Gujarat : ધોરણ 12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા જુની પદ્ધતિ મુજબ 1લી જુલાઇએ યોજાશે, શિક્ષણપ્રધાનની જાહેરાત

Gujarat : કોરોના મહામારીના વચ્ચે ધો.12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તે મામલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. જેમાં ધોરણ 12ની પરીક્ષાને લઇને નિર્ણય લેવાયો છે.

| Updated on: May 25, 2021 | 5:25 PM

Gujarat : કોરોના મહામારીના વચ્ચે ધો.12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તે મામલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. જેમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જુલાઈને ગુરૂવારથી યોજાશે. ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના પરિસ્થિતીમાં કોરોનાની SOPના ચૂસ્તપણે પાલન સાથે ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

 

 

રાજયમાં આશરે 6 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
​​શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવેએ આ અંગેની વિગતો આપી છે. જેમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5.43 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની 3 કલાકની પરીક્ષા રહેશે
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા સૂચનાઓ અપાઇ છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા ૩ કલાકની યોજાશે. આ જ પ્રમાણે ધોરણ-12સામાન્ય પ્રવાહમાં પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજાશે.

કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવા આદેશ
પરીક્ષાર્થીઓમાં સોશીયલ ડિસ્ટન્સ જાળવાય, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરાય તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે.

સ્કૂલની નજીક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર આપવાને મહત્વ અપાશે
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન કર્યુ હતું. ​​​​​​​તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાકાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે. આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા યોજાશે
​​​​​​​શિક્ષણમંત્રીએ ઉમેર્યુ કે, ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.1/7/2021થી શરૂ થનાર પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજાશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">