મોયે મોયે સોંગ પછી હવે મોયા મોયા રોગ ! તબીબે જટીલ સર્જરી કરીને બચાવ્યું 30 વર્ષીય મહિલાનું જીવન

જૂનાગઢની એક 30 વર્ષથી મહિલાને મગજમાંથી અંગોમાં લોહી ન પહોંચતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના લીધે બોલવાની ક્ષમતા જતી રહી હતી. તો ક્યારેક કોઈ શબ્દ બોલવામાં ખચકાટ અનુભવાતો હતો. જેને લઈને જુનાગઢના ખાનગી હોસ્પિટલના ડોક્ટર ધવલ ગોહિલનો તેણે સંપર્ક કર્યો હતો.

મોયે મોયે સોંગ પછી હવે મોયા મોયા રોગ ! તબીબે જટીલ સર્જરી કરીને બચાવ્યું 30 વર્ષીય મહિલાનું જીવન
Junagadh News
| Updated on: Jan 02, 2024 | 1:33 PM

જૂનાગઢ : હાલ મોયે મોયે ગીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ અહીં એ ગીતની વાત નથી પરંતુ એક રોગની વાત છે કે જેનું નામ મોયા મોયા છે. જૂનાગઢની એક 30 વર્ષથી મહિલાને મગજમાંથી અંગોમાં લોહી ન પહોંચતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના લીધે બોલવાની ક્ષમતા જતી રહી હતી. તો ક્યારેક કોઈ શબ્દ બોલવામાં ખચકાટ અનુભવાતો હતો. જેને લઈને જુનાગઢના ખાનગી હોસ્પિટલના ડોક્ટર ધવલ ગોહિલનો તેણે સંપર્ક કર્યો હતો.

દોરાથી પણ પાતળી નસમાં કરાઈ સારવાર

ધંધુસર ગામની મહિલા દર્દી જ્યારે હોસ્પિટલમાં તબીબને બતાવવા માટે ગયા ત્યારે તેમને સરખું બોલી પણ શકાતું ન હોતા અને અમુક શબ્દો બોલવામાં પણ મુશ્કેલી પડતી હતી. જેની તાત્કાલિક સારવાર કરવી જરૂરી હતી. તેથી ડોક્ટર ધવલ ગોહિલ દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. અને તેમને મગજ સુધી જેટલી ઝડપથી લોહી પહોંચે તેટલા વધુ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ સર્જરીમાં દોરાથી પણ પાતળી નસમાં ટાંકા લઈ અને બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. આ બાયપાસ સર્જરીમાં ઘણો સમય અને સતર્કતા જરૂરી રહે છે.

યોગ્ય તાલીમ વગર નથી થઈ શકતી આ સારવાર

ડોક્ટર ધવલ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની સારવાર કરવા માટે બે થી ત્રણ વર્ષનો ઊંડો અભ્યાસ અને અનુભવ હોવો જરૂરી છે. કારણ કે જો કોઈ પણ ચૂક થાય તો દર્દીને ઘણી હાલાકી ભોગવવી પડે છે. બે થી ત્રણ વર્ષ સુધી મેં આ મામલે અભ્યાસ કર્યો છે. ગુજરાતમાં અમદાવાદમાં આવું ઓપરેશન શરૂઆતના સમયમાં થયું હતું. પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ ના આ વિસ્તારમાં આ પ્રકારનું સફળ ઓપરેશન પહેલી વખત નોંધાયું છે. અને દર્દીની હાલત અત્યારે બિલકુલ સ્વસ્થ છે.

પ્રથમ વખત કરાઈ જટિલ સારવાર

આ પહેલા પણ દર્દીને સજાગપણે વાતચીત કરતા ઓપરેશન કરાયાનું રેકોર્ડ ધવલ ગોહિલ નોંધાવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારનું જટિલ ઓપરેશન કરી અને તેમણે સૌરાષ્ટ્ર કચ્છમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મગજના જટિલ ઓપરેશનનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.

રોગના આ પ્રકારના હોય છે લક્ષણો

દર્દીની મગજની નળીઓમાં સંકોચન આવે છે. ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. આ રોગ કોઈ ચેપી રોગ નથી આ રોગ જીનેટીક રોગ છે.મોયા મોયા રોગમાં લોકોને મગજથી અંગો સુધી યોગ્ય પ્રમાણમાં લોહી ન પહોંચતા અનેક મુશ્કેલીઓ પડે છે. અને તેમના અંગો કામ કરવાનું પણ બંધ કરી દે છે. વહેલી તકે સારવાર કરવામાં ન આવે તો આ મુશ્કેલી દર્દીમાં વધી શકે છે હાલના દર્દીમાં મગજથી યોગ્ય અંગ સુધી લોહી ન પહોંચવાને લીધે તેમને બોલવામાં તકલીફો પડી રહી હતી.

( વીથ ઈનપુટ – વિજયસિંહ પરમાર )

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:32 pm, Tue, 2 January 24