ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022માં જામનગરના વિદ્યાર્થીને સ્ટાર્ટઅપ માટે રૂપિયા 2.50 કરોડનું ભંડોળ મળ્યુ
નીલકંઠ મારડિયા જામનગરના(Jamnagar) રહેવાસી છે અને ગુજરાતમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. સ્ટાર્ટઅપ સ્થાપવાના તેમના સપનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમે જાણે કે પાંખો આપી છે.
આયુષ(Ayush) મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ (Startup) કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણી પહેલો કરી છે. ત્રણ દિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS 2022)માં પણ સ્ટાર્ટઅપ્સને લઈને વિદ્યાર્થીઓ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના ઉત્પાદનો અને વિવિધ પહેલોનું પ્રદર્શન કર્યું હતું. GAIIS 2022માં યોજાયેલા પ્રદર્શનમાં, સ્ટાર્ટઅપની સાથે ઘણી સ્થાપિત કંપનીઓએ પણ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટ માટે તેમના સ્ટોલ સેટઅપ કર્યા હતા. આવા જ એક જામનગરના(Jamnagar) વિદ્યાર્થી નીલકંઠ મારડિયા દ્વારા સ્થાપિત આયુર્વેદિક સ્ટાર્ટઅપ, ગ્રીન ફોરેસ્ટ વેલનેસને એક ખાનગી કંપની તરફથી રૂ. 2.50 કરોડના ફંડિગની ઓફર મળી છે.
આ ફંડનો ઉપયોગ તેઓ પોતાની પ્રોડક્ટ્સના વિસ્તરણ અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે કરશે
નીલકંઠ મારડિયા જામનગરના રહેવાસી છે અને ગુજરાતમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. સ્ટાર્ટઅપ સ્થાપવાના તેમના સપનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમે જાણે કે પાંખો આપી છે. ઓક્ટોબર 2021 માં માત્ર રૂપિયા પાંચ લાખ સાથે તેમણે આયુર્વેદ આધારિત કોસ્મેટિક કંપની ‘ગ્રીન ફોરેસ્ટ વેલનેસ’ શરૂ કરી હતી, પરંતુ ફંડની અછતના કારણે તેઓ પોતાની કંપનીની પહોંચને વિસ્તારવા અને વેચાણ વધારવામાં સક્ષમ ન હતા.ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં મળેલ આ ફંડનો ઉપયોગ તેઓ પોતાની પ્રોડક્ટ્સના વિસ્તરણ અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે કરશે તેમ નીલકંઠ મારડિયા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કરતી વખતે ગુજરાતનો ઉલ્લેખ કર્યો હતો અને અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે અન્ય ક્ષેત્રોની જેમ જ આવનારા વર્ષોમાં તેમને આયુષ ક્ષેત્રમાંથી પણ યુનિકોર્ન ઉભરતા જોવા મળશે. નીલકંઠ મારડિયાની સફળતાઓ વધુ સ્ટાર્ટઅપ્સને આયુષ સેક્ટરમાંથી ઉભરી આવવા માટે પ્રેરણા આપશે.
આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત નવી ફોર્મ્યુલેશન શોધવાનો શોખ હતો
ITRA ના ડિરેક્ટર ડૉ. અનુપ ઠાકરે જણાવ્યું હતું કે, “નીલકંઠ મારડિયા શરૂઆતથી જ કુશળ અને મહેનતુ વિદ્યાર્થી હતા. તેમને આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત નવી ફોર્મ્યુલેશન શોધવાનો શોખ હતો. તે પોતાના ઉદ્યોગસાહસિક સ્વપ્નને લઈને ખૂબ જ ઉત્સાહી છે. મને ખુશી છે કે એક ખાનગી કંપનીએ તેના સ્ટાર્ટઅપમાં રૂ. 2.50 કરોડનું રોકાણ કરવાની ઓફર કરી છે. હું તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.”
ગ્રીન સ્ટાર્ટઅપ સેટ કરવા માંગે છે
ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપની દ્વારા એન્ટિ-એજિંગ ક્રીમ, હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ, ફેશિયલ ક્લીન્સર, ઇન્ટેન્સ રિપેર ફેશિયલ ક્લીન્સર, હેર ક્લીન્સર, હેર કન્ડિશનર અને ફેશિયલ સીરમ જેવા આયુર્વેદ આધારિત કોસ્મેટિક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ગ્રીન ફોરેસ્ટ વેલનેસ કંપની ભવિષ્ય માટે કેટલીક મોટી વિસ્તરણ યોજના પણ ધરાવે છે. નીલકંઠ મારડિયાએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ ગ્રીન સ્ટાર્ટઅપ સેટ કરવા માંગે છે.
આગામી સમયમાં ફોરેસ્ટ વેલનેસ ક્લિનિક સ્થાપિત થશે, જ્યાં દર્દીને કુદરતી રીતે તેમની સમસ્યા અનુસાર આયુર્વેદિક દવા આપવામાં આવશે. અન્ય યોજનામાં ગ્રીન ફોરેસ્ટ વેલનેસ પાર્કની સ્થાપનાનો સમાવેશ થાય છે, જે માદક દ્રવ્યોના વ્યસનીઓને મુક્ત કરવા પર કામ કરશે. સાથે જ ગ્રીન ફોરેસ્ટ વેટરનરી સોલ્યુશન સેટઅપ કરવાની પણ યોજના કરવામાં આવી છે, જ્યાં આયુર્વેદિક પદ્ધતિઓ અને ઉપાયો દ્વારા પ્રાણીઓને સ્વસ્થ રાખવામાં આવશે.