Gujarat Mucormycosis Update: ગુજરાતના 7 શહેર-જિલ્લામાં શુક્રવારે મ્યુકરમાઇકોસિસના 89 નવા કેસ અને 3 મોત થયા
ગુજરાતના ૭ શહેર-જિલ્લામાં શુક્રવારે મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) ૮૯ નવા કેસ અને ૩ મોત નોંધાયા છે.
ગુજરાતના ૭ શહેર-જિલ્લામાં શુક્રવારે મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) ૮૯ નવા કેસ અને ૩ મોત નોંધાયા છે. આંખ, દાંત અને જડબાં કાઢી લેવાના લીધે લોકોને જોવા અને ખાવા લાયક પણ રહેવા ન દેતા મ્યૂકરના રોગનો ખૌફ કોરોના કરતા પણ વધારે જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરના અસારવાની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શુક્રવારે મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) ૨૫ જેટલા નવા કેસ સાથે ૨ દર્દીના મોત (Death) થયાં છે. તેની સાથે જ સિવિલ, સોલા સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલમાં મ્યૂકરથી અત્યાર સુધીમાં કુલ ૫૫ દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં અત્યારે ૫૫૬ દર્દીઓ મ્યૂકરની સારવાર લઈ રહ્યા છે.
સુરત શહેરમાં શુક્રવારે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મ્યૂકરના કુલ ૧૨ નવા કેસ સાથે એક દર્દીનું મોત નિપજ્યું છે. તેની સાથે સુરતમાં હાલ ૨૪૭ દર્દી દાખલ, અત્યાર સુધીના કુલ કેસ ૪૯૪ અને કુલ મોતની સંખ્યા ૨૭ થઇ છે. આ તરફ વડોદરામાં મ્યુકરમાઇકોસિસના ૨૦ નવા કેસ નોંધાતા અત્યારસુધીના કુલ ૩૨૭ દર્દીઓ રજિસ્ટર થયાં છે.
સૌરાષ્ટ્રમાં મ્યૂકરના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે શુક્રવારે રાજકોટમાં નવા ૨૧ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૬૬૧, જામનગરમાં નવા ૬ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૫ થઇ, તેવી જ રીતે જૂનાગઢમાં ૪ નવા કેસ અને અમરેલીમાં એક નવો કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાના (Corona) કેસની વાત કરવામાં આવે તો, 18 જિલ્લામાં કોરોનાથી એક પણ મોત નહીં, જ્યારે સાજા થવાનો દર વધીને 93.36 ટકા થયો. આ સ્થિતિ છે રાજ્યમાં કોરોનાની. રાજ્યમાં સતત પોઝિટિવ કેસ ઘટી રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ નીચે આવી રહ્યો છે.
પાછલા 24 કલાકમાં 2,521 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 27 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયા, તો 7,965 દર્દીઓ સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 7 લાખ 50 હાજરને પાર પહોંચી છે. કુલ મૃત્યુઆંક 9,761 પર પહોંચ્યો છે. જોકે રાજ્યમાં 43 હજાર 611 એક્ટિવ કેસ છે, જ્યારે 562 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 93.36 ટકાને પાર પહોંચ્યો છે.