Kutch: પશુપાલકોમાં ચિંતા, લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 હેલ્પલાઈન સંપર્ક કરવા અપીલ
આ રોગ પર ઝડપથી નિયંત્રણ લાવી શકાય તે હેતુથી પશુઓને રસીકરણની (Vaccination) કામગીરી શરૂ કરવામાં આવી છે. પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન, તાલુકા ખાતે આવેલ પશુ દવાખાના અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરાયો છે.
ગાયોમાં ફેલાઈ રહેલ લમ્પી રોગ (Lumpy disease) પર નિયંત્રણ લાવવા રાજ્યની સાથે કચ્છ (Kutch News) જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કામગીરી શરૂ કરાઈ છે. કચ્છ જીલ્લામાં કુલ 1,580 પશુઓને સારવાર અને 11,557 પશુઓનું રસીકરણ કરાયુ છે અને આ રોગ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રખાશે. લમ્પી રોગ પર નિયંત્રણ માટે જિલ્લા તથા તાલુકાકક્ષાએ નોડલ અધિકારીઓની કચ્છમા નિમણૂંક પણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગાયોમાં જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ રોગ પર ઝડપથી નિયંત્રણ લાવી શકાય તે હેતુથી પશુઓને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન, તાલુકા ખાતે આવેલ પશુ દવાખાના અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરાયો છે.
LUMPY SKIN DISEASE ( LSD) રોગ અને તેના લક્ષણ
કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઈતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે. રોગના લક્ષણોમાં રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમ કે પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2થી 3 અઠવાડિયામાં સાજુ થઈ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી. આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.
રોગચાળાને અટકાવવા અને કાબૂમાં લેવાના ઉપાયો
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા, પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓના ઉપયોગથી માખી, મચ્છર અને ઈતરડીનો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ પશુ લાવવું નહીં. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી કરાયેલ કામગીરીમાં કચ્છ જીલ્લામાં સૌ પ્રથમ આ રોગ લખપત તાલુકાના કૈયારી વિસ્તારમાં નોંધાયેલ હતો.
જિલ્લા પંચાયત, કચ્છની પશુપાલન વિભાગની ટીમ દ્વારા ત્યારથી સતત આ વિસ્તારની મુલાકાત લઈ પશુપાલક માલધારીઓને સમજાવટ કરી રોગગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી. તેમજ ચોક્કસ નિદાન માટે જરૂરી સેમ્પલ લઈ અમદાવાદની પશુપાલન ખાતાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.