જુનાગઢમાં વધુ એક સિંહની નિર્મમ હત્યા, ઈલેક્ટ્રીક શોક આપી હત્યા કરાઈ હોવાની આશંકા-ઓઝત-2 ડેમમાંથી મળ્યો મૃતદેહ
જુનાગઢમાં ઓઝત -2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સિંહનો મૃતદેહ એટલી હદે કોહવાયેલો છે કે તેનુ પોસ્ટમોર્ટમ પણ શક્ય જણાતુ નથી. હાલ સિંહના મૃતદેહને સક્કરબાદ ઝુ ખાતે પીએમ અર્થે મોકલાયો છે. ત્યારે સિંહનુ મોત કેવી રીતે થયુ તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. સિંહને ઈલેક્ટ્રીક કરન્ટ આપી હત્યા કરાઈ હોવાની પણ આશંકા સેવાઈ છે.
દેશ અને રાજ્યના ઘરેણા સમાન ગીરના સિંહોની સુરક્ષાને લઈને અનેકવાર વનવિભાગ સવાલોના ઘેરામાં આવી ચુક્યુ છે. છતા સિંહોની સુરક્ષા બાબતે જેટલી ગંભીરતા દાખવવી જોઈએ એટલી બતાવાતી નથી. ગુજરાતની આન-બાન શાન ગણાતા આ સિંહો હાલ તેના ગઢમાં જ સુરક્ષિત ન હોવાનુ ઘ્યાને આવ્યુ છે. ગુજરાતમાં અમરેલી, જુનાગઢ અને ગીરના જંગલોમાં સિંહોનું કાયમી રહેઠાણ છે અને આ ત્રણેય વિસ્તારોમાં સિંહોના અવારનવાર આંટાફેરાના દૃશ્યો સામે આવતા રહે છે. ગીરના જંગલોમાં દબાણ વધી જતા આ સિંહો હવે ખોરાક અને પાણીની શોધમાં ક્યારેક રહેણાંક વિસ્તારોમાં પણ આવી ચડે છે. જેના પગલે સિંહોની સુરક્ષાની જવાબદારી વધી જાય છે.
ઓઝત-2 ડેમમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યો સિંહનો મૃતદેહ
છેલ્લા બે વર્ષમાં 30થી વધુ સિંહોએ જીવ ગુમાવ્યા છે. જેમા ક્યારેક ટ્રેનની ટક્કરે, ક્યારેક ઈનફાઈટમાં ક્યારેક માંદગીમાં તો ક્યારેક કૂવામાં પડી જવાથી સિંહોના મોત થયા છે. સિંહોના મોતનો આ સિલસિલો અહીં જ નથી અટકતો. જુનાગઢથી વધુ એક સિંહના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. જેમા પ્રાપ્ત વિગતો અનુસાર ઓઝત – 2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ સિંહને કરન્ટ આપી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. નોંધનીય છે મૃતદેહને પીએમ માટે જુનાગઢ સક્કરબાગ ઝૂ (Sakkarbaug Zoo)માં મોકલાયો છે. આ મૃતદેહ એટલી હદે કોહવાયેલો મળી આવ્યો છે કે તેનુ પોસ્ટમોર્ટમ કરવુ પણ મુશ્કેલ જણાઈ રહ્યુ છે.
સિંહની હત્યાની આશંકામાં મોણપરીના ખેડૂતની ધરપકડ
સાવજની આ નિર્મમ હત્યાને પગલે વન વિભાગ દોડતુ થયુ છે અને જુનાગઢ નોર્મલ ડિવિઝન અને ગીર પશ્ચિમ વનવિભાગ દ્વારા આરોપીને પકડવા માટે સંયુક્ત કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ. આ દરમિયાન વિસાવદરની ઘંટીયાણ અને થુંબાળાની સીમમાં મોટાપાયે તપાસ હાથ ધરાઈ હતી. આ સાથે નાની મોણપરીના યુવાન ખેડૂત મોહનીશ રવૈયાની શંકાનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. વનવિભાગે તેને કોર્ટમાં રજૂ કરતા વિસાવદર કોર્ટ ખેડૂતના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ખેડૂતની જમીન ઘંટીયાણની સીમમાં ડેમના કાંઠે આવેલી હોવાનું જાણવા મળ્યું છે અને જમીનના શેઢા પરથી સિંહના મૃતદેહને ઢસેડ્યો હોવાના નિશાન પણ મળી આવ્યા છે.
સિંહને ઈલેક્ટ્રીક કરન્ટ આપી હત્યા કરાઈ હોવાની આશંકા
આશંકા સેવાઈ રહી છે સિંહને અન્ય સ્થળે કરન્ટ આપી હત્યા કરાઈ હોય અને ત્યારબાદ તેને મોહનિશના ખેતરે નાખી ગયા હોય. હાલ વનવિભાગે સિંહની હત્યામાં સામેલ મુખ્ય આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે. યુવાન સિંહના શંકાસ્પદ મોતને પગલે સિંહ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અને વનપ્રેમીઓ અને સિંહપ્રેમીઓમાં ભારે આક્રોષ ફેલાયો છે.