Ahmedabad: પ્રદૂષણ બાદ પાણીના લેવલે ચિંતા વધારી, અનેક જગ્યાએ સબરમતીનું તળિયું દેખાવા લાગ્યું
સાબરમતીમાં પાણીનું લેવલ ઘટતા અનેક જગ્યાએ તળિયા જોવા મળ્યા છે. તો નદીમાં નર્મદાનાં શુધ્ધ પાણીની આવક બંધ થતાં અને ગટરનાં પાણી છોડવાનુ ચાલુ રહેતાં નદીમાં લીલ અને વનસ્પતિ ઉગી ગઇ છે.
સાબરમતી નદીમાં પાણીનું લેવલ સતત ઘટતા AMC ની ચિંતા વધી છે. સાબરમતી નદીમાં છેલ્લા કેટલાય દિવસોથી નર્મદા કેનાલમાંથી પાણી છોડવાનુ બંધ કરી દેવાયુ છે. જેના કારણે સાબરમતી નદીમાં જળ સ્તર સતત ઘટી રહ્યું છે. અનેક જગ્યાએ સબરમતીનું તળિયું દેખાવા લાગ્યું છે. પાણીનું લેવલ ઘટતાં રિવરફ્રન્ટની સુંદરતાં પણ ઘટી છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે નદીમાં પાણીનું લેવલ વધારવા એએમસી દ્વારા સરકારને રજુઆત કરાઈ છે. પરંતુ નર્મદા વિભાગ દ્વારા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતું નથી.
તો સાબરમતી નદીમાં નર્મદાનાં શુધ્ધ પાણીની આવક બંધ થતાં અને ગટરનાં પાણી છોડવાનુ ચાલુ રહેતાં નદીમાં લીલ અને વનસ્પતિ ઉગી ગઇ છે. જેના કારણે નદીનું સ્થિર પાણી દુર્ગંધ મારે છે. જો વહેલી તકે સાબરમતી નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો નદી સૂકી ભઠ બની જવાની શક્યતા છે.
તો બીજી તરફ હાઈકોર્ટની ટકોર બાદ પણ પ્રદુષણ રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે નિષ્ક્રિય જોવા મળ્યું છે. બંને વિભાગના અધિકારીઓને સાબરમતીમાં થતાં પ્રદૂષણને રોકવામાં સહેજ પણ રસ ન હોય તેવું જોવા મળ્યું છે. ખાસ તો હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતીનું પ્રદૂષણ ન અટકતા સ્વૈચ્છિક સંસ્થાઓ હવે એક્શનમાં આવી છે.
આ પણ વાંચો: Ind Vs Pak: ‘ફટાકડાનો સ્ટોક છે જ, દિવાળી પહેલા જ દિવાળી’, જુઓ જેતપુરના નાના પ્લેયર્સનો ક્રિકેટ પ્રેમ