Jamnagar: જિલ્લાના 4 સ્થળોએ ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ, કૃષિ મંત્રીએ ખેડૂતોને લઈને કહી આ વાત
જામનગર (Jamnagar) એ દરિયા કિનારાનો વિસ્તાર હોય અહી તળમાં પાણીની અછત છે ત્યારે ચેકડેમના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ સિંચાઇના પાણીનો લાભ મળશે.
ઉનાળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે આગામી ચોમાસામાં પાણી સંગ્રહ થઈ શકે તેમજ ખેડુતોને વધુમાં વધુ લાભ મળી શકે તે હેતુને ધ્યાનમાં લઈ જામનગર (Jamnagar News) જિલ્લાના અલગ અલગ 4 સ્થળોએ ચેકડેમનું ખાતમુહૂર્ત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલેના હસ્તે કરવામાં આવ્યું. જામનગર જિલ્લાના જાંબુડા, અલીયા, મોડપર અને ખોજા બેરાજા ગામે ચેકડેમોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે 35 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ઉપરોક્ત ચાર ગામોમાં કુલ 39 લાખ રૂપિયાના ખર્ચે આ ચેકડેમોના નિર્માણ કાર્યને મંજૂરી મળી છે.
જામનગરમાં પાણીનુ તળ ઉંચુ આવશે
કૃષિમંત્રીએ વિવિધ ચેકડેમોના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે સ્થાનિક તળાવો જ આપણી નર્મદા છે ત્યારે આગામી સમયમાં નિર્માણ પામનારા આ ચેકડેમોથી વરસાદી પાણીનો સંગ્રહ થશે અને વરસાદી પાણી દરિયામાં જતું અટકશે. જામનગર એ દરિયા કિનારાનો વિસ્તાર હોય અહી તળમાં પાણીની અછત છે ત્યારે ચેકડેમના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ સિંચાઇના પાણીનો લાભ મળશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધની નેમને સાકાર કરવા કૃષિલક્ષી અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ ચેકડેમના નિર્માણ થકી સિમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં સૂત્ર પણ સાર્થક થશે. વિવિધ ગામોમાં મંત્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. મંત્રીએ આ તકે જામનગર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ઇજનેરોના ખેડૂતો પ્રત્યેના ઉત્સાહને અવકાર્યો હતો.
ચેકડેમ તૈયાર કરવા માટે ગ્રાન્ટની મંજુરી
ખાતમુહૂર્ત કરાયેલા આ ચેકડેમોમાં જાંબુડા ગામ તળાવ ખાતે બંધાનાર ચેકડેમનું 12 લાખ રૂપિયા, અલિયા ખાતે મચ્છુ માતાજી ચેકડેમનું 12 લાખ રૂપિયા, મોડપર ગામે સી.ડી. ચેકડેમનું 8 લાખ રૂપિયા તેમજ ખોજા બેરાજા ગામે સી.ડી. ચેકડેમનું 7 લાખ રૂપિયાના ખર્ચે આગામી સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે.
વિવિધ વિસ્તારોમાં ચેકડેમ બનતા આસપાસના ખેડૂતોને તેનો લાભ વર્ષો સુધી મળી શકશે. સરકાર દ્વારા ખેડૂતોને પાણીની મુશ્કેલીઓ દુર કરવાના આશયથી કરોડો રૂપિયા ખર્ચેને સ્થાનિક કક્ષા પાણીના સ્ત્રોત ઉપલબ્ધ થાય તે માટેની વિવિધ યોજના હેઠળ આ પ્રકાર અલગ-અલગ વિસ્તારોમાં ચેકડેમ તૈયાર કરવાની કામગીરી કરાશે. જેને લઈને ગ્રાન્ટ મંજુર કરીને ફાળવવામાં આવી છે.