VedLakshana Covid Care Center : ગુજરાતની પ્રથમ ગૌશાળા કોવિડ કેર સેન્ટર, પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી થશે કોરોના દર્દીઓની સારવાર
VedLakshana Covid Care Center : પાંચ હજાર ગાય જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહી કુદરતી વાતાવરણમાં કોરોના દર્દીઓ સારવાર મેળવશે.
VedLakshana Covid Care Center : બનાસકાંઠાના ડીસામાં આવેલ ટેટોડા ગામમાં શ્રીરાજારામ ગૌશાળા આશ્રમ ખાતે ગુજરાતનું પ્રથમ ગૌશાળા કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેને વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ કોવીડ આઇસોલેશન સેન્ટર નામ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારના લોકોને મળશે સારવાર રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ વધ્યો છે. તે વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકો સામે આવ્યા છે. જિલ્લાની સૌથી મોટી શ્રીરાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવશે.
પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી થશે સારવાર વેદલક્ષણા ગૌમાતાથી પ્રાપ્ત થયેલ પંચગવ્ય જેમાં ગૌમુત્ર, ઘી, દૂધ તથા દહીં સાથે અનેક આયુર્વેદિક ઔષધીથી તૈયાર કરવામાં આવેલું પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા સારવાર આપવામાં આવશે. જ્યારે દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવશે. કોરોના દર્દીઓને VedLakshana Covid Care Center માં પૂજા-ઉપાસના, ગોધૃત, ગુગળ અને હવન સામગ્રીથી પ્રતિદિન યજ્ઞ ધૂપ દ્વારા વાતાવરણમાં કોરોના દર્દીઓ માટે પ્રાણશક્તિનું નિર્માણ કરવામાં આવશે.
50 બેડ તૈયાર કરવામાં આવ્યા શ્રીરાજારામ ગૌશાળા આશ્રમમાં તૈયાર થયેલા આ VedLakshana Covid Care Center માં 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 1 આયુર્વેદ અને 1 એલોપથી ડૉકટર સાથે 5 નર્સ કોવિડ દર્દીઓને સારવાર આપશે. કોવિડ કેર સેન્ટરમાં ઠંકડ રહે તે હેતુથી સમગ્ર કોવિડ કેરની આજુબાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે. જેથી કોવિડ સેન્ટરમાં કુદરતી રીતે તાપમાન જળવાઈ રહી.
પાંચ હજાર ગાયોના નિવાસ સાથે કુદરતી વાતાવરણ આ અંગે ગૌશાળાના સંચાલક રામરતન મહારાજે જણાવ્યું હતું કે કોરોના નું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયું છે. ભારતીય આયુર્વેદમાં મહામારી તેમજ અસાધ્ય રોગોને ઈલાજ માટે ગાય માતા દ્વારા તૈયાર થયેલા ખોરાક દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ આપશે. જ્યારે આયુર્વેદ અને એલોપથી ઈલાજના કારણે દર્દીઓ જલ્દી સાજા થશે. વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી દર્દીઓની સારવાર થશે. પાંચ હજાર ગાય જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહી કુદરતી વાતાવરણમાં કોરોના દર્દીઓ સારવાર મેળવશે.