Kheda: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડિયાદ મુકામે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે
ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 75 આઇકોનિક સ્થળોએ ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખેડા જિલ્લાના ડાકોર રણછોડરાયજી મંદિરને પણ આ 75 આઇકોનિક સ્થળોની યાદીમાં સમાવવામાં આવેલ છે.
આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 21મી જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. “માનવતા માટે યોગા (Yoga for Harity)” ના થીમ સાથે 21મી જુન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે ખેડા (Kheda) જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મુકામે એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના મુખ્ય કાર્યક્રમનું તા.21 જૂન-2022 ના રોજ સવારે 05.30 કલાક થી 07.45 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા અને બાળ કલ્યાણ(સ્વતંત્ર હવાલો) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ(અનુ.જાતી કલ્યાણ)ના મંત્રી મનીષાબેન વકીલ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે અન્ય પદાધિકારીઓ સાથે હાજર રહેશે. તથા આ કાર્યક્રમમાં ત્રણથી ચાર હજાર યોગ સાધકો ભાગ લેશે.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલકે પહોંચાડવાના હેતુથી વડા પ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
આ સાથે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 75 આઇકોનિક સ્થળોએ ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખેડા જિલ્લાના ડાકોર રણછોડરાયજી મંદિરને પણ આ 75 આઇકોનિક સ્થળોની યાદીમાં સમાવવામાં આવેલ છે. જેથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર મુકામે ખૂબ જ મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ખેડા જિલ્લાના તમામ તાલુકાઓ અને નગરપાલિકાઓ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લાની પ્રત્યેક શાળાઓ, કોલેજો, શિક્ષણ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્રો, પોલીસ મથકો, જેલ જેવી 22 સરકારી કચેરીઓ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. જેમાં જિલ્લાના લગભગ 6 લાખથી વધારે લોકો આ આયોજનમાં ભાગ લેશે. આ ઉપરાંત ભારતના યસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્યપ્રસંગે સમગ્ર દેશને પોતાના વક્તવ્ય દ્વારા જોમ અને જુસ્સો પુરો પાડવાના છે. સાથે સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પ્રાસંગિક પ્રવચન કરશે. આ ભવ્ય ઉજવણીમાં ખેડા જિલ્લાના સૌ નાગરિકોને ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્રનું હાર્દિક આમંત્રણ છે.