Jamnagar: લુંટના મામલે આરોપીઓને પકડવા પોલીસે ધારણ કર્યો આદિવાસી વેશ, ત્રણ આરોપીની કરી ધરપકડ
જામનગરના (Jamnagar News) ફલ્લા ગામની સીમ વિસ્તારમાં થોડા દિવસ પહેલા લુંટનો બનાવ બન્યો હતો. સીમ વિસ્તારમાં વાડી રહેલા વૃધ્ધ પર હુમલો કરીને રોકડ અને સોનાના દાગીનાના લુંટ કરનાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
જામનગર (Jamnagar News)ના ફલ્લા નજીક થોડા દિવસ પહેલા વૃદ્ધ પર હુમલો કરીને લુંટના કેસમાં ફરાર થયેલા આરોપી ઝડપાઈ ગયા છે. ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. મધ્યપ્રદેશમાં ખાસ ઓપરેશન હેઠળ આદિવાસી વેશમાં પોલીસે 2 આરોપીઓને વતનમાંથી ઝડપી પાડ્યા. જામનગર નજીક અન્ય એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ આંરભી છે. જામનગરના ફલ્લા ગામની સીમ વિસ્તારમાં થોડા દિવસ પહેલા લુંટનો બનાવ બન્યો હતો. સીમ વિસ્તારમાં વાડી રહેલા વૃદ્ધ પર હુમલો કરીને રોકડ અને સોનાના દાગીનાના લુંટ કરનાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
ટીડા બાંભવા નામના વૃધ્ધ પશુ તથા પાકનું રખોલુ કરવા માટે રાત્રીના વાડીમાં સુતા હોય, કોઈ અજાણ્યા શખ્સોએ ટીડા બાંભવાને માથાના ભાગે હથિયાર વડે હુમલો કરીને ઈજા કરી હતી. બાદ તેના કાનમાં પહેરેલા સોનાના દાગીના આશરે એક તોલાના અને નાની મોટી ચાંદીની વીંટી નંગ 5 થતા 15 હજાર રૂપિયાની રોકડની મળીને કુલ 75 હજારના સામાનની લુંટ કરીને નાસી ગયા હતા. 17 તારીખે (17 મે 2022) મધ્યરાત્રીના બનેલ બનાવ બાદ વૃધ્ધને જામનગરની ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. પોલીસને બનાવની જાણ થતા પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવા પ્રયાસો કર્યા હતા. જેમાં થોડા દિવસમાં પોલીસને સફળતા મળી અને ત્રણ આરોપીને પકડી પાડયા.
મધ્યપ્રદેશમાં જઈને પોલીસ ત્યાંના સ્થાનિક આદિવાસી વેશમાં આરોપીને તેના વતનમાંથી પકડી લાવી
પોલીસે અલગ-અલગ ટીમ બનાવી, આરોપીને શોધવા ચક્રવ્યુહ રચ્યો. પોલીસની ટેકનિકલ ટીમ અને સ્થાનિક સુત્રોની મદદથી જાણકારી મેળવી કે આરોપીઓ મધ્યપ્રદેશના છે. લૂંટ ચલાવીને તેઓ પોતાનામાં વતન નાસી ગયા છે. જેથી એલસીબીની ટીમના ચાર જવાનોએ આરોપીને શોધવા માટે મધ્યપ્રદેશમાં ત્યાંના સ્થાનિક આદિવાસીનો વેશ ધારણ કરીને આરોપીના વતન સુધી પહોંચ્યા. જામનગર એલસીબીના પીએસઆઈ આર.બી. ગોજીયા, વનરાજ મકવાણા, કિશોર પરમાર અને ધાના મોરીએ પોલીસના ગણવેશમાં નહી,પરંતુ સ્થાનિક આદિવાસી બની લોકોની વચ્ચે પોલિસની ઓળખ ન આપીને ગુપ્ત રીતે ઓપરેશનને સફળતાપુર્વક પુર્ણ કર્યુ. ત્યાં આરોપીઓ કોઈ લગ્નમાં હોવાની જાણ થતાં ત્યાંથી પોલીસ એક બાદ એક બે આરોપીને પકડી લાવી. તે સમયે અન્ય એક સાથી જામનગરના રણજીતપરમાં મજુરીકામ કરતો હોવાની જાણ થતા એક જ સમયે પોલીસની અલગ-અલગ ટીમને ત્રણેય આરોપીની ભાળ મળી હતી.
જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના જોબટ તાલુકાના બોરી ગામમાંથી નિલેશ ભદન વાસકેલા, અને સનીયા(સુનિલ) ભદન વાસકેલાને બંન્ને સગાભાઈને પોલીસે પકડી પાડ્યા હતા. તેમજ જામનગરની પોલીસની અન્ય ટીમે નારૂ ભદન વાસકેલાને રણજીતપર પાસેથી પકડી પાડ્યો હતો. નજીવી રકમ માટે ત્રણ ભાઈઓ સાથે મળીને લુંટ કરી હતી. લુંટ માટે વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો હતો. લુંટના બનાવ બાદ વતનમાં લગ્ન પ્રસંગમાં ઉજવણીમાં મગ્ન હતા. ત્યાં જઈને ગુજરાત પોલીસને વૃદ્ધ પર રહેલા હુમલા અને લુંટના કેસમાં ત્રણ આરોપીને પકડીને પોલીસનો રંગ દેખાડયો.