Gujarat News Fatafat : પાટણ જિલ્લામાં 90 દિવસ બાદ કોરોનાનો નથી નોંધાયો એક પણ કેસ
Gujarat News Fatafat : આજે 4 જૂન 2021ને શુક્રવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત ( Daily News Brief ) રૂપે જાણો.
Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 4 જૂન 2021ને શુક્રવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અંહીયા જાણી શકશો.
LIVE NEWS & UPDATES
-
Gandhinagar : રસી માટે કોવીન એપથી નોંધણી કરનાર ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને, પ્રત્યેક નોંધણી દીઠ રૂ. 5 ચૂકવાશે
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 18થી 44 વર્ષના લોકો પણ કોરોનાની રસી લે તે માટે સરકારે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો માટે પ્રોત્સાહન યોજના અમલમાં મૂકી છે. 18થી 44 વર્ષના નાગરીકોને કોવીન એપ મારફતે નોંધણી કરાવી આપવા, ગ્રામ પંચાયતમાં કાર્યરત VCE-કોમ્પ્યુટર ઓપરેટર મદદરૂપ થવા કહ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા VCE-કોમ્પ્યુટર ઓપરેટરને પ્રત્યેક નોંધણી માટે રૂપિયા પાંચ પ્રોત્સાહક રકમ તરીકે ચૂકવશે.
-
Ahmedabad : ગુજ. યુનિ. LLB સેમેસ્ટર 2-4-6ની પરીક્ષા મોકૂફ, નવી તારીખ હવે જાહેર કરાશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનારી LLBની સેમસ્ટર 2, 4 અને 6ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આગામી 10મી જૂનથી LLBની સેમસ્ટર 2, 4 અને 6ની પરીક્ષા ઓનલાઈન લેવાની હતી. સાથોસાથ ઇન્ટિગ્રેટેડ લોની સેમેસ્ટર 4, 6, 8 અને 10ની પરીક્ષા પણ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. આ પરીક્ષાઓ રદ કરવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા પણ રજુઆત કરવામા આવી હતી તો હાઈકોર્ટમાં પણ પરીક્ષા મોકૂફ રાખવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે હવે પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.
-
-
Patan : 90 દિવસ બાદ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી
કોરોનાની બીજી લહેરમાં પાટણ જિલ્લામાંથી સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 90 દિવસ બાદ, આજે પાટણ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 90 દિવસ બાદ સમગ્ર જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ ના નોંધાતા સમગ્ર જિલ્લાના આરોગ્ય તંત્રે હાશકારો અનુભવ્યો છે.
-
Ahmedabad : આગામી 7મી જૂનથી નીચલી અદાલતોમાં કામકાજ હાથ ધરાશે
ગુજરાતની નીચલી અદાલતોમાં આગામી 7મી જુનને સોમવારથી સોશિયલ ડીસ્ટન્સ સાથે ફિઝીકલ હિયરીંગ હાથ ધરી શકાશે. જો કે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ નીચલી અદાલતોમાં વરચ્યુલ હિયરીગથી જ સુનાવણી કરવામાં આવશે. કોરોના સંદર્ભે સરકાર દ્વારા બહાર પાડેલ માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે કોર્ટ કામકાજ હાથ ધરાશે.
-
Sabarkantha : ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર 12 જુન સુધી રહેશે બંધ
કોરોના મહામારીને લઈને ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર આગામી 12 જુન સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ખેડબ્રહ્માના અંબાજી માતાનું મંદિર પહેલા 5મી જૂનથી ભાવિક ભક્તો માટે ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કોરોનાની બીજી લહેર હજુ પૂરેપૂરી ઓસરી ના હોવાથી, મંદિર આગામી 12 મી જૂન સુધી બંધ રાખવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો છે. જો કો મંદિરમાં બંધ બારણે પૂજા,આરતી અને અન્ય વિધિ કરવામા આવશે. તો ભાવિક ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી માતાજીના ઓનલાઈન દર્શન કરી શકશે.
-
-
Surat : કોરોનાની બીજી લહેરમાં મા બાપની છત્રછાયા ગુમાવનાર બાળકને સ્વનિર્ભર શાળા વિનામુલ્યે ભણાવશે
કોરોનાની બીજી લહેરમાં મા બાપ ગુમાવી ચૂકેલ બાળકોને સ્વનિર્ભર સ્કુલ દ્વારા દત્તક લેવાશે. કોરોનાની બીજી લહેરમા અનેક બાળકોએ તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. આવા બાળકોના અભ્યાસનો તમામ ખર્ચ સ્વ નિર્ભર શાળા ઉઠાવશે. જ્યારે સંયુક્ત પરિવારમાં રહેતા બાળકને ફિમાં 50થી 75 ટકા રાહત આપવામાં આવશે. જો કે આ લાભ લેવા માટે પરિવારે શાળાનો સંપર્ક કરીને અરજી કરવી પડશે.
-
Ahmedabad : પાંચ દિવસમાં AMC એ ફાયર સેફ્ટી-બીયુ પરમીશન વિનાના 2076 યુનીટ કર્યા સીલ
અમદાવાદ મહાનગરપાલિકાએ, ગુજરાત હાઇકોર્ટની સખ્તાઈના ડરથી, પાંચ દિવસમાં બીયુ પરમીશન અને ફાયર સેફ્ટીના અભાવ વાળા 2076 યુનિટ સીલ કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજ શુક્રવારે પશ્ચિમ ઝોનમાં 54, ઉતર પશ્ચિમ ઝોનમાં 20, મધ્ય ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 20, દક્ષિણ ઝોનમાં 124 યુનિટ સીલ કરી દીધા છે. 31 મેથી 4 જૂન દરમિયાન કોમર્શિયલ યુનિટ 1052, હોટેલના 507 રૂમ, રેસ્ટોરેન્ટના 66 યુનિટ, 1 વર્કશોપ અને 30 સ્કૂલના 447 રૂમને સીલ કર્યા છે.
સમા
-
Ahmedabad : નવા શૈક્ષણિક સત્ર બાબતે કેટલીક સ્પષ્ટતા ઈચ્છતા શાળા સંચાલકો, શિક્ષણ વિભાગને લખ્યો પત્ર
ગુજરાતમાં આગામી સોમવારને 7મી જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ સત્ર શરૂ થાય તે પૂર્વે શાળા સંચાલકો, કોરોનાકાળને લઈને, સરકાર પાસેથી કેટલીક સ્પષ્ટતા ઈચ્છે છે. શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખી જણાવ્યુ છે કે, નવા શૈક્ષણિક સત્ર દરમિયાન કેટલા શિક્ષકોને શાળાએ બોલાવવા ? શાળાનો સમય શુ રાખવો ? તેની સ્પષ્ટતા કરવી આવશ્યક છે.
-
Gandhinagar : વિવિધ જિલ્લાની SOG દ્વારા, કુલ 74 બોગસ ડોકટરો પકડી પાડ્યા
ગુજરાતભરમાંથી વિવિધ જિલ્લાની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 1થી 4 જૂન સુધીમાં 74 બોગસ ડોકટરોને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમા વિવિધ જિલ્લાના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (SOG ) દ્વારા બોગસ તબીબોને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરાયેલ. જેમાં પહેલી જૂનથી ચાર જૂન સુધીના સમયગાળામાં ગુજરાતમાંથી કુલ 74 જેટલા બનાવટી ડોકટરોને પકડીને જેલમાં નાખી દેવાયા છે.
-
Gir Somnath : કોડીનાર માર્કેટયાર્ડમાં મગના સારા ભાવ નહી મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટયાર્ડમાં મગના પૂરા અને સારા ભાવ નહી મળતા, મગ લઈને વેચવા આવેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગ વેચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે, માર્કેટયાર્ડમાં 20 કિલો મગના 600થી 900 રૂપિયા જ બોલાઈ રહ્યાં છે. જ્યારે 20 કિલો મગનો ભાવ 1400 રૂપિયા હોવો જોઈએ. જો મગના 1400 રૂપિયા ના ઉપજે તો ખેડૂતોને મગની ખેતી કરવી પરવડે નહી.
-
Ahmedabad : ધોળકામાં પૂત્રે પિતાની કરી હત્યા
અમદવાદ જિલ્લાના ધોળકામાં પુત્રે, પિતાની કરપીણ હત્યા કરી છે. પિતા પૂત્ર વચ્ચે જમવા બાબતે થયેલ તકરારમાં પૂત્રે ધારીયાના ધા મારીને પિતાની હત્યા નિપજાવી છે. સમગ્ર બનાવની ટુંકમાં વિગત એવી છે કે, ધોળકાના બુટભવાની પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે, જમાવાનું કેમ મોડુ લઈને આવ્યો છે, લાવ જમવાનું મને આપી દે તેમ કહીને પિતાએ પૂત્ર સાથે ઝઘડો કર્યો હતો. જેમાં પૂત્રે પાસે પડેલુ ધારિયુ ઉપાડીને પિતા ઉપર ઉપરા છાપરી ધા મારીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
-
Mahesana : ખેરાલુના કુંડા ગામેથી બોગસ ડોકટર ઝડપાયો
મહેસાણા જિલ્લાના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ, ( SOG ) ખેરાલુના કુંડા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પકડાયેલો બનાવટી ડોકટર, ગેરકાયદે રીતે એલોપેથીક દવા આપતો હતો. એસઓજી દ્વારા હાથ ધરાયેલી તપાસમા પકડાયેલ આરોપીનું નામ ઠાકોર ચતુરજી હોવાનું જાણવા મલ્યુ છે. બોગસ ડોકટર ચતુરજી પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ 10,895 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
-
Rajkot : રસી મુદ્દે ફેલાયેલી અંધશ્રધ્ધા દુર કરવા મનોવૈજ્ઞાનિક ભવનના વિદ્યાર્થીઓને સોંપાઈ જવાબદારી
રાજકોટ જિલ્લામાં અંધશ્ર્ધ્ધાને લઈને કેટલાય ગામડાઓમા કોરોનાની રસી નથી લેવાઈ. ગ્રામ્ય જનોમાં પ્રવર્તી રહેલી અંધશ્રધ્ધાને લઈને, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના વિદ્યાર્થીઓની 50 ટીમને જવાબદારી સોપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના વિદ્યાર્થીઓ જે ગામાં અંધશ્રધ્ધાને લઈને રસી નથી લેવાઈ તે ગામમાં જઈને સર્વે કરશે. લોકોને રસી લેવા માટે મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવશે.
-
Gandhinagar : સોમવાર 7 જૂનથી સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારીની હાજરી સાથે ચાલશે
રાજ્ય સરકારની બધી જ કચેરીઓ સોમવાર 7 જૂનથી 100 ટકા કર્મચારીની ક્ષમતા સાથે ચાલુ રહેશે. સરકારી અને ખાનગી ક્ષેત્રની કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 50 ટકા જ રાખવાની જાહેરાત સરકારે કરી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર હવે નિયંત્રણમાં આવી જતા, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, આગામી સોમવારને સાત જૂનથી સરકારી અને ખાનગી ક્ષેત્રની કચેરીઓમાં કર્મચારીની હાજરી 100 ટકા સુધી રાખવા મંજૂરી આપી છે.
-
Surat : પાકિસ્તાનથી ગેરકાયદે મંગાવેલ 112 ટન ખજૂરનો જથ્થો જપ્ત કરતુ DRI
પાકિસ્તાનથી ( pakistan ) ગેરકાયદે રીતે ભારતમાં લવાયેલ ખજૂરનો જથ્થો ડીઆરઆઈએ ( DRI ) જપ્ત કર્યો છે. પાકિસ્તાનથી 112 ટન ખજૂરનો જથ્થો ગેરકાયદે રીતે ભારત લવાયો હતો. જેની જાણ ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ( DRI ) ને થતા તેેણે, 112 ટન ખજૂરનો જથ્થો જપ્ત કરીને, સુરતના વરાછા અને હરીયાણાના બે વ્યકિતની અટકાયત કરીને પાકિસ્તાનથી ભારત લાવનારની શોધ શરૂ કરી છે. વધુ એક કન્સાઈન્મેન્ટ ઉતરપ્રદેશમાં રખાયુ હોવાની માહિતી મળતા DRI ઉથરપ્રદેશમાં પણ દરોડા પાડ્યા છે.
-
Rajkot : જિલ્લામાં આવેલા 20,000માંથી 4000 ચેકડેમ તુટેલી હાલતમાં
રાજકોટ જિલ્લામાં આવેલા નાના મોટા ચેકડેમ પૈકી ચાર હજાર ચેકડેમ તુટેલી હાલતમાં હોવાનું ભારતીય કિસાન સંધે જાહેર કર્યું છે. રાજકોટ જિલ્લામાં નાના મોટા કુલ 20,000 જેટલા ચેકડેમ આવેલા છે. આ 20,000 પૈકી 4,000 ચેકડેમ તુટી ગયા છે. જેના કારણે પાણીનો સંગ્રહ કરી શકાય તેમ નથી. આથી સરકારે ચોમાસા પૂર્વે તુટી ગયેલા ચેકડેમનુ સમારકામ તાકીદે કરાવવું જોઈએ તેવી માંગ ભારતીય કિસાન સંધે કરી છે.
-
Navsari : કેમિકલ ચોરી કૌંભાડ કેસમાં ચીખલી PI સસ્પેન્ડ
નવસારી જિલ્લાના ચિખલીમાંથી પકડાયેલ કેમિકલ ચોરીના કૌંભાડ અંગે, પીઆઈને સસ્પેન્ડ કરાયા છે. ચીખલી પોલીસ મથકની હદમાંથી, કેમિકલ ચોરી કરવાનું વ્યવસ્થિત કૌંભાડ પકડાયુ હતુ. આ કિસ્સામાં રેન્જ આઈ જીએ, ચિખલીના પોલીસ ઈન્સ્પેક્ટર, ડી. કે. પટેલને સસ્પેન્ડ કર્યા છે.
-
Ahmedabad : આજથી સાંજે 6 વાગ્યા સુધી દુકાન ખુલી રાખી શકાશે, વેપારી વર્ગમાં ખુશી
ગુજરાતમાં ભયાનક રીતે પ્રસરી ચૂકેલ કોરોનાની બીજી લહેર માંડ માંડ કાબુમાં આવતા, સરકારે વેપાર ધંધા રોજગાર માટે જાહેર કરેવી વધુ છુટછાટનો આજથી અમલ થશે. ગુજરાતના 36 શહેરોમાં બપોર સુધી જ વેપાર ધંધો કરી શકાતો હતો તેમાં સમય વધારીને હવે સાંજના છ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકવાથી વેપારી વર્ગ ખુશ થયો છે.
-
Rajkot : મોદી, રોઝરી તેમજ ત્રંબાની રાધિકા સ્કુલને ફિ મુદ્દે નોટીસ
રાજકોટમાં ફિ મુદ્દે વિવાદ સર્જાયા બાદ, વાલી મંડળે કરેલ ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ડીઈઓ કચેરીની તપાસમાં ફિ મુદ્દે કરાયેલ ફરીયાદમાં તથ્ય જણાતા, મોદી સ્કુલ, રોઝરી સ્કુલ અને ત્રંબાની રાધિકા સ્કુલને નોટીસ પાઠવીને જવાબ રજૂ કરવા તાકીદ કરાઈ છે.
-
Rajkot : ચીનની ખરીદીના પગલે, સિંગતેલ-કપાસિયા તેલના ભાવ વધ્યા
રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિગતેલના ડબ્બે રૂપિયા 40 થી 50 નો વધારો થયો છે તો, કપાસિયા તેલના ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ સિંગતેલના ડબ્બે રૂપિયા 150નો ધટાડો થયો હતો. અન્ આજે એકાએક ભાવ વધારો થયો છે. રાજકોટમાં સિગતેલના ડબ્બાનો ભાવ 2480 પર પહોચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ, 2350 ઉપર પહોચ્યો છે. બજારના જાણકારોનું કહેવુ છે કે ચીન દ્વારા હાજર માલમાં ખરીદી કરાતા ભાવ વધારો થવા પામ્યો છે.
-
Surat : 7 હોસ્પિટલ, 1 હોટલ, ટેક્સટાઈલ માર્કેટની 197 દુકાનો સીલ કરાઈ
ગુજરાત હાઈકોર્ટના ફટકાર બાદ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બીયુ અને ફાયર સેફ્ટી વિનાની ઈમારતોને સીલ કરવાની કામગીરી ચાલુ રાખી છે. સુરતના ફાયર બ્રિગેડ અને અન્ય સંબધિત વિભાગ દ્વારા, 7 હોસ્પિટલ, 1 ટેક્સટાઈલ માર્કેટ, 1 હોટલને સીલ કરી દેવાઈ છે. ટેક્સટાઈલ માર્કેટની 197 દુકાનોને સીલ કરી દેવાઈ છે.
-
Junagadh : પૂર્વ મેયરના પૂત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાતા પરિવારે સ્વીકાર્યો મૃતદેહ
જૂનગાઢ શહેરના પૂર્વ મેયરના પૂત્રની કરાયેલ નિર્મમ હત્યા અંગે, 11 શંકમદ સહીત કુલ 19 સામે પોલીસ ફરિયાદ નોંધાતા, પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. મૃતકના ભાઈએ, વર્તમાન બે કોર્પોરેટર, શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને ભાજપ અનુસુચિત જાતિ શહેર પ્રમુખની શંકાસ્પદ આરોપી તરીકે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
-
Ahmedabad : ફરજમાં બેદરકાર PSI સસ્પેન્ડ
અમદાવાદના રખિલાય પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ જે જે હળવદીયાને, ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. પીએસઆઈ હળવદીયાએ, ચોરી કેસના આરોપી પકડાયાના 90 દિવસમા આરોપી વિરુધ્ધની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી નહોતી. જેના કારણે આરોપી ડિફોલ્ટ બેઈલનો લાભ લઈને જામીન પર મુક્ત થયો હતો.
-
Gandhinagar : આજથી રાજ્યભરમાં 1200 રસીકેન્દ્ર પર 18 વર્ષથી મોટી ઉમરવાળાને અપાશે કોરોનાની રસી
આજથી ગુજરાતભરમાં 18 વર્ષથી મોટી ઉમરના તમામને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. ગઈકાલ સુધી ગુજરાતના 10 શહેરોમાં જ 18 વર્ષ સુધીનાને કોરોનાની રસી આપવામાં આવતી હતી. ગુજરાતભરમાં 1200 રસી કેન્દ્રો પરથી રોજના 2.25 લાખ યુવાનોન રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
Published On - Jun 04,2021 7:55 PM