ફેક્ટરી બ્લાસ્ટમાં 5 મોત, પેપર લીક મુદ્દે ઘમાસાણ, કોરોનાના ચિંતાજનક આંકડા: જાણો રાજ્યના આજના મહત્વના સમાચાર માત્ર એક જ ક્લિકમાં
રાજ્યમાં આજે પેપર લીકનો મુદ્દો ચર્ચામાં રહ્યો. તો ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. ઓમિક્રોનના કેસ પણ 5 થયા. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર.
Important news of Gujarat: રાજ્યમાં આજે પેપર લીકનો (Paper Leak) મુદ્દો ચર્ચામાં રહ્યો. તો બીજી તરફ પંચમહાલના હાલોલ પાસેના રણજિત નગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ (Factory Blast) થયો હતો. જ્યાં આગ પર કાબુ મેળવ્યા બાદ કુલ 5 લોકોના મોત થયાના દુખદ સમાચાર સામે આવ્યા. ત્યારે કોરોનાના એક્ટીવ કેસોની (Corona Case in Gujarat) 580 થયેલી સંખ્યાએ પણ ચિંતા વધારી છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર.
હાલોલની કંપનીમાં બ્લાસ્ટ મામલે વધુ દુખદ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે સર્ચ દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વધુ બે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. તો અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો હોવાની માહિતી સામે અવી છે.
ચોંકાવનારી વાત છે કે વર્ષો પહેલા આ કંપની અહીં નહીં સ્થાપવા માટે ગ્રામજનોએ આંદોલન કર્યું હતું. તો એ સમયે ગ્રામજનોને એ સમયે જે ચિંતા હતી એ આજે સાચી સાબિત થયાની ભયાનક ઘનતા બની હતી. વહેલી સવારે કંપનીમાં બ્લાસ્ટ થતા સંખ્યાબંધ કામદારો અંદર ફસાયા હતા.
વિવાદ વધતા અસિત વોરા GSSSB ના ચેરમેન પદેથી આપી શકે છે રાજીનામું, હેડ ક્લાર્ક પેપર લીક મામલે તપાસ તેજ
હેડ ક્લાર્ક પેપર લીકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર મામલે વિવાદ વધતા અસિત વોરા (Asit Vora) ચેરમેન પદેથી રાજીનામુ આપી શકે છે. સુત્ર દ્રારા મળેલી માહિતી અનુસાર અસિત વોરા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી બોડના ચેરમેન પદેથી રાજીનામું આપી શકે છે. જણાવી દઈએ કે રાજ્યમાં હેડ કલાર્કનું પેપર લીક થયાની ઘટનાને લઇને હાલ તપાસ તેજ બની છે.
ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક કેસમાં હેડ ક્લાર્કની પરીક્ષા જ રદ થાય તેવી શક્યતા છે. અથવા જે ઉમેદવાર પાસે પેપર પહોંચ્યા હતા તેમની પરીક્ષા રદ થઈ શકે છે. માહિતી પ્રમાણે રાજ્યમાં પેપર માટે 9 સ્ટ્રોંગ રૂમ બનાવાયા હતા. તો અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક કરાયું હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં 4 વચેટીયા કેતન, જયેશ, દેવલ, કુલદીપ પટેલ હાલ ભૂગર્ભમાં છે. અને હિંમતનગરના હડીયોલ ગામમાં સૌથી પહેલા પેપર લીક થયું હોવાની પણ માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે હાર્ડ કોપી સૌથી પહેલા પ્રાંતિજમાં બહાર આવી હતી. ત્યારે માણસાના બે વિદ્યાર્થી પાસે હાર્ડ કોપી પહોંચી હોવાની પણ વાત છે. ભાર્ગવ, પરિમલ પટેલ સહિત 45થી વધુ વિદ્યાર્થી પાસે પેપર પહોંચ્યું હોવાની શક્યતા છે.
ગુજરાતમાં (Gujarat) 16 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona) નવા 68 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આજે કોરોનાથી 43 લોકો સાજા થયા છે. તેમજ અત્યાર સુધી કુલ 8,17, 687 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ (Recovery Rate) 98. 71 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે. જેમાંથી 06 લોકો વેન્ટિલેટર પર છે અને 574 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાથી કુલ 10,100 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ખાનગીકરણ સામે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની બે દિવસની હડતાળ, 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે
બેંકોના ખાનગીકરણ સામે ભારત ભરમાં બે દિવસીય બેન્ક બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે અમદાવાદ ખાતે પણ બેન્ક કર્મચારીઓ બંધમાં જોડાયા. જેમાં આશ્રમ રોડ પર આવેલ કેનેરા બેન્કના ઓફિસર્સ અને કર્મચારીઓએ હડતાળ પાડી ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો. આશ્રમ રોડ પર ઇન્કમટેક્ષ પાસે કેમેરા બેંકની રિઝનલ ઓફિસ ખાતે ઓફિસર અને કર્મચારીઓ એકઠા થયા હતા. જ્યાં તેઓએ સરકાર સામે નારા લગાવી પોતાની માંગ રજૂ કરી. જે માંગમાં બેન્ક બિલ વિરોધ અને પેંશન યોજનાને અપડેટ કરવાની માંગ. જૂની પ્રાઇવેટ બેન્કને નેશનલાઈઝ કરવાની માંગ હતી.
Bharuch : કાંકરિયા ધર્માતરણ મામલે પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી, અત્યારસુધી કુલ 10ની ધરપકડ
ભરૂચના કાંકરિયા ગામે ધર્માતરણ મામલે પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી છે. ધર્માતરણ મામલે કુલ 10 લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પૈકીના અઝીઝે 14 લાખના ખર્ચે ઈબાદતગાહ બનાવ્યું હતું. અને આ માટે બહેરિનથી 7 લાખથી વધુનું ફંડીંગ આવ્યું હતું. સાથે સ્થાનિક લોકો પાસેથી 7 લાખ રૂપિયાની રકમ ઉઘરાવવામાં આવી હતી.
Ahmedabad : એક જ રાતમાં ATM ચોરીના બે બનાવ નોંધાયા, એક આરોપી ઝડપાયો
અમદાવાદ શહેરમાં એક જ રાત્રે ATM ચોરીના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે મણિનગર વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસની તપાસ ચાલુ છે. મહત્વનું છે કે, આરોપી મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચઢ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ પોતાના ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ત બાળકીના પરિવારને ફરિયાદ આપતાં પાંડેસરા પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં એ બાળકી ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાસે આવેલ ઝાડીઓમાં મૃત હાલતમાં મળી આવી હતી.
પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. FSL રીપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે બાળકી ઉપર રેપ પણ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પોલીસે આ મામલે આરોપી દિનેશ બૈસાણેની ધરપકડ કરી હતી. 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે સુરતના સેકેંડ એડિશનલ જજ એન. કે. અંજારીયાએ આરોપી દિનેશ બૈસાણને દોષીત જાહેર કર્યો હતો. 16મી તારખે કોર્ટે દિનેશ બૈસાણેને ફાંસીની સજા ફટકારી હતી.
OMICRON : મહેસાણામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ પાંચ કેસ થયા
ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન પોઝિટીવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.મહિલાના સ્વજનોમા ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા પ્રસંગે મળ્યા હતા.ઝિમ્બાબ્વેથી આવેલા સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલા ઓમિક્રોન સંક્રમિત કેવી રીતે થઇ તે શોધવું આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર છે.