Mahisagar: રૈયોલીમાં રૂ.16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ ફોસીલ પાર્ક – ડાયનાસોર મ્યુઝિયમ ફેઇજ- 2નું લોકાર્પણ
અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો. તે જ રોમાંચ ગુજરાતમાં આ મ્યૂઝિયમમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને નિહાળવા મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આજે મહીસાગર (Mahisagar) જીલ્લાના રૈયોલીમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂ.16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક – ડાયનાસોર મ્યુઝિયમ (Dinosaur Museum) ફેઇજ- 2 ના વિકાસકામોનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. આ તકે મુખ્યંત્રી તથા મહાનુભાવોએ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈ ૫-ડી થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સર્ક્યુલર પ્રોજેકશન, મૂડ લાઈટ, ૩-ડી પ્રોજેકશન મેપિંગ સહિત હોલોગ્રામનું જીણવટ પૂર્વક નિરીક્ષણ કરી નિહાળ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ કરી છે. રૈયોલી ખાતે નિર્માણ પામેલા આ ડાયનાસોર મ્યૂઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસન સ્થળોને ઉજાગર કરવા સાથે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ વિશ્વ કક્ષાના આયોજનો કરી થીમ આધારિત મેળાઓનું આયોજન કરીને રાજ્યના ટુરીઝમને જીવંત કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા રોજગારીના અવસરો ઊભા થયા છે, રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પરિણામે રાજ્યના પ્રવાસન સ્થળોની મૂલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે. મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજે રીલીજીયસ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્પોર્ટ્સ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, બીચ ટુરિઝમ જેવા વિવિધ પ્રવાસન ક્ષેત્રો વિકસ્યા છે.
રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ મેળવી છે એમ જણાવતાં તેમણે કહ્યું કે ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને જોવા મળવાની છે. ગુજરાત પ્રાચીન ભૂમિ છે અને તેના મૂળિયા છેક પ્રાગૈતિહાસિક યુગ સુધી લંબાય છે. રૈયોલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગૈતિહાસિક યુગની સાક્ષી પુરે છે અને આપણે આ ઇતિહાસને દુનિયા સમક્ષ ખુલ્લો મુક્યો છે, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો. તે જ રોમાંચ ગુજરાતમાં આ મ્યૂઝિયમમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને નિહાળવા મળશે.
પટેલે ઉમેર્યું કે અત્યાર સુધી ડાયનાસોર વિશે માત્ર કલ્પનાઓ કરી હતી, કેવા મહાકાય દેખાતા હશે, શું ખાતા હતા, કેવી રીતે જીવતા હતા, આ બધી કલ્પનાઓનો જવાબ અહીં મ્યુઝીયમ જોયા પછી મળશે. વિશ્વનું આ ત્રીજું ડાયનાસોર મ્યુઝીયમ વિશ્વના અનેક પ્રવાસીઓ, પુરાતત્વ વિદો અને વિષય નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.