Jamnagar: કોર્પોરેશને ગેરકાયદે કનેક્શન બનાવી દીધા કાયદેસર અને સવા કરોડની કમાણી કરી, બે કરોડ હજુ બાકી
જામનગરમાં(Jamnagar) બે વર્ષ અગાઉ ભૂતિયા નળ અંગે એક સરવે કરવામાં આવ્યો હતો. તેની અસરરૂપે જામનગર મહાનગર પાલિકાની વોટરવર્કસ શાખા દ્વારા 2,000થી વધુ ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરીને સવા કરોડની આવક રળવામાં આવી હતી
(Jamnagar)જામનગરમાં બે વર્ષ અગાઉ ભૂતિયા નળ કનેક્શન અંગે એક સરવે કરવામાં આવ્યો હતો. તેની અસરરૂપે જામનગર મહાનગર પાલિકાની વોટરવર્કસ શાખા (water works)દ્વારા 2,000થી વધુ ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરીને સવા કરોડની આવક રળવામાં આવી હતી. ગેરકાયદે નળ જોડાણ લઈને બેઠેલા લોકો સામે તંત્રએ લાલ આંખ કરીને નળ જોડાણને કાયદેસર કરવા નોટીસ પાઠવી હતી. જોકે આ જોડાણ કાયદેસર કરવા દરમિયાન એવી વિગતો પણ સામે આવી હતી કે વચેટિયાઓ દ્વારા નળ જોડાણ લઇને બેઠેલા લોકોને જે-તે સમયે પહોંચ ન અપાતા તે લોકોએ મહાનગર પાલિકામાં દંડ ભરવો પડ્યો હતો.
બે વર્ષ અગાઉ જામનગરમાં ભૂતિયા નળ કનેક્શન અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તે સમયે મહાનગર પાલિકાની વોટર વર્ક શાખા દ્વારા ભૂતિયા નળ કનેક્શન અંગે ઓગસ્ટ 2020માં ડોર ડુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. વોટર્સ વર્ક શાખાની 16 ટીમ દ્વારા બે મહિના સુધી 68,000 મકાનોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 21,516 જેટલા ભૂતિયા કનેક્શનની માહિતી મળી હતી. આ તમામને નોટિસ પાઠવીને નળના જોડાણ કાયદેસર કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સરવેમાં વિગતો સામે આવી હતી કે શહેરમાં કેટલાક લોકોએ નળ કનેકશનનો ચાર્જ ભર્યા વિના જ કનેકશન મેળવ્યું હતુ. તો કેટલાક લોકો બીજાના કનેક્શનમાંથી લાઇન લઇને મહાનગર પાલિકાને કિંમત ચૂકવ્યા વિના જ પાણીનો ઉપયોગ કરતા હતા. આ તમામ પાણીના જોડાણને ભૂતિયા નળ કનેક્શન ગણીને કાયદેસર કામગીરી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.
સાથે જ તંત્રએ આ કનેક્શનને કાયદેસર કરવા માટે એક વર્ષનો 1150 રૂપિયા વોટર ચાર્જ અને 500 રૂપિયા દંડ સાથે કુલ રૂપિયા 1650 ભરીવાની યોજના અમલમાં મૂકી હતી. આ યોજના ફેબ્રુઆરી 2021 સુધી અમલમાં હતી. આથી આ યોજના હેઠળ મહાનગર પાલિકાને સવા કરોડની આવક થઈ હતી. તો બે કરોડની ડીમાન્ડ બાકી છે.
વચેટિયાઓ દ્વારા નળ કનેક્શન મેળવનારા બે વાર દંડાયા
જોકે નળ કનેક્શનને કાયદેસર કરવા દરમિયાન મનપા જામનગરના વિપક્ષના નેતા આનંદ રાઠોડે આક્ષેપ કર્યો છે કે આમ કરવાને લીધે નાગરિકો બમણા દંડાયા છે. વિપક્ષે કહ્યું હતું કે મહાનગર પાલિકા દ્વારા નળ કનેક્શન માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે ત્રાહિત વ્યક્તિને નળ કનેક્શન માટે રોકડાં આપીને બેઠેલા લોકોને પૈસા જમા થયાની પહોંચ મળી નથી, આથી આવા લોકોએ બમણા પૈસા ભરવા પડ્યા છે.વિપક્ષે એમ પણ કહ્યું છે કે કોઈ એક વિસ્તારમાં મોટી સંખ્યામાં ભૂતિયા કનેક્શન મળી આવે તો વચેટીયા પાસેથી નાણાં લેવા જોઈએ.