Mahisagar : જિલ્લાના અનેક ગામોમાં વરસાદ, ધરતીપુત્રોમાં ખુશીની લહેર
મહીસાગર(Mahisagar) જિલ્લામાં જનોડ, પીલોદરા,બાલાસિનોરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત લુણાવાડા, વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે
ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. જેમાં મહીસાગર જિલ્લામાં જનોડ, પીલોદરા,બાલાસિનોરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત લુણાવાડા, વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મંગળવારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ તેમજ સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે ભારે વરસાદના પગલે નવા બનેલા રસ્તાઓ ધોવાણનો સીલસીલો યથાવત છે. આ ઉપરાંત મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જેના લીધે ખેડૂતોમાં આનંદ લાગણી જોવા મળી છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ બે દિવસથી વરસાદ
હિંમતનગર અને ભિલોડામાં વરસાદ ઉપરાંત ઉપરવાસ અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વરસાદને પગલે હરણાવ અને હાથમતી નદીમાં નવા નીર નોંધાયા હતા. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહેલી સવારે વહી રહી હતી. જેને લઈ સ્થાનિકો પણ હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉમટ્યા હતા. હાથમતી જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે હરણાવ જળાશયમાં 200 ક્સુસેક પાણીની આવક નોંધાઈ હતી.
આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, આજથી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.