Gujarat ના નડિયાદની વિધિ જાદવે સરહદના છેલ્લા પિલર સુધી જઈ સિપાહીઓને રક્ષા બાંધી
વિધિએ રક્ષાબંધનના દિવસે દેશની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લીધી લઈ જવાનોને રાખડી બાંધી હતી. ત્યારબાદ લખપત પાસે આવેલ ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતેના જવાનોને રાખડી બાંધી હતી
ગુજરાત(Gujarat) ના નડીયાદની વિધિ જાદવે(Vidhi Jadav)અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.
વિધિનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે.પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
વિધિએ રક્ષાબંધન(Rakshabandhan) ના પર્વે દેશની સીમાઓ પર ઘરબાર અને બહેનની મમતાનો મોહ ત્યાગીને અવિરત અને અઘરી ફરજો બજાવતા સૈનિકો સુધી રાખડીઓ લઈને પહોંચવાનું અને તેમની સાથે રક્ષાબંધન મનાવવાનું નક્કી કર્યું હતું .તેની સૈનિક સમ્માન પ્રવૃત્તિઓનો ઉજળો રેકોર્ડ જોઈને શિસ્તબદ્ધ સેનાધિકારીઓએ તેને છેક સરહદના છેલ્લા પિલર સુધી જવાની મંજૂરી આપી હતી.
જ્યાંથી પાકિસ્તાની ચોકીઓ નરી આંખે દેખાતી હોય એવી સુરક્ષા ચોકીએ પહોંચીને સૈનિકોને રાખડી બાંધવાની વિશેષ મંજૂરી આપી હતી.
વિધિ જાદવે તા.૨૧,૨૨ ઓગસ્ટ – ૨૦૨૧ ના રોજ કચ્છ સરહદે આવેલ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (સરક્રીક વિસ્તાર) પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનો સાથે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું.તા.૨૧ ના રોજ વીઘાકોટ બોર્ડરે જવાનોને રાખી બાંધી વીઘાકોટ કિલ્લાની મુલાકાત લઈ જવાનો સાથે દિવસ ગુજાર્યા બાદ ૧૯૬૫ ના ભારત પાકિસ્તાન યુધ્ધની યાદગીરીમાં બી.એસ.એફ ના વોર મેમોરિયલની મુલાકાત લઈ ત્યાં પણ જવાનોને રાખી બાંધી હતી.
વિધિએ રક્ષાબંધનના દિવસે દેશની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લઈ જવાનોને રાખડી બાંધી હતી. ત્યારબાદ લખપત પાસે આવેલ ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતેના જવાનોને રાખડી બાંધી હતી.આની માટે વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા તમામ મંજૂરી આપવામાં આવી હતી.વિધિએ બે દિવસ દેશના સૈનિકો સાથે રક્ષાબંધન પર્વ મનાવ્યું હતું.
વિધિ દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે તેનો પરિવારને આશ્વાસન પત્ર લખી રૂા. પાંચ હજાર મોકલી આપે છે. અત્યાર સુધી આવા ૨૯૫ શહીદ સૈનિકોના પરિવારને વિધિએ રૂ.૫૦૦૦ હજાર અને પત્રો લખી મોકલ્યા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલ ૪૦ જવાનોના તમામ પરિવારને પત્ર લખી, દરેક પરિવારને રૂા.૧૧ હજાર મોકલી તેઓ સાથે ટેલીફોનીક સંપર્ક કરી વાતચીત કરી છે .આમ કુલ ૨૯૫ શહીદ સૈનિકના પરિવારોને આર્થિક મદદ કરી છે.તેમજ આ તમામ શહીદ પરિવાર સાથે રોજે રોજ ફોન કે વોટસએપ દ્વારા વાતચીત કરી તેમના ખબર અંતર પૂછે છે . તેમના નાના બાળકો સાથે પણ વાતચીત કરે છે .
આ શહીદ પરિવારો પૈકી તેણે ૧૧૨ થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે.ઉરી ખાતે થયેલ હુમલાના તમામ શહીદ પરિવારોની વિધિ જાદવ રૂબરૂ મુલાકાત લઈ ચુકી છે.આ શહિદ પરિવારોમાંથી ૧૦ શહિદ પરિવારોએ તેના નડિયાદના ઘરની મુલાકાત પણ લીધી છે. વિધિએ અત્યાર સુધીમાં જુદા જુદા રાજયોમાં ૧૦ શહીદોની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે. વિધિ અત્યાર સુધી ગુજરાત – રાજસ્થાનની કુલ -૪ બોર્ડરોની મુલાકાત તહેવારો દરમ્યાન લઈ ચુકી છે.
દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે,નડિયાદની આ દીકરીને
આ પણ વાંચો : BSFએ બતાવી માનવતા, કેન્સરની સારવાર માટે સરહદ પાર કરતા પકડાયેલા પતિ-પત્નીને બાંગ્લાદેશને પરત સોંપ્યા
આ પણ વાંચો : Funny Video : બહેને ભાઈને બાંધી અનોખી રાખડી, ભાઈએ પણ આપી બહુ કિંમતી ભેટ, વીડિયો જોઈને લોકોએ કહ્યું – ‘જૈસે કો તૈસા’