Jamnagar: સમાજ સુરક્ષા વિભાગની ટીમે 14 વર્ષીય બાળકીના બાળ લગ્ન થતા અટકાવ્યા
સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર કે આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે, અથવા થાય છે, તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2570306), જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ની કચેરી (0288-2571098), ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર આપ લેખિત ટેલીફોનીક જાણ કરી શકો છો.
જામનગર (Jamnagar News) નજીક હાપા લાલવાડી વિસ્તારમાં આજે (23 મે 2022) એક પરિવાર દ્વારા બાળ લગ્ન કરાવાઈ રહ્યા હતા. જે દરમિયાન મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચી ગઈ હતી અને જામનગર સમાજ સુરક્ષા કચેરીની ટીમને પણ સ્થળ પર બોલાવી લીધા પછી બન્ને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવ્યા હતા, જ્યારે 14 વર્ષની સગીરાને વિકાસ ગૃહમાં મોકલી આપી હતી. 12 દિવસ પહેલાં પણ જામજોધપુર પંથકમાં બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા 16 વર્ષની એક તરુણીના બાળ લગ્ન અટકાવાયા હતા અને બંને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવી સમાજમાં બાળલગ્ન અંગે જાગૃતિ માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શું છે સમગ્ર મામલો
જામનગર પંથકમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગરના હાપા નજીક લાલવાડી વિસ્તારમાં આજે બપોરે એક 14 વર્ષની સગીરાના તેમજ 22 વર્ષના યુવકના બાળ લગ્ન થતા અટકાવ્યા હતા અને કન્યાના પરિવારજનોને કન્યા પુખ્ત વયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા માટે સમજણ આપી હતી. સૌપ્રથમ 181 અભયમ્ ટીમને બાળ લગ્નની જાણકારી મળી હતી, અને ઘટના સ્થળે પહોંચી જઈ અને વાલીનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ અભયમ ટીમ દ્વારા તરત જ 1098 ચાઈલ્ડ લાઈનની ટીમને જાણ કરીને થઈ રહેલા બાળ લગ્નની માહિતી આપી હતી. જેથી સમાજ સુરક્ષા વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને 22 વર્ષના યુવક તેમજ 14 વર્ષની સગીરાના લગ્ન અટકાવ્યા હતા અને તેઓને સગીરા પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવા માટેની સમજ આપી હતી. એટલું જ નહીં, બંને પરિવારો સાથે મંત્રણા કરીને સમજ આપ્યા પછી હાલ કન્યા કે જે સગીર વયની હતી, તેને વિકાસ ગૃહમાં મોકલી આપી છે અને જ્યારે પુખ્ત વયની થશે, ત્યારે જ તેણીના લગ્ન કરવા માટેની પરિવારજનોએ પણ સહમતી દર્શાવી હતી.
અગાઉ જામજોધપુરમાં પણ સામે આવ્યો હતો બાળલગ્નનો કિસ્સો
આ અગાઉ તા. 11 મેના દિવસે જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં 16 વર્ષની કન્યાના બાળ લગ્ન થઈ રહ્યા હોવાની 181 અભયમ ટીમને જાણકારી મળતા અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી, ત્યાર પછી જામનગરની સમાજ સુરક્ષા વિભાગની કચેરીને જાણ કરાતાં સમાજ સુરક્ષા વિભાગની ટીમ પાટણ ગામે પહોંચી ગઈ હતી અને 16 વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવ્યા હતા અને બન્ને પરિવારને કાયદાકીય જાણકારી આપીને સગીરા જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જ તેણીના લગ્ન કરાવવા માટે પરિવારજનોને સમજ આપી હતી અને તેઓ પાસેથી બાંહેધરી મેળવી લીધી હતી.
બંને ઘટના સ્થળે 18 વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તેમના પરિવારને સમજાવવામાં આવ્યા હતા અને બાદમાં સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું.
બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઈએ તો સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક-યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ-બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વગેરે તમામને, આ કાયદાકીય જોગવાઈ હેઠળ આરોપી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.
બાળ લગ્ન થતા અટકાવવા શું કરવું?
સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર કે આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે, અથવા થાય છે, તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2570306), જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ની કચેરી (0288-2571098), ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર આપ લેખિત ટેલીફોનીક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળ લગ્ન નાબુદ કરવા માટે સહિયારો પ્રયાસ અને કામગીરી થઈ શકે.