નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના ફાળે 7 મંત્રીઓ,રાજકોટ જિલ્લાનું રાજકીય કદ વેતરાયું
ગત મંત્રી મંડળમાં રાજકોટ જિલ્લાના ફાળે એક મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી હતા જેની સામે નવા મંત્રી મંડળમાં અરવિંદ રૈયાણી એકમાત્ર રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની આજે ઘોષણા કરવામાં આવી. નવી સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ત્રણ મંત્રીઓને કેબિનેટ દરરજો આપવામાં આવ્યો છે. જ્યારે એક મંત્રીને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
જોકે નવા પ્રધાન મંડળમાં રાજકોટ જિલ્લાનું રાજકીય કદ વેતરાયું છે.રાજકોટ જિલ્લામાં ગત ટર્મમાં મુખ્યમંત્રી રાજકોટના હતા. જ્યારે બે કેબિનેટ મંત્રીઓ હતા. જેની સામે એક જ રાજ્યકક્ષાના મંત્રી તરીકે અરવિંદ રૈયાણીને જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપના નો રિપીટ થીયરીથી સૌરાષ્ટ્ર ભાજપના જુના જોગીઓને કટ્ટ ટુ સાઇઝ કરીને નવા નેતૃત્વને જવાબદારી સોંપવામાં આવી છે.
જાતિગત સમીકરણ સાચવવાનો પ્રયાસ રાજકોટમાં જાતિગત સમીકરણ સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.નવા મંત્રીમંડળમાં 3 લેઉવા પટેલ,એક કડવા પટેલ,2 ઓબીસી અને 1 ક્ષત્રિય સમાજને પ્રભુત્વ આપવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે,ગત પ્રધાનમંડળમાં લેઉવા પાટીદાર સમાજના બે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને આર,સી,ફળદું હતા.
જેની સામે રાઘવજી પટેલ અને જીતુ વાધાણીને નવું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.ઓબીસી સમાજમાંથી જવાહર ચાવડા અને વાસણભાઇ આહિર તથા પરસોતમ સોલંકી અને કુંવરજી બાવળિયા એમ ચાર ઓબીસી મંત્રીઓ હતા જેમાંથી સૌરાષ્ટ્રમાં બે જ ઓબીસીમંત્રીઓને મંત્રીપદમાં સ્થાન મળ્યું છે.તો ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ જળવાયું છે.
સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમાણે જોઇએ મંત્રીમંડળમાં ફેરફાર ગત મંત્રી મંડળમાં રાજકોટ જિલ્લાના ફાળે એક મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી હતા જેની સામે નવા મંત્રી મંડળમાં અરવિંદ રૈયાણી એકમાત્ર રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.
જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગત મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઘર્મેન્દ્રસિંહ જાડેજા હતા જેની સામે હવે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ નેતૃત્વ કરશે.
જુનાગઢ જિલ્લામાંથી ગત મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા હતા જેની સામે કેશોદના ધારાસભ્ય દેવા માલમને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.
ભાવનગર જિલ્લામાંથી પરસોતમ સોલંકી અને વિભાવરીબેન દવે રાજ્યકક્ષાના મંત્રી હતા જેની સામે હવે જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી જ્યારે આર,સી મકવાણાને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.
કચ્છ જિલ્લામાંથી ગત પ્રધાનમંડળમાં વાસણ આહિર રાજ્યકક્ષાના મંત્રી હતા જેની સામે નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાને પ્રતિનિધીત્વ મળ્યું છે જે ગત પ્રધાનમંડળમાં ન હતુ જેમાં કિરીટસિંહ રાણાને કેબિનેટ મંત્રી જ્યારે મોરબીના બ્રિજેશ મેરજાને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
સિનીયરોની અવગણના ભાજપ માટે બનશે પડકારજનક? ભાજપ દ્રારા જાહેર કરવામાં આવેલા નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા,કુંવરજી બાવળિયા,જવાહર ચાવડા અને પરસોત્તમ સોલંકીને પડતા મૂકવામાં આવ્યા છે.આ તમામ નેતાઓ એવા છે જેઓ પોતાના મત વિસ્તારમાં સારૂ પ્રભુત્વ ધરાવે છે.કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી બંન્ને કોળી સમાજના આગેવાન છે અને સૌરાષ્ટ્રની અનેક બેઠકોમાં તેઓ અસર પાડી શકે છે.
જયેશ રાદડિયા લેઉવા પાટીદાર સમાજના અગ્રણીની સાથે સાથે સહકારી આગેવાન પણ છે.સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને જયેશ રાદડિયા લોકપ્રિય ચહેરો છે એજ રીતે આહિર સમાજ એટલે કે ઓબીસી સમાજના મોટા ચહેરા ગણાતા જવાહર ચાવડાને પણ પડતા મૂકવામાં આવ્યા છે.આવા સક્ષમ નેતાઓને પડતા મૂકીને તેની અવગણના ભાજપ માટે જરૂર પડકાર જનક બનશે.
ભાજપ એક શિસ્તબધ્ધ પાર્ટી છે જેથી ખુલ્લી તરીકે કોઇ વિરોધ સામે આવે તેવું ન બને પરંતુ આ સિનીયર નેતાઓએ આ અવગણનાની વર્ષ 2022ની ચૂંટણીમાં અસર થશે તેવી ગર્ભિત ચીમકી આપેલ છે જેથી આ અવગણના ભાજપ માટે પડકારરૂપ બની શકે છે.