યો હતો. બાદમાં લોકોને ધીરે ધીરે ત્યારે જાણ થઈ કે અધિકારીઓ મારતે ઘોડે અહીં આવીને તાળા ખોલાવવા માટેની મથામણ કરવા લાગ્યા હતા.
7 માસ થી ભાડા માટે મકાન માલિકને ધક્કા ખવડાવ્યા
મકાનની માલિક ને છેલ્લા સાત માસથી મકાનની ભાડું જ ચુકવવામાં આવતુ નહોતુ. આ માટે મૌખીક અને લેખિત રજૂઆતો પણ અનેકવાર કરવામાં આવી હતી. તેમ છતાં પણ સરકારી તંત્રના બહેરાકાને વળી ઉઘરાણી કેમની સંભળાય. અંતે ભાડાનુ નહીં મળતા અને અધિકારીઓની બહેરાશ અને ગલ્લા તલ્લા જેવી વાતોથી કંટાળ્યા હોય એમ મકાનના માલિકે તાળુ મારવાની નોટીસ ફટકારી હતી. આ નોટીસ આરોગ્ય કેન્દ્રના અધિક્ષકને આપવામાં આવી કે, દીન સાતમાં બાકી ભાડાની રકમ ચુકવી આપવામાં આવે નહીંતર પોતાનુ પ્રોપર્ટીને તાળુ મારી દેવામાં આવશે. જોકે સરકારી અધિકારીઓએ આ વાતને જાણે અવગણી રહ્યા હોય એમ દિવસો પસાર થઈ ગયા. અંતે 7 દિવસ બાદ મકાન માલિકે તાળા મારી દીધા હતા.
જોકે દર્દીઓની હાલાકીની સ્થિતીને જોઈને સ્થાનિક સંતરામપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના કાફલો બંધ આરોગ્ય કેન્દ્ર આગળ ખડકાઈ ગયો હતો. મકાન માલિકને દર્દીઓની હાલાકીને સ્થિતી જોઈ ફરીથી મકાનને ખોલી દેવા માટે સમજાવટની ચર્ચા કરી હતી. જોકે અંતમાં ફરીથી 7 દિવસની મુદત સાથે સમાધાન અધિકારીઓને કરી આપ્યુ હોવાનુ આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. એનએસ પારઘીએ મીડિયાને જણાવ્યુ હતુ. આમ અંતે ફરીથી સરકારી દવાખાનુ શરુ થયુ હતુ અને હાલની સિઝનમાં પરેશાન દર્દીઓને આરોગ્યની સારવાર ફરી શરુ થઈ શકી હતી.