Kutch: સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટનો મુદ્દો, LCBએ પ્રાન્ધોના ભરત રૂપાણી નામના શખ્સની કરી ધરપકડ
કચ્છ (Kutch)જિલ્લાના ભુજના (BHUJ) શખ્સે ફેસબુકમાં કચ્છના કુળદેવી માતાના મઢના માતાજી આશાપુરાની તસ્વીરનું અપમાન થાય તેવી પોસ્ટ શેયર કરતા હોબાળો મચ્યો હતો. આ ઘટનામાં LCBએ આરોપી ભરત રૂપાણીને મહારાષ્ટ્ર નજીકથી ઝડપી પાડ્યો હતો.
કચ્છના (Kutch) માતાના મઢ આશાપુરા માતાજીની અપમાનજનક પોસ્ટ મૂકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એલસબીએ (LCB) આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે એક અહેવાલ પ્રમાણે ભૂજના ભરત રૂપાણીએ કચ્છના કુળદેવી અને જેમાં લોકો સૌથી વધુ આસ્થા ધરાવે છે તેવા માતાના મઢના આશાપુરા દેવીની અપમાનજનક તસ્વીર શેયર કરી હતી અને ફરિયાદ મુજબ ભુજના ભરત રૂપાણી નામેથી ફેસબુક પર આઈડીમાં શખ્સે કચ્છના કુળદેવી માં આશાપુરાની તસ્વીર પર ઘૃણાસ્પદ કૃત્ય કરીને હિન્દુ ધર્મની લાગણી દુભવી હતી. આ ઘટનામાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી કે આ ભરત રૂપાણી ભુજનો કોઈ વ્યક્તિ છે કે ફેસબુક પર બોગસ આઈડી બનાવીને આ કૃત્ય આચર્યું છે. આ સમગ્ર વિગતો અંગે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી હતી, દરમિયાન પોલીસે તાબડતોબ કામગીરી કરતા ભૂજ એલસીબીએ આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો.
માતાના મઢ ટ્રસ્ટે આપી હતી અરજી
આ ઘટનામાં માતાજીની વિવાદાસ્પદ પોસ્ટ અંગેની જાણ થતાં માતાના મઢ જાગીર ટ્રસ્ટના મેનેજર મયૂરસિંહ જાડેજાએ દયાપર PSIને સંબોધીને ફરિયાદ અરજી આપતા કહ્યું કે પ્રાન્ધોના ભરત દાદુ રૂપાણીએ માતાજીના ફોટા એડિટ કરીને ફેસબૂકમાં પોસ્ટ મૂકી હતી, જેનાથી ધાર્મિક લાગણી દુભાઈ હોય તેની સામે કાર્યવાહી માટે માંગ કરાઈ છે. આ તરફ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ભુજ દ્વારા રેન્જ IG કચેરી ખાતે આવેદન આપી કાર્યવાહીની માંગ કરી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સાઇબર ક્રાઈમ વિભાગ દ્વારા સોશ્યિલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભવતી પોસ્ટ મૂકનારાઓની સામે લાલ આંખ કરવામાં આવી છે અને આવા શખ્સો સામે તરત તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે છે, જેથી શાંતિનું વાતાવરણ ડહોળાય નહીં.