Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
Gujarat Brief News : જાણો, ગુજરાતમાં ક્યાં થયા આરોગ્યમાં ચેડા, ક્યારે યોજાશે વિજ્ઞાન પ્રવાહની ધો.12ની રિપીટર પરીક્ષા, ક્યા શહેરમાં રેલવે સ્ટેશન પર મુકાયા આધુનિક કેમેરા, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
1.રાજ્યના 3 મહાનગરમાં પોલીસ કમિશ્નર બદલાય તેવી સંભાવના
રાજ્યમાં 3 મહાનગરમાં પોલીસ કમિશ્નર બદલાશે, તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની પણ બદલી થાય તેવી સંભાવના છે.
2.અમદાવાદ અને સુરતમાં સ્પુતનિક-Vઆપવાની થઈ શરૂઆત
સ્પુતનિક-Vનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. ત્યારે હાલ અમદાવાદ અને સુરત શહેરમાં વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદની શેલ્બી હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલમાં સ્પુતનિક-V વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે.
3.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બોટાદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બોટાદના ગઢડામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે, 22 લાખના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પ્રતિ મિનીટ 150 લીટર ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા છે.
4.GTU ખાતે અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું શિક્ષણ મંત્રીએ કર્યું લોકાર્પણ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. ત્યારે આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાં દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.
5.ભુજમાં સરકારી તંત્રનો મોટો છબરડો, કોરોનાથી થતા મોતના આંકડામાં જોવા મળ્યો ફેરફાર
ભુજની સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના મોતના આકડાઓમાં તફાવત જોવા મળ્યો છે. RTIમાં ખુલાસો થતા સામે આવ્યું કે, જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં 282 લોકોના મોત કોરોનાથી થયા, જ્યારે માત્ર જી.કે જનરલ હોસ્પિટલમાં જ કોરોનાથી 334 લોકોના મોતની માહિતી આપવામા આવી છે.
6.તાઉતેમાં થયેલ નુકસાનની પુન: વિચારણા માટે કિસાન સંઘે રાજ્ય સરકારને લખ્યો પત્ર
તાઉતે વાવાઝોડામાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જે પેટે સરકારે હેક્ટર દીઠ 30 હજાર અને મહત્તમ બે હેક્ટરમાં સહાયનો પરિપત્ર જાહેર કર્યો હતો. જો કે, કિસાન સંઘે પાક નુકસાની સહાયમાં પુનઃવિચારણા કરવાની માગણી કરી છે. કિસાન સંઘે સંયુક્ત ખાતેદાર હોય તેવા કુંટુંબમાં બે હેક્ટરથી વધુ નુકસાન હોય તો સહાય આપવા રજુઆત કરી છે.
7.ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી થશે શરૂ
શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ધોરણ 10 અને 12ની રિપીટરની પરીક્ષા યોજવા અંગે નિર્ણય ક્રયો હતો. ત્યારે આગામી 15 જુલાઈથી ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ હોલ ટીકીટ મેળવી શકશે.
8.તાપીમાં હિંદુસ્તાન ઝિંક પ્લાન્ટ કંપનીના વિરોધને પગલે સુનાવણી મોકૂફ
તાપીમાં સોનગઢનાખાતે આવેલી હિંદુસ્તાન ઝિંક પ્લાન્ટ સામે લોકોનો વિરોધ જોતા, જાહેર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.આ સુનાવણીમાં આસપાસના સ્થાનિકો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આ પ્લાન્ટનો વિરોધ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યો છે.
9. તોરણીયા આશ્રમમાં આ વર્ષે નહિ યોજાય અષાઢી બીજ મહોત્સવ
ધોરાજીના તોરણીયા ગામે સેવાદાસ બાપા આશ્રમમાં આ વર્ષે અષાઢી બીજ મહોત્સવ યોજાશે નહિ. જો કે, અષાઢી બીજના દિવસે ભક્તો કોવિડ ગાઈડલાઇન અનુસાર મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લઈ શકશે.
10.સુરતમાં રેલવે સ્ટેશન પર લગાવવામાં આવશે આધુનિક કેમેરા
સુરત રેલવે સ્ટેશન પર ગુનાખોરી આચરનારા ગુનેગારો સામે પશ્ચિમ રેલવેએ લાલ આંખ કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર અદ્યતન સીસીટીવી કેમેરા નાખવાનું કામ શરૂ કરાયું છે. જેના કારણે ગુનાખોરોને પકડવામાં મદદ મળશે.
આ પણ વાંચો : Rajkot : ઉજ્જૈન મહાકાલ, સોમનાથ મહાદેવ અને કષ્ટભંજનનાં શિર પર બિરાજે છે રાજકોટની પાઘડી