JUNAGADH : ભવનાથમાં 39 આશ્રમોને મામલતદાર દ્વારા નોટિસ પાઠવાઇ, આશ્રમ સંચાલકોના આક્ષેપો
મામલતદાર તન્વી ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે જે 40 આશ્રમનું લિસ્ટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું તે તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે. અને 40 પૈકી 9 આશ્રમની ખરાઇ કરવામાં આવી છે. તેમને નોટિસ આપી દેવામાં આવી છે.
JUNAGADH : ભવનાથ (Bhavnath)વિસ્તારમાં આવેલ આશ્રમોમાં (Ashram)39 જેટલા આશ્રમને મામલતદાર (Mamlatdar)દ્વારા નોટિસ (Notice) આપવામાં આવી છે. જેમાં આશ્રમો દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે. જેને લઇને હાલ તો સાધુ સંતો અને ભાવિકોની લાગણીને ઠોસ પહોંચી છે. માછલીઓને નોટિસ અને મગરમચ્છોને નોટિસ નહીં તેવા આશ્રમ સંચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.
ઉદાસીન અખાડાના મહંત ગંગાદાસ બાપુ જણાવ્યું કે 85 વર્ષથી આ જગ્યા પર અમારો અખાડો આવેલો છે. દુઃખ સાથે કહેવામાં આવે છેકે અમારા દ્વારા આધાર પુરાવા સહિતની સમગ્ર વિગતો અગાઉ પણ રજૂ કરવામાં આવી હતી. પણ તંત્ર દ્વારા આ જગ્યા રેગ્યુલર કરવામાં આવી નહીં. અને જ્યારે અનેક એવા મોટા માથાઓ છેકે જેઓ કરોડોની જમીનો પર કબ્જા કરી બેઠા છે. તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. અને ધાર્મિક સંસ્થાને ટાર્ગેટ બનાવવામાં આવે છે.
શક્તિ આશ્રમના મહંત બલયોગી મહારાજને પણ નોટિસ આપવામાં આવી છે. આ મામલે બલયોગી મહારાજે જણાવ્યું કે સરકારના નિયમ મુજબ અમે રકમ ભરવા તૈયાર છે અને તાત્કાલિક અમારી આ જગ્યાને રેગ્યુલાઇઝ કરવામાં આવે.
તો બીજી તરફ જૂનાગઢ સીટી મામલતદાર તન્વી ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે જે 40 આશ્રમનું લિસ્ટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું તે તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે. અને 40 પૈકી 9 આશ્રમની ખરાઇ કરવામાં આવી છે. તેમને નોટિસ આપી દેવામાં આવી છે. હજુ પણ ખરાઇ કરવાની કામગીરી ચાલી રહી છે. જરૂર પડશે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છેકે જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં અને ભવનાથ વિસ્તારમાં અનેક માથાભારે શખ્સો ગેરકાયદેસર સરકારી જમીન પર કબ્જા કરી બેઠા છે. ત્યારે તેમની ઉપર આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભવનાથ (Bhavnath)વિસ્તાર એક ધાર્મિક જગ્યા છે, ત્યારે અહીંના આશ્રમોને નોટિસ આપી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવા આક્ષેપોની સાથે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
આ પણ વાંચો : તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત, સરકારનો આદેશ