Junagadh: દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો, જટાશંકર, તળેટી સહિત રોપ વેની મોજ માણતા સહેલાણીઓ
વેકેશન દરમિયાન છેલ્લા પાંચ દિવસમાં ગિરનારમાં (Girnar) લગભગ 15 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દરરોજ 1500 થી 2000 જેટલા મુલાકાતઓ રોપ વેની મુલાકાત લઇ રહ્યાં છે અને ગિરનારની સફર માણી રહ્યાં છે ગિરનાર પર લોકો આહલાદક કુદરતી વાતાવરણ જોઇ ખૂબ જ પ્રભાવિત થઇ રહ્યાં છે.
આ વખતે કોરોનાકાળમાં રાહત મળતા દિવાળી વેકેશનમાં ગુજરાતીઓ દેશ વિદેશથી માંડીને સ્થાનિક પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યા છે અને દરેક સ્થળે જાણે માણસોનું કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને તેની આસપાસ આવેલા પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓ ઊમટ્યા છે. જૂનાગઢની વાત કરીએ તો તળેટી વિસ્તારમાં આવેલા ભવનાથ મંદિર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, અશોકનો શિલાલેખ સહિતની જગ્યાઓએ પ્રવાસી ઉમટી પડ્યા છે તો ગિરનારમાં આવેલા જટાશંકરના સ્થળે પણ પ્રવાસીઓ પહોચ્યા હતા, ખાસ કરીને યુવા પ્રવાસીઓ અહીં ટ્રેકિંગની મજા માણી હતી. તો સકરબાગ મ્યુઝિયમ, ભવનાથ મંદિર તેમજ ગિરનાર રોપવે સહિતના મોટાભાગના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ ઉમટી છે. તો રોપવેમાં બેસી લોકોએ ખુશી પણ વ્યક્ત કરી હતી.
વેકેશન દરમિયાન છેલ્લા પાંચ દિવસમાં ગિરનારમાં લગભગ 15 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દરરોજ 1500 થી 2000 જેટલા મુલાકાતઓ રોપ વેની મુલાકાત લઇ રહ્યાં છે અને ગિરનારની સફર માણી રહ્યાં છે ગિરનાર પર લોકો આહલાદક કુદરતી વાતાવરણ જોઇ ખૂબ જ પ્રભાવિત થઇ રહ્યાં છે.
4 નવેમ્બરથી થશે લીલી પરિક્રમાનો પ્રારંભ
જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત એકાદશીથી થશે. બે વર્ષ બાદ આ વખતે સામાન્ય નાગરિકો ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ શકશે. ગિરનારની 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. નોંધનીય છે કે ગત વર્ષે ફકત સાધુ સંતોએ જ આ પરિક્રમા કરી હતી.
આ તૈયારીઓ અંગે જિલ્લાના કલેક્ટર રચિત રાજની અધ્યક્ષતામાં 4 નવેમ્બર દેવ ઉઠી એકાદશીના દિવસથી યોજાનારી લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિત યાત્રિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, છેલ્લા બે વર્ષ કોરોનાએ આ લીલી પરિક્રમાને ગ્રહણ લગાડ્યું હતું અને લીલી પરિક્રમા વર્ષો બાદ સતત બે વર્ષ સુધી બંધ રહેવા પામી હતી. દરમિયાન આ વર્ષે કોરોનાની બીમારી શૂન્યવત થઈ જતા તંત્ર દ્વારા આ વર્ષ લીલી પરિક્રમા યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે અને પરિક્રમા માટે મીટીંગોના દોર અને લાગતા વળગતા તંત્રો દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.