Jamnagar : વરસાદની આગાહીને પગલે જિલ્લાના તમામ બંદર પર ભયસૂચક સિગ્નલ, માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ
વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના હળવા દબાણને લો પ્રેસર પણ કહેવામાં આવે છે, તે દક્ષિણ ગુજરાતથી ખૂબ નજીક છે. આ વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ખૂબ સારો વરસાદ મળશે. આ સાથે જ આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે. જેથી દરિયામાં ભારે પવન અને વરસાદની શક્યતા સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદનું અનુમાન છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
જામનગરના (Jamnagar) બેડી, રોઝી, સલાયા સહીતના તમામ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ઉપર રચાયેલા લો પ્રેશરના કારણે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લો પ્રેશરના કારણે 45 થી 65 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી પણ કરવામાં આવી છે. લો પ્રેશરના કારણે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે, સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર પણ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ જીએમબી દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જાફરાબાદ, પોરબંદર, માંગરોળ અને ગીરસોમનાથના વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયા છે. પોરબંદર પોર્ટ, જાફરાબાદ પોર્ટ, માંગરોળ પોર્ટ અને વેરાવળ પોર્ટ પર ગુજરાત મેરિટાઇન બોર્ડે દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, હાલ 33 માંથી 28 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. જેમાંથી સૌથી વધુ વરસાદની ઘટ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર અને દાહોદમાં જોવા મળી રહી છે. 12 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં 39% જેટલા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતો અને વૈજ્ઞાનિકો પણ ચિંતિત છે. પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરથી ગુજરાત રાજયને ખૂબ સારો વરસાદ મળશે.