મોરબી બ્રિજ દુર્ઘટનામાં હાઇકોર્ટની સુઓ મોટો કાર્યવાહી, કહ્યુ ‘અમને રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા’
મોરબી બ્રિજ દુર્ઘટના પર 14 નવેમ્બરે વધુ સુનાવણી ધરાશે. દુર્ઘટના પર પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલોને ધ્યાને લેવા હાઇકોર્ટે સૂચન કર્યા છે. તો સાથે જ 134 લોકોના મોત મુદ્દે સમાચાર અહેવાલોને ધ્યાને લેવા સૂચના આપી છે.
દિવાળી વેકેશન બાદ આજથી ગુજરાત હાઇકોર્ટમાં કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે ત્યારે દિવાળી બાદ શરુ થયેલી હાઇકોર્ટમાં સૌ પ્રથમ મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. જે માટે હાઇકોર્ટ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યુ. જે પછી હાઇકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સૌથી અગત્યની વાત એ કહી શકાય કે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તો દુર્ઘટના પર પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલોને ધ્યાને લેવા હાઇકોર્ટે સૂચન કર્યા છે. તો સાથે જ 134 લોકોના મોત મુદ્દે સમાચાર અહેવાલોને ધ્યાને લેવા સૂચના આપી છે.
આટલી મોટી દુર્ઘટના બને છે. જેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવામાં આવી છે, 135 લોકોના કેબલ બ્રિજ દુર્ઘટનામાં મોત થયાનું સામે આવ્યુ છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યુ છે અને સમગ્ર મામલે સુઓ મોટો અરજી દાખલ કરી છે. વધુમાં હાઇકોર્ટ દ્વારા કેટલાક નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. જેમાં તમામ પક્ષકારોને એક સપ્તાહ બાદ એટલે કે સોમવાર સુધીમાં પોતાના તરફથી જે જે રિપોર્ટ તૈયાર કરવા સૂચન કર્યુ છે. 14 નવેમબરે આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. જેમાં પક્ષકારો પોતાનો રિપોર્ટ રજુ કરશે.
મહત્વનું છે કે મોરબી દુર્ઘટનાને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે, આ કેસમાં હાઈકોર્ટ હસ્તક્ષેપ કરીને જવાબદારો સામે પગલા લે. આ અરજીમાં મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોને ન્યાય મળે તેવી અરજીમાં રજૂઆત કરાઈ હતી. જેને લઇને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.