Kutch: દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 210 સખીમંડળોને કરવામાં આવી 2.55 કરોડની મદદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) દિર્ધદ્રષ્ટીના પગલે ટુરિઝમ હબ બનેલા કચ્છમાં બહેનોની વિવિધ કારીગરી અને કૌશલ્યને સખીમંડળ સ્વસહાય જુથો દ્વારા બજારમાં મુકી વિશ્વ પ્રસિધ્ધ બનાવી છે.
આજે ભુજ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના હેઠળ સ્વસહાય જુથો માટે બેંક લિન્કેજ અન્વયે યોજાયેલા કેશ ક્રેડીટ કેમ્પમાં 2.55 કરોડ રૂપિયા જિલ્લાની 210 સખીમંડળોને આપવામાં આવ્યા હતા. કચ્છના 6,276 સ્વસહાય જુથોની મહિલા આત્મનિર્ભર બની પોતાના વિવિધ કૌશલ્યથી યોજનાઓ થકી રોજગારી મેળવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) દિર્ધદ્રષ્ટીના પગલે ટુરિઝમ હબ બનેલા કચ્છમાં બહેનોની વિવિધ કારીગરી અને કૌશલ્યને સખીમંડળ સ્વસહાય જુથો દ્વારા બજારમાં મુકી વિશ્વ પ્રસિધ્ધ બનાવી છે. આહિર, રબારી, કચ્છી ભરતકામ, અજરખની કામગીરી કે વિવિધ કલાકારીથી આ બહેનો આત્મનિર્ભર બની છે.
બેંકોનો પણ પુરો સહકાર
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં કેશ ક્રેડીટ લોનની બમણી રકમ અપાય છે, જેને 97 ટકા બહેનો નિયમિત રીતે પરત કરે છે. સખીમંડળોની બહેનો વિવિધ મહિલા-બાલિકા અને સરકારી યોજનાઓનો પણ વધુ લાભ લઈ આર્થિક ઉન્નત બને તથા સ્વાવલંબી બની સમૃધ્ધ થઈએ આત્મનિર્ભર થાય તેવો આશાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારાએ વ્યક્ત કર્યો હતો. બેંક ઓફ બરોડા ભુજના લીડ બેંક મેનેજર એમ.કે.દાસે જણાવ્યું હતું કે કચ્છમાં સક્રિય બેંકોમાં 393 શાખા સખીમંડળો માટે કાર્યરત છે. બેંકની કામગીરીમાં કોઈ સમસ્યા થાય તો અમે સહાય માટે સક્રિય છીએ.
કચ્છમાં મિશન મંગલમ હેઠળ 6,276 સ્વસહાય જુથો, 74 બેંક સખી, 12 બિઝનેસ કોરસપોન્ડન્ટ છે. 64 કરોડ રૂપિયા ક્રેડિટ લોન, 17 કરોડ રૂપિયા રિવોલ્વીંગ ફંડ અને કમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. 12 કરોડ રૂપિયાથી વધુ સેલ્ફ હેલ્પગ્રુપ બચત થઈ કુલ 93 કરોડ રૂપિયા રકમ ધરાવતો પરિવાર છે. મિશન મંગલમની બહેનોએ 97 ટકા લોન નિયમિત પરત કરી છે, જેના ફળરૂપે બે વર્ષમાં સમીમંડળોને બે ગણી કેશક્રેડિટ લોન બેંક આપી રહી છે.
શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી રાધાબેન કાપડી અને લક્ષ્મી સખીમંડળના ગરવા કંકુબેને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ મંચસ્થ મહાનુભાવોએ શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ બેંક સખીને પ્રશસ્તિ પ્રમાણપત્ર અને ક્રેશક્રેડિટ લોનના ચેકનું વિતરણ પણ કર્યુ હતું. જિલ્લાના લાભાર્થી અન્ય સખીમંડળોને તાલુકા કાઉન્ટર પરથી મંજુરી પત્રો પણ કાર્યક્રમ દરમ્યાન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, આરએસઈટીઆઇ નિયામક અજીત શર્મા, જીએલપીસીના જનરલ મેનેજર મનોહરસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, સહિત વિવિધ લોકો ઉપસ્થિત રહ્યા હતા.