વડતાલ સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસ સાથે પંચદિનાત્મક દિપોત્સવ પર્વ અને નૂતન વર્ષ ઉજવાશે
નવા વર્ષની પુર્વસંધ્યાએ એટલે ગુરૂવારે દિવાળીની રાત્રીના 8:00 થી 10:00 સુધી દિપોત્સવ પર્વ આતશબાજી સાથે યોજાશે.
KHEDA : શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામ તુલ્ય વડતાલ (Vadtal) ધામમાં પંચદિનાત્મક દિપોત્સવ પર્વ (Diwali Festival)નું આયોજન કરવામાં આવેલ છે. આ દિપોત્સવ પર્વ અંતર્ગત ધનપુજન, હનુમાન પુજન, ચોપડા પુજન, લક્ષ્મીપૂજન, દિપોત્સવ, ગોવર્ધનપુજા, અને ભવ્ય અન્નકુટ આરતી દર્શનનો સમાવેશ થાય છે.
પંચદિનાત્મક દિપોત્સવ પર્વની માહિતી આપતા કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે તા.2જી નવેમ્બર ને મંગળવારના રોજ સવારે 11:30 થી 1:30 સુધી ધનપુજન થશે. કાળીચૌદશ તા.3જી નવેમ્બર બુધવારના રોજ સવારે 9:30 કલાકે શ્રી હનુમાન પુજન કરવામાં આવશે. આસુરી વૃત્તિ ઉપર દૈવીવૃત્તીના વિજયનું પર્વ એટલે દિવાળી તા.4થી નવેમ્બરને ગુરૂવારના રોજ સવારે 10:30 થી 2:58 શારદાપુજન-ચોપડાપુજન, સાંજે 6:00 થી 7:00 કલાકે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ લક્ષ્મીપુજન કરશે. વર્ષમાં ફક્ત આ સમયે લક્ષ્મીજીના ચરણાવિંદના દર્શન થશે. દિવાળીએ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે.
નવા વર્ષની પુર્વસંધ્યાએ એટલે ગુરૂવારે દિવાળીની રાત્રીના 8:00 થી 10:00 સુધી દિપોત્સવ પર્વ આતશબાજી સાથે યોજાશે. તા.5મી નવેમ્બર શુક્રવારના રોજ નૂતનવર્ષના સવારે 10:30 કલાકે ગોવર્ધનપુજા, નૂતનવર્ષના રોજ સવારે 8:00 થી 11:00 સુધી આશીર્વાદ સભા સાથે 58મી રવીસભા યોજાશે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. સવારે 11:00 કલાકે અન્નકુટ દર્શન આરતી યોજાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા સમારંભ વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી સંભાળી રહ્યા છે.