Jamnagar: ઈન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરવાના ગુનામાં 3 શખ્સો ઝડપાયા, સાઈબર ક્રાઈમ સેલની ટીમને મળી સફળતા
પોલીસ તપાસ દરમિયાન જામનગર અને ધ્રોલના બંને વ્યક્તિઓ સાથે ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેઓ પાસેથી કુલ 105 જુદી-જુદી મોબાઈલ કંપનીના સીમ કાર્ડ, 16 નંગ અલગ-અલગ બેન્કના એટીએમ કાર્ડ, છ નંગ ચેકબુક, બે નંગ ફ્રીડમ કાર્ડ, એક કોમ્પ્યુટર સેટ, અને મોબાઈલ ફોન કબ્જે કરી લેવાયા છે
જામનગરના (Jamnagar Latest News) એક વ્યક્તિ સાથે 2021ના વર્ષમાં ફ્રોડ કરવા અંગેના મામલામાં તેમજ જાન્યુઆરી 2022માં ધ્રોલના એક વેપારી સાથે ફ્રોડ કરવા અંગેના ગુનામાં જામનગરની સાઇબર ક્રાઇમ (Cyber Crime) સેલની ટીમે તપાસનો દોર સુરત અને મહારાષ્ટ્ર સુધી લંબાવ્યો હતો અને ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી 105 નંગ સીમકાર્ડ, 16 નંગ એટીએમ કાર્ડ, છ ચેકબુક, 1 કોમ્પ્યુટર સેટ, મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.
શું છે સમગ્ર ઘટના
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના એક આંગણવાડી મહિલા કાર્યકરના પતિ સાથે પુત્રીના જન્મ પછી રોકાણના નામે ફ્રોડ કરતી એક ગેંગ દ્વારા બેંક મારફતે રૂપિયા 56 હજાર પડાવી લઈ ચીટીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધ્રોલના એક કોન્ટ્રાક્ટર યુવાન સાથે પણ ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરી કટકે કટકે રૂપિયા નવ લાખની રકમ પડાવી લીધી હતી, જે અંગે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા બે ગુના નોંધવામાં આવ્યા હતા.
જે બંને ગુનાઓની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી અને મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ, તેમજ અન્ય ટેકનિકલ ઈન્સ્ટ્રુમેન્ટના સહારે તપાસનો દોર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સુધી લંબાયો હતો અને ત્યાંથી મોહમ્મદ સઈદ ખાટિક નામના શખ્સને ઝડપી લેવાયો હતો, જેને જામનગર લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો હતો, ત્યાં વરાછા વિસ્તારમાંથી ખુશાલ ધનસુખભાઈ ઇટાલીયા તેમજ ચોર્યાસી વિસ્તારમાંથી હેવિલ બળવંતભાઈ પટેલ નામના અન્ય બે શખ્સોને પણ પકડી લેવાયા હતા અને જામનગર લઈ આવ્યા પછી તેઓની પણ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
પોલીસ તપાસ દરમિયાન ઉપરોકત ત્રિપુટીએ જામનગર અને ધ્રોલના બંને વ્યક્તિઓ સાથે ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેઓ પાસેથી કુલ 105 જુદી-જુદી મોબાઈલ કંપનીના સીમ કાર્ડ, 16 નંગ અલગ-અલગ બેન્કના એટીએમ કાર્ડ, છ નંગ ચેકબુક, બે નંગ ફ્રીડમ કાર્ડ, એક કોમ્પ્યુટર સેટ, અને મોબાઈલ ફોન કબ્જે કરી લેવાયા છે અને ત્રણેયની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને છેતરપિંડી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યમાં “સાયબર ક્રાઈમ સુરક્ષા” આપવા માટે અત્યાધુનિક કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં પહેલ કરવામાં આવી છે.