ગુજરાતમાં અલગ અલગ સ્થળે અવકાશમાંથી ધાતુના ‘ગોળા’ પડવાનું રહસ્ય શું છે? જાણો ખગોળ વૈજ્ઞાનિક પાસેથી તમામ માહિતી
ખેડા (Kheda) જિલ્લામાં ચકલાસી નજીક ભુમેલ ગામમાં અવકાશમાંથી ‘ગોળો’ પડ્યો હતો. ભુમેલ ગામના પૉલ્ટ્રી ફાર્મમાં અવકાશમાંથી ગોળો પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં (Gujarat) આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ પડી રહ્યા છે. ચરોતર વિસ્તારમાં આણંદ (Anand) અને ખેડા (Kheda) જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ રવિવારે વડોદરા અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક એક ગોળો પડ્યો હોવાની માહિતી છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ કુતુહલ સર્જાયુ છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની (ISRO) મદદ લેવાનો પણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જો કે આ સમગ્ર મામલે ખગોળ વૈજ્ઞાનિક દિવ્ય દર્શન પુરોહિતે આકાશમાંથી પડતા પદાર્થ નુકસાન કારક ન હોવાનું જણાવ્યુ છે.
આકાશમાંથી પડી રહેલા ધાતુના ગોળાને લઇને લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ લોકોમાં કુતુહલ જોવા મળી રહ્યુ છે. તો બીજી તરફ અજાણ્યા આ પદાર્થ પડવાને કારણે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇને ખગોળ વૈજ્ઞાનિક દિવ્ય દર્શન પુરોહિતે TV9 ગુજરાતી સમક્ષ આ અંગેની કેટલીક શકયતાઓ વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાંથી મોટા પ્રમાણમાં ઉપગ્રહો છોડવામાં આવી રહ્યા છે. આ ઉપગ્રહો જેમ જેમ વધી રહ્યા છે. તેમ તેમ સૂર્ય શક્યતાઓ ઊભી થઇ રહી છે એટલે કે ઉપરનું વાતાવરણ ગરમ થઇ રહ્યુ છે. સેટેલાઇટ ધીમે ધીમે ડ્રેગ થતા જશે અને જો કંટ્રોલ બહાર જશે તો એકબીજા સાથે ટકરાશે પણ ખરા. જેમાંથી પડેલો આકાશી કચરો આ રીતે પડતો રહેવાની સંભવાના છે.
રવિવારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામે ખેતરમાં આકાશમાંથી રહસ્યમય ગોળો પડવાની ઘટના સામે આવી છે. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આકાશમાંથી ગોળો પડતા ખેડૂતો ડરના માર્યા નાસી છુટયા હતા. ઘટના બાદ ગામ લોકોએ ઘટના સ્થળે પહોંચીને જોતા ગોળા ઉપર વાયર વીંટળાયેલ હતા. લોકોએ વાયરો હટાવતા અંદરથી ધાતુનો બનેલો એક ગોળો મળી આવેલ છે. સમગ્ર મામલે ગામલોકોએ પોલીસને જાણ કરી છે. પરંતુ આકાશમાંથી પડેલો આ ગોળો શેનો છે તેના વિશેનું રહસ્ય હાલ જાણી શકાયું નથી.
આ પહેલા પણ પડ્યો હતો આકાશમાંથી ગોળો
આ પહેલા ખેડા જિલ્લામાં ચકલાસી નજીક ભુમેલ ગામમાં અવકાશમાંથી ‘ગોળો’ પડ્યો હતો. ભુમેલ ગામના પૉલ્ટ્રી ફાર્મમાં અવકાશમાંથી ગોળો પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને પૉલ્ટ્રી ફાર્મના માલિકે સરપંચને જાણ કરી હતી. બાદમાં સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે FSLની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.
તેના પણ પહેલા આણંદમાં ગુરુવારે સાંજે આકાશમાંથી ‘ગોળા’ જેવી કોઈ અજાણી વસ્તુ પડવાની ઘટના બની હતી. જેને લઈને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપૂરા અને ખાનકુવા ગામે આ ઘટના બની હતી. ત્યારે સતત છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળ આકારનો પદાર્થ પડવાથી લોકોમાં તે શું હોઈ શકે છે તેના અંગે ચર્ચા જોવા મળી રહી છે.