Jamnagar : લાલપુર, જામજોધપુર, તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું અમિત શાહે કર્યુ વર્ચ્યુઅલ લોકાર્પણ
આ પ્રસંગે લાલપુર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા (Brijesh Merja) કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે, રૂપિયા 2.28 કરોડના ખર્ચે બનેલા જામનગર જિલ્લાના (Jamnagar Latest News) લાલપુર, જામજોધપુર અને કાલાવડના ગ્રામ્ય પોલીસ મથકનું ઈ લોકાર્પણ કર્યુ હતું. રવિવારે નડીયાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, ગૃહપ્રધાન અમિતભાઈ શાહે, લાલપુર ખાતે પોલીસ કરમચારીઓ માટે રૂપિયા 1.42 કરોડના ખર્ચે બનેલા પોલીસ આવાસનું પણ ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું.
જામનગરના લાલપુર, જામજોધપુર અને કાલાવડ ગ્રામ્ય પોલિસને નવા પોલિસ મથક મળતા, ત્યાં ફરજ બજાવતા પોલિસ જવાનો અને અરજદાર ફરીયાદીઓને વ્યવસ્થા મળી શકશે. આ પ્રસંગે લાલપુર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યની પોલિસ લોકમિત્ર બનીને કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સાથે રાજ્યની પોલીસ ‘May I Help You’ની વિભાવનાને પણ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે અને પોલીસ લોકમિત્ર બની પોતાની ઉમદા કામગીરી નિભાવી રહી છે. સરકારે અનેક ક્ષેત્રે વિકાસના નવા આયામો સર કર્યા છે. ખેડૂત, ખેતી અને ગામડા સમૃદ્ધ બને અને નાગરિકોને શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે છેવાડાના વિસ્તારોમાં પણ સરકારે અસરકારક કામગીરી હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 11 જેટલા પ્રકલ્પો થકી સરોવરો, વૃક્ષો તથા ગ્રામ્ય જીવન ચેતનવંતા બન્યા છે. 15માં નાણાપંચની રકમમાં સરકાર દ્વારા કરાયેલા વધારાના કારણે ગ્રામ પંચાયતની આજે તમામ મુખ્ય જરૂરિયાતો પરિપૂર્ણ થઇ છે તેમ જણાવી રાજ્ય સરકારના વિવિધ વિકાસ કામો અને યોજનાકીય બાબતોથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રીએ માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ સૌને આવકાર્યા હતા. જયારે નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ રહ્યા હતા ઉપસ્થિત
આ પ્રસંગે ધારાસભ્ય આર.સી. ફળદુ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, રાજકોટ રેન્જ આઇ.જી. સંદિપસિંહ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, સહિત અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.