ખરાબ રસ્તાને લઈને ગ્રામજનોએ ભુજ-ભચાઉ હાઇવે પર કર્યો ચક્કાજામ, યોગ્ય કામગીરીની ખાતરી મળતા આંદોલનન સમેટાયું
Kutch News: મામલો વધારે આગળ વધે તે પહેલા જ ભાજપ (BJP) આગેવાનની યોગ્ય કાર્યવાહીની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો. આ સાથે આંદોલન શરૂ થતાંના થોડા કલાકોમાં સમેટાઈ ગયું હતું.
કુંભારડી ગામ પાસેના કાગેશ્વર મહાદેવ મંદિર પાસેના વળાંક પર વારંવાર અકસ્માત સર્જાય છે તેમજ કુંભારડી સહિત આસપાસના અનેક ગામોને બિસ્માર માર્ગથી મુશ્કેલી પડી રહી છે. ભુજ (Bhuj) આવતા અને ભચાઉ જતા વાહનચાલકોને વાહન ચલાવવું અઘરૂ પડી રહ્યું છે. અવાર નવાર સર્જાતા અકસ્માતો બાદ અનેક રજુઆતો છતાં પણ રસ્તાની સ્થિતી ન સુધરતા આજે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગ્રામ જનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. આ આંદોલનમાં સંતો પણ જોડાયા. સંતો અને ગ્રામજનોએ સાથે મળી ચક્કાજામ કર્યો. ચક્કાજામને પગલે ટ્રાફીકજામ (Traffic jam) જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ મામલો વધારે આગળ વધે તે પહેલા જ ભાજપ આગેવાનની યોગ્ય કાર્યવાહીની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો. આ સાથે આંદોલન શરૂ થતાંના થોડા કલાકોમાં સમેટાઈ ગયું હતું.
જીલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલે આપી ખાતરી
ભચાઉ-ભુજ વાયા દુધઈ ધોરમાર્ગ પર શિકરા ગામ નજીક ભયજનક ગોળાઈ આવેલી છે જેના કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માત થતા રહે છે. જેના ઉકેલ માટે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ ન આવતા આજે શુક્રવારે સવારે ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એકલ મંદિરના મહંત દેવનાથ બાપુ અને કુંભારડી ગામના સરપંચે આગેવાની કરી હતી. આ વેળાએ સ્થાનિક પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલ પસાર થતા તેમણે યોગ્ય કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાઇ ગયું હતું.
અનેક રજુઆત છતા તંત્રએ આખ આડા કાન કર્યા
આ વિશે કુંભારડી ગામના સરપંચ દેવસી રબારીએ જણાવ્યું હતું કે, ભચાઉ-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પરના કાગેશ્વર મહાદેવ મંદિર પાસે, ટોલટેક્ષ બાજુમા ભયંકર ગોળાઈ હોવાના કારણે વારંવાર જીવલેણ અકસ્માત થતા હોય છે. ભચાઉથી જતી વખતે મોરગર સુધી રસ્તાની હાલત બિસ્માર હોવાથી અહીં અવાર નવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. આ બાબતે કુભારડી ગામના લોકોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ વહીવટી તંત્રે આજ દિવસ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. જેના સંદર્ભે આજે માર્ગ પર ચક્કાજામ કરવો પડ્યો હતો. આ વેળાએ આસપાસ લોકોની સાથે એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ પણ જોડાયા હતા.
પોલીસે આપી આ માહીતી
વિશેષ ચક્કાજામ શરૂ થતાની સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુ પટેલ અહીંથી પસાર થતા તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. જેથી આંદોલન સમેટાય ગયું હતું. ભચાઉ પોલીસ અને એસપી સહિતના અધિકારીએ પણ સમાધાનની પક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી હતી તેમજ પોલીસે જણાવ્યું હતું કે, 10 મિનિટના ટૂંકા ગાળામાં ચક્કાજામ પૂરૂ થઈ ગયું હતું.