Jamnagar: રખડતા ઢોરની સમસ્યા લોકો માટે મોટી પરેશાની, કાયમી ઉકેલ લાવવા તંત્ર અસમર્થ
મહાનગર પાલિકાના તંત્ર દ્વારા ચોપડે નિયમિત યોગ્ય કામગીરી થતી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ તંત્રના પ્રયાસો બાદ પણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકયો નથી.
જામનગર (Jamnagar) શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની છે. શહેરના મોટાભાગના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ હોય છે. આ સમસ્યા કોઈ નવી નથી, વર્ષોથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે વરસાદ બાદ રખડતા ઢોરથી સ્થાનિકો પરેશાન થાય છે. રસ્તા પર અડ્ડો જમાવીને બેસતા ઢોરના કારણે ટ્રાફીકની સમસ્યાનો સ્થાનિકો સામનો કરવા મજબુર બને છે. અનેક વખત ઢોરની અડફેટે સ્થાનિકો આવતા નાના-મોટા અકસ્માતો બનતા હોય છે.
કેટલીક વખત સ્થાનિકોને નાની-મોટી ઈજા થવા કે મૃત્યુ થયાના બનાવ ભુતકાળમાં બન્યા છે. જે મુદ્દે અનેક વખત તંત્રને રજુઆત કરવામાં આવી છે. તંત્ર પણ વર્ષો જુની શહેરની વિકળ સમસ્યાથી અજાણ નથી. પરંતુ કોઈ કાયમી ઉકેલ માટે તંત્ર પાસે કોઈ આયોજન નથી. હાલ કામચલાઉ ઉકેલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
શહેરના માર્ગો પરથી રખડતા ઢોરને દુર કરવા મહાનગર પાલિકા દ્વારા ખાસ 30 લોકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે લાકડી સાથે શહેરના મુખ્ય માર્ગો પર ચોકીદારી કરે છે. ચોકીદારી માત્ર ઢોર માટેની કે કોઈ ઢોર રસ્તા પર ચડી આવે તો તેને લાકડીની મદદથી હાંકી કાંઢવાની અને રસ્તા પરથી દુર કરવાની કામગીરી આ 30 રોજમદારો દ્વારા કરવામાં આવે છે. શહેરના મુખ્ય માર્ગોમાં જયાં અધિકારીઓ અને શાસકોની અવર-જવર હોય તેવા માર્ગો પર દિવસના 8 કલાક આ લાકડીધારી ફરજ બજાવે છે અને રસ્તા પરથી રખડતા ઢોરને દુર કરે છે.
મુખ્ય માર્ગો પરથી ઢોરને દુર કરીને અન્ય માર્ગો પર કે શેરી વિસ્તારમાં ધકેલી દેવામાં આવે છે. જેનાથી રખડતા ઢોરની સમસ્યાને સ્થાળાંતર કરવામાં આવે છે. પરંતુ કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતો નથી. મહાનગર પાલિકા દ્વારા આ સાથે રખડતા ઢોર માટે દૈનિક ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે. જાન્યુઆરીથી હાલ સુધીમાં 1,329 જેટલા ઢોરને પકડીને અમદાવાદ પાસે આવેલા પાંજરાપોળમાં મોકલવા આવ્યા હોવાનું મહાનગર પાલિકાના રેકોર્ડમાં નોંધાયેલ છે.
તંત્રનો દાવો છે કે દૈનિક 15થી 20 ખુટીયાને પકડીને ઢોરના ડબ્બામાં મુકવામાં આવે છે. બાદ તેને અમદાવાદ પાંજરાપોળ મોકલી આપવામાં આવે છે. હાલ મહાનગર પાલિકાના બે ઢોરના ડબ્બામાં કુલ 84 જેટલા ખુટીયા રાખવામાં આવેલ છે. મહાનગર પાલિકા દ્વારા પકડાયેલ ખુટીયાને અમદાવાદ મોકલવામાં આવે છે. જે માટે એક ખુટીયા દીઠ 6,300 રૂપિયા ચુકવામાં આવે છે. છેલ્લા 20 દિવસમાં 313 જેટલા ખુટીયા પકડાય હોવાનું તંત્રના ચોપડે નોંધાયેલ છે.
મહાનગર પાલિકાના અધિકારી દ્વારા રખડતા ઢોર મુદ્દે જાહેરનામું થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ. રખડતા ઢોરના કારણે શહેરીજનોને ઈજા કે નુક્સાની થાય તો પશુ માલિક સામે પોલિસ ફરિયાદ સુધીની કાર્યવાહી થશે. જાહેરનામા બાદ એક પણ માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જરૂરિયાત તંત્રને લાગી નથી.
મહાનગર પાલિકાના તંત્ર દ્વારા ચોપડે નિયમિત યોગ્ય કામગીરી થતી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ તંત્રના પ્રયાસો બાદ પણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકયો નથી. તંત્ર દ્વારા રખડતા ઢોરના ઉકેલ માટે લાખો રૂપિયોનો ખર્ચ કરીને ઢોર પકડીને કે લાકડા સાથે રોજમદારોને રસ્તા પર ઉતારીને પણ રખડતા ઢોરનો ઉકેલ લાવી શકી નથી. ત્યારે સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો – Afghanistan: ક્રિકેટ બોર્ડની કચેરીમાં તાલિબાનીઓ ઘુસી જઈ કબ્જો કર્યાની વાતને લઈ CEO એ કર્યો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો – IPL 2021: કેપ્ટન વગર જ શરુ થયો મુંબઈ ઈન્ડીયન્સનો ટ્રેનિંગ કેમ્પ, અનેક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી