Gujarat Monsoon 2021: બંગાળની ખાડીમાં ઉદ્દભવનારી વરસાદી સિસ્ટમ લાવશે ધમાકેદાર વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ
નૈઋત્યના ચોમાસાને લાગેલી મોન્સૂન બ્રેક આજથી હટી જશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી થશે
Gujarat Monsoon 2021: વર્ષ 2021ના નૈઋત્યના ચોમાસા ને મોન્સૂન (Monsoon) બ્રેક લાગી છે જેને કારણે નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાન , પંજાબ, હરિયાણા , દિલ્હીમાં આગળ વધી શક્યું નથી સાથે જ ગુજરાત(Gujarat)માં પણ છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યમાં વરસાદ(Rain)ની ઘટ જોવા મળી રહી છે પરંતુ નૈઋત્યના ચોમાસાને લાગેલી મોન્સૂન બ્રેક આજથી હટી જશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી થશે.
બંગાળની ખાડી(Bay of Bengal)માં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે જે આગામી 11 તારીખ સુધીમાં સર્જાઈ જશે. આ હવાના હળવા દબાણને કારણે ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે જેને કારણે રાજ્યમાં નોંધપાત્ર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ રાજ્ય પર સક્રિય સિસ્ટમની અસરને કારણે ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્ર-કચ્છને સારો વરસાદ મળે તેવું અનુમાન હવામાન વિભાગના અધિકારીઓ લગાવી રહ્યા છે.
બંગાળની ખાડીમાં સક્રિય થનાર હવાના હળવા દબાણ જેને લો પ્રેસર પણ કહેવામાં આવે છે તેની સાથે વધુ એક સિસ્ટમ પણ ગુજરાતને અસર કરશે જેને કારણે 10મી જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 10 અને 11મી જુલાઈએ વરસાદનું જોર વધારે રહેશે જેને કારણે હવામાન વિભાગ દ્વારા 10મી જુલાઈ એ દક્ષિણ ગુજરાતના ડાંગ , વલસાડ, નવસારી, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
11મી જુલાઈએ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જેને કારણે ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ , મહીસાગર, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 12 અને 13મી જુલાઈએ પણ આ જ પ્રકારની સ્થિતિ રાજ્યભરમાં યથાવત રહેશે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે.
છેલ્લા 15 દિવસથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી હતી અને વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ હતો પરંતુ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાના સાથે જ ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ દૂર થઈ જશે અને રાજ્યમાં વરસાદની ઘટ પણ.