Kheda: CM ભુપેન્દ્ર પટેલે રૂ. 94.56 કરોડના વિકાસકામોની આપી ભેટ, આ પ્રસંગે AAP પર આડકતરા પ્રહાર કરતા કહ્યુ- રેવડી કલ્ચરથી વિકાસ થઇ શકે નહીં
મુખ્યમંત્રીના (Chief Minister) હસ્તે મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) આજે ખેડા જિલ્લાના કપડવંજમાં કપડવંજ (Kapadvanj) અને કઠલાલ (Kathlal) તાલુકામાં અંદાજે રૂ. 20.26 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂ. 70.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ રસ્તાઓના 68 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 94.56 કરોડના 70 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીના હસ્તે મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, કોવિડ પછીની વિશ્વવ્યાપી આર્થિક પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારે આ નાણાંકીય વર્ષે સૌથી મોટા કદનું બજેટ આપી રાજ્યની વિકાસ યાત્રાને અવિરત જાળવી રાખી છે. ગુજરાતનો સર્વાંગી-ચોમેર વિકાસ કરવાની અમે કાર્યશૈલી વિકાસાવી છે. રેવડી કલ્ચરથી વિકાસ થઇ શકે નહીં. તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસને અમે સતત આગળ વધારી રહ્યા છીએ. તેના પરિણામે ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. રાજ્યમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી ગામડાઓ અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગુજરાતની કમાન સંભાળી ત્યારે શું સ્થિતિ હતી અને અત્યારે તેમના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના વિકાસની શું સ્થિતિ છે, તેની તુલના કરતા તે બાબત સમજી શકાય છે. હવે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનું ગૌરવ વધી રહ્યું છે. આર્થિક રીતે પણ આપણો દેશ સક્ષમ બની રહ્યો છે. આર્થિક મહાસત્તાના આંકમાં દેશનું અર્થતંત્ર પાંચમાં સ્થાને પહોંચ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, કઠલાલ અને કપડવંજ તાલુકામાં એક સમયે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ હતી. મુખ્યમંત્રીએ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારના તળાવો ભરવા રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. જેથી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુચારુ નેતૃત્વમાં દેશ આર્થિક રીતે પણ પ્રગતિ કરી રહ્યો છે.
ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સતત ચિંતા કરવામાં આવે છે. આ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે. માર્ગોના નવીનીકરણ થતાં નાગરિકોને સરળતા ઊભી થશે.