કચ્છ : દાદાગીરીથી સરહદ ડેરીમાં આવતું 40 મંડળીનું દુધ અટકાવી દેવાતા વિવાદ, દોઢ કલાકે મામલો ઠંડો પડ્યો
સરહદ ડેરીના ચેરમેન પદ્દે હાલ કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલ છે તેવામાં ભાજપનાજ ધારાસભ્ય વાસણ આહિરના ગામ રતનાલની મંડળી દ્વારા આ પ્રકારનો વિવાદ કરી દાદાગીરી કરાતા કચ્છભરમાં આ કિસ્સાની ચર્ચા છે.
દૈનીક 5 લાખ લીટર દુધ એકત્રીકરણ સુધી પહોંચેલી કચ્છની (Kutch) સરહદ ડેરી (Sarahad Dairy) થોડા સમયથી વિવાદોને લઇને ચર્ચામાં છે. કચ્છમાં ઘણા પશુપાલકોએ (Animal husbandry) પુરતા દુધના (Milk) ભાવ ન મળતા હોવાની ફરીયાદ સાથે તાજેતરમાં અનેક તાલુકાઓમાં વિરોધ કર્યો છે. તે વચ્ચે આજે રતનાલ મંડળીને ચેકીંગ બાદ સરહદ ડેરી દ્વારા નોટીસ ફટકારાયા બાદ વિવાદ સર્જાયો હતો. મંડળીની દાદાગીરીથી આજે રતનાલ મંડળીના સંચાલક અને અન્ય લોકોએ અન્ય મંડળીના દુધના વાહનો અટકાવી દેતા કચ્છભરમાં આ કિસ્સો ચર્ચામાં આવ્યો છે. વિવાદ વકરતા એક સમયે પોલિસને પણ આવવું પડ્યું હતું. જોકે પશુપાલકોના હિતમાં અંતે દોઢ કલાક બાદ મામલો શાંત પડ્યો હતો. અને તમામ પશુઓનું દુધ એકત્રીત કરી દેવાયું હતું. જોકે પશુપાલકો અને સરહદ ડેરીએ જણાવ્યું હતું કે દુધ જો વધુ સમય રહી ગયું હોત તો પશુપાલકોને મોટું નુકશાન જાત તેવી ચિંતા સાથે ઘટનાને વખોડી હતી.
કેમ સર્જાયો વિવાદ?
પશુપાલકોની ફરીયાદના આધારે થોડા સમયે પહેલા રતનાલ ગામ કે જે પુર્વ મંત્રી વાસણ આહિરનું ગામ છે. ત્યાંની રાધેરાધે મંડળીમાં સરહદ ડેરીએ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં નિયમોને લઇને ત્રુટીઓ સામે આવતા મંડળીને પ્રથમ 12 તારીખે અને ત્યાર બાદ 19 તારીખે ક્લોઝર નોટીસ ફટકારાઇ હતી. અને રતનામ મંડળીનું દુધ લાંખોદ પ્લાન્ટ ખાતે જમા નહી લેવાય તેવું કહેવાયું હતું. જોકે આજે મંડળીના મુખ્ય સંચાલક રણછોડભાઇ તથા તેની સાથેના અન્ય લોકો લાંખોદ પહોંચ્યા હતા. અને પોતાનું દુધ સ્વીકારની વાત સાથે અન્ય મંડળીઓના દુધના વાહનો અટકાવી દીધા હતા. દિવસ દરમ્યાન કુલ 35,000 લીટર દુધ અહી એકત્રીકરણ થાય છે. અને આજે સવારે 40 મંડળીનુ 19 હજાર લીટર દુધ અટકી પડ્યું હતું. જોકે ત્યાર બાદ પોલિસ આવી હતી. અને સરહદ ડેરીના જવાબદારો પણ આવ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો.
આવું પ્રથમવાર થયું સરહદ ડેરીમાં
સરહદ ડેરીના ચેરમેન પદ્દે હાલ કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલ છે તેવામાં ભાજપનાજ ધારાસભ્ય વાસણ આહિરના ગામ રતનાલની મંડળી દ્વારા આ પ્રકારનો વિવાદ કરી દાદાગીરી કરાતા કચ્છભરમાં આ કિસ્સાની ચર્ચા છે. સરહદ ડેરીના આસીસ્ટન્ટ જનરલ મેનેજર નિરવ ગુંસાઇએ જણાવ્યું હતું. સરહદ ડેરીમાં આ પ્રકારનું પ્રથમવાર થયું છે. મંડળીની અનિયમીતતા અંગે ગત વર્ષે કચ્છમાં 20 મંડળીઓને આ પ્રકારે નોટીસ અને બંધ પણ કરાઇ છે. પરંતુ અન્ય પશુપાલક અને મંડળીનું અહીત કરવા માટે કરાયેલો આ પ્રયાસ દુખદ છે. સાથે તેઓએ પોલિસની મદદથી મામલો શાંત પડી ગયો હોવાનું જણાવી રતનાલ મંડળી તથા અન્ય જવાબદારો સામે પગલા માટે બોર્ડ મીટીંગમાં ચર્ચા કરાશે તેવું પણ ઉમેર્યું હતું.
કચ્છમાં મોટી સંખ્યામાં પશુઓની સંખ્યા વચ્ચે સરહદ ડેરીએ ઉભુ કરેલી માળખાથી પશુપાલનને મોટો ફાયદો થયો છે. જોકે પાછલા થોડા સમયથી દુધના યોગ્ય ભાવ સહિતના મુદ્દે થઇ રહેલા વિવાદથી પશુપાલકો ચિંતીત બન્યા છે. તેવામાં આજે દુધ અટકાવી દેવાના બનાવને પશુપાલકો વખોડી રહ્યા છે. કેમકે દુધ જો થોડા સમય રહી ગયુ હોત તો મોટુ નુકશાન પશુપાલકો થાત તો વિવાદ વચ્ચે આંતરીક જુથ્થવાદને લઇને આવા વિવાદો સર્જાઇ રહ્યો હોવાનો પણ ગણગણાટ પશુપાલકોમાં હતો.
આ પણ વાંચો : માણસ કૂતરાને લાત મારવા ગયો અને બન્યુ કંઈક એવું કે તમે હસીને લોટપોટ થઈ જશો, જુઓ વીડિયો
આ પણ વાંચો : ભાગ્યે જ જોયો હશે કૂતરા-બિલાડીનો આવો ફની વીડિયો, તોફાની બિલાડીની આ સ્ટાઇલ લોકોને આવી રહી છે પસંદ