26 જૂને ખેડા જિલ્લાની તમામ જિલ્લા-તાલુકા મથકની કોર્ટોમાં લોક અદાલત યોજાશે
26 જૂને રોજ યોજાનારીની નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદ (Nadiad) દ્વારા 26 જૂનના રોજ નેશનલ લોક અદાલત યોજાશે. સુપ્રિમ કોર્ટ (Supreme Court) ના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત હાઈકોર્ટ (High Court) ના ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદ દ્વારા આગામી તા. 26-06-2020 રવિવારના રોજ જિલ્લા ન્યાયાલય, નડિયાદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા (Kheda) જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલત (Lok Adalat) યોજાશે.
આ નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અકસ્માત વળતરના કેસો, સમાધાનલાયક ફોજદારી કેસો, દીવાની દાવાઓ, કામદાર વળતરનાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, ગ્રાહક સેવા તકરારની બાબતોના કેસો, વીજ કંપનીના કેસો, મોબાઈલ કંપની સાથે વિવાદના કેસો, મની સ્યુટ, બેંકના લેણા કેસો, દરખાસ્તના કેસો, NI ACT 138(નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 નાં ચેક રિટર્નના કેસો), લગ્ન સંબંધિત છૂટાછેડા, ખાધા-ખોરાકીને લગતા કેસો તથા બેંકના એન.પી.એ. ખાતાઓની રિકવરી માટેનાં પ્રીલીટીગેશન કેસો સહિતના તમામ એવા કેસો કે જેમાં સમાધાન રાહે કેસોનો નિકાલ કરી શકાય તેવા કેસો હાથ ધરવામાં આવશે.
26 જૂને રોજ યોજાનારીની નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર નડિયાદના જિલ્લા ન્યાયાલયના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીત સાહેબે લોક અદાલતના લાભો વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે, અન્ય કોઈ ખર્ચ થતો નથી, જેથી જે અરજદારો, પક્ષકારો, વકીલશ્રીઓ, વીમા કંપનીઓ, બેંકો તથા નાણાંકીય સંથાઓ વિગેરે આ લોક અદાલતમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ તેમની સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા કક્ષાએ ફૂલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદનો તથા તાલુકા કક્ષાએ સંબંધિત નામદાર કોર્ટમાં ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા અપીલ કરી હતી જેથી વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરીને લોક અદાલતના હેતુને ખરા અર્થમાં સાર્થક કરી શકાય.