Junagadh: અંડરબ્રિજના કામને ત્રીજી વાર મંજૂરૂી! ખરેખર કામ શરૂ થશે ખરૂ?
જૂનાગઢમાં બે અંડરબ્રિજ તો છે જ ત્યાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યાઓ વર્ષોથી સર્જાતી આવે છે અને આ બની રહેલ અંડરબ્રિજમાં પણ આ સમસ્યાઓ ન થાય તેની તકેદારી રાખવા પણ જૂનાગઢવાસીઓ જણાવી રહ્યા છે.
જૂનાગઢને (Junagadh) ફાટક મુક્ત કરવા રાજ્યના મુખ્યમંત્રીએ રેલવે ઓવરબ્રિજ (Over Bridge) અને અંડરબ્રિજ (Under Bridge) બનાવવા માટે 56.40 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મંજૂરી મળતા હવે સ્થાનિકોમાં એ ગણગણાટ છે કે ભારી ભરખમ બજેટ તો પાસ થઇ ગયું છે પણ કામ શરૂ થશે ક્યારેને ક્યારે પૂરુ થશે. જૂનાગઢના જોષીપરા પાસે બ્રિજ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જોષીપરા વિસ્તાર પાસેથી રોંજિંદા કેટલાય લોકો પસાર થતા હોય છે. જ્યારે ટ્રેન આવે અને ફાટક બંધ થાય ત્યારે લોકોને એક બાજુથી બીજી બાજુ જવા કલાક સુધી રાહ જોવી પડે છે. જો બ્રિજ બને તો સ્થાનિકોની સમસ્યા ઉકેલાઇ શકે છે જોકે ત્યાંના લોકો અંડર બ્રિજ બનવાને લઇને ખુશ નથી.
જો અંડર બ્રિજ બને તો પાણી ભરાવાની થશે સમસ્યા
જોષીપરા વિસ્તારમાં વર્ષોથી રહેતા સ્થાનિકોનું કહેવું છે કે જો અંડરબ્રિજ (Under bridge) બનશે તો ચોમાસાની ઋતુમાં અહીં પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળશે. જૂનાગઢમાં બે અંડરબ્રિજ તો છે જ ત્યાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યાઓ વર્ષોથી સર્જાતી આવે છે અને આ બની રહેલ અંડરબ્રિજમાં પણ આ સમસ્યાઓ ન થાય તેની તકેદારી રાખવા પણ જૂનાગઢવાસીઓ જણાવી રહ્યા છે. આથી સ્થાનિકોનું કહેવું છે કે ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળે પરંતુ અંડરબ્રિજ બનતા પાણી ભરાઈ જવાની સમસ્યા ન સર્જાય તે પણ તંત્રએ જોવું પડશે, નહિતર નાગરિકોને માટે ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાશે.
વિપક્ષ કરી રહ્યો છે વિરોધ
બસ સ્ટેન્ડ નજીક અને રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી સરકારે આપી દેતા જ વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષનું કહેવુ છે કે ચૂંટણી નજીક આવતી હોવાથી લોકોને વધુ એક લોલીપોપ આપવામાં આવે છે. લોકોની સુવિધા માટે બનાવવા ના બદલે મોટા માથાની જમીનો આવેલ છે, એટલે ઓવરબ્રિજની ડિઝાઇન બનાવવામાં આવે છે. બીજી તરફ મેયર કહી રહ્યા છે કે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે સરકાર દ્વારા સતત ત્રીજી વખત અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી દેતાની સાથે જૂનાગઢવાસીઓમાં ખુશીની લહેર તો છે. પરંતુ આ કામો ક્યારે શરૂ થશે તેવા પણ સવાલ ઉઠ્યા છે. કારણ કે અગાઉ પણ મંજૂરી મળ્યા બાદ કામ શરૂ થયું નથી. અગાઉ પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 86 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં કાગળો પર નકશા બન્યા છે, પણ હકીકતમાં ક્યારે બનશે તે જોવું રહ્યું.
વિથ ઇનપુટ્સઃ વિજયસિંહ પરમાર