ભૂકંપથી ધ્રુજી કચ્છની ધરતી, દુધઈથી માત્ર 11 કિલોમીટર દૂર 4.2 તીવ્રતાના ધરતીકંપનુ કેન્દ્રબિંદુ
Kutch Earthquake : આજે સવારે 6.38 મિનિટે ભૂકંપના આંચકો નોંધાયો હતો. એક કલાકના સમયમાં કચ્છમાં ભૂકંપના 2 આંચકા નોંધાયા હતા. સવારે 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો પણ નોંધાયો હતો.
કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા આવ્યા છે. કચ્છમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગાંધીનગર સ્થિત ISRએ તેની વેબસાઈટ પર જણાવ્યુ કે, આજે સવારે 6.38 મિનિટે ભૂકંપના આંચકો નોંધાયો હતો. એક કલાકના સમયમાં કચ્છમાં ભૂકંપના 2 આંચકા નોંધાયા હતા. સવારે 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો પણ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છના ખાવડા ગામથી 23 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું. થોડીવારના અંતરે આવેલા આ બે ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રથમ ભૂકંપ સમયે લોકો ભાગીને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપમાં કોઇ નુકસાન થયુ નથી. ISRએ જણાવ્યું કે અહીં નિયમિતપણે ભૂકંપ આવે છે. જો કે, તેમની તીવ્રતા ઓછી છે, તેથી ઘણી વખત લોકો તેમના વિશે જાણતા પણ નથી. પરંતુ લાંબા સમય બાદ આટલી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
જાણો શા માટે વારંવાર કચ્છમાં આવે છે ભૂકંપ ?
વાંરવાર કચ્છમાં ભૂકંપ (Earthquake) આવે છે,ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે.જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા (Kutch Earthquake) આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.
જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું હતુ. જેના કારણે ભૂગર્ભમાં 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી. પ્લેટોની નુકસાની આજસુધી યથાવત રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. કચ્છ જેવી જ ફોલ્ટલાઈન હિમાલયમાં એક્ટિવ કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઈન એક્ટિવ છે.એવી જ MCT નામની ફોલ્ટલાઈન હિમાલયની તળેટીમાં પણ એિક્ટવ જેમાં પણ સમયાંતરે ભૂકંપના તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે.
મહત્વનું છે કે કચ્છ જિલ્લામાં જાન્યુઆરી 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 13,800 લોકો માર્યા ગયા હતા. 1.67 લાખ અન્ય ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે જિલ્લાના વિવિધ નગરો અને ગામડાઓમાં પણ જાનમાલને ભારે નુકસાન થયું હતું.