વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો વરીયાળીના વાઘાં ભગવાનને અર્પણ
દેવોના વાઘાં મુગટ લીલી વરિયાળીથી ગુંથીને તૈયાર કરવામાં આવ્યા હતા, નિજ મંદિરમાં આજે વરિયાળી સાથે હરિયાળી છવાઇ ગઇ હતી, આ વરિયાળીના શણગાર- વાઘાં સાંખ્ય યોગી માતાઓ અને હાલોલના સત્સંગી યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં હતાં
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan Temple) માં 1500 કિલો વરિયાળી (fennel) ના વાઘા તથા શણગાર ધરાવવામાં આવ્યા હતા જેનો હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ વિરયાળી ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવા આવી હતી.
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિ ઉત્સવ પ્રિય હતા. ભક્તો શ્રી હરિની પ્રસંન્નર્થે એ ઋતુ પ્રમાણે અવનવા વાઘાં અને શણગાર અને પ્રસાદ ધરાવી રાજીપો પ્રાપ્ત કરે છે. વડતાલ જ્ઞાનબાગની પ્રેરણાથી એક હરિભક્ત દ્વારા 1500 કિલો વરિયાળીના શણગાર મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મદેવ ભક્તિ માતા શ્રી વાસુદેવ તથા શ્રી રાધા-કૃષ્ણ દેવ અને શ્રી રણછોડરાયજીને ધરાવવામાં આવ્યા હતા.
દેવોના વાઘાં મુગટો લીલી વરિયાળીથી ગુંથીને તૈયાર કરવામાં આવ્યા હતા. નિજ મંદિરમાં આજે વરિયાળી સાથે હરિયાળી છવાઇ ગઇ હતી, આ વરિયાળીના શણગાર- વાઘાં સાંખ્ય યોગી માતાઓ, હાલોલના સત્સંગી યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં હતાં. મંદિરના પૂજારીઓ શ્રી હરિકૃષ્ણનંદજી, ચેતન્યનંદજી, ભાવિક ભટ્ટ વગેરે શણગાર માટે રાતભર સેવા કરી હતી.
મંદિરમાં આવતા હજારો હરિભક્તોએ વાઘાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી અને સાંજે ભક્તોને વરિયાળીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂ. શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું. વડતાલ નિજ મંદિરમાં દેવોને લીલી વરીયાળીના વાઘાં ધરાવાયાં હતાં. આ સાથે 1500 કિલો વરિયાળીનો શણગાર ધરાવાયો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અગાઉ નાસિકની દ્રાક્ષ, કેસર કેરી, જાંબુ, દેશ વિદેશના ફૂલોના વાઘાં ભગવાનને ધારાવવામાં આવ્યાં હતાં.
ઋતુ પ્રમાણે શણગાર કરાય છે
ઉલ્લેખનીય છે કે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ સમયે જુદા જુદા પ્રકારના શણગાર કરવામાં આવતા હોય છે. ખાસ કરીને સિઝન પ્રમાણે અને કુદરતી ક્રમ પ્રમાણેના શણગાર કરાતા હોય છે. અત્યારે ખેતરોમાં વરિયાળીનો પાક તૈયાર થવાના સ્તર પર છે તેથી વરિયાળીનો શણગાર કરવામાં આવ્યો છે. આવી જ રીતે દ્રાક્ષની સિઝન શરૂ થતાં દ્રાક્ષનો શણગાર કરાવાય છે અને કેરીની સિઝન શરૂ થતાં કેરીનો શણગાર કરાય છે. આ શણગારમાં વપરાયેલી તમામ સામગ્રી ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.
ગયા મહિને લીંબુ-મરચાંના 1.5 લાખ કિલો અથાણાનો પ્રસાદ તૈયાર કરાયો હતો
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી આવતી પરંપરા મુજબ લીબુ-મરચાંના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે. શિયાળાની સીઝનમાં પાકા કાગદી લીંબુ અને મરચાંને આથવામાં આવે છે. ચાલુ વર્ષે અંદાજે 1.50 લાખ કિલો લીંબુ મરચાંનુ અથાણું તૈયાર કરાયું છે. જે બે માસ પછી મરચાના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને અપાશે.
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી
આ પણ વાંચોઃ દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5ના મોત