
આજે 27 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
મહારાષ્ટ્ર સરકારના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, તેમની સરકાર સત્તામાં આવી ત્યાર બાદ, મુંબઈની સ્થિતિમાં સુધારો થયો છે અને શહેર સારું કામ કરી રહ્યું છે. કેટલાક લોકોને આનાથી મુશ્કેલી થઈ રહી છે, તેથી અમે તેના વિશે કંઈ કરી શકતા નથી.
ભાવનગરના મહુવા સરકારી હોસ્પિટલમાં દસથી વધુ દર્દીઓને રીએક્શન આવ્યા છે. દર્દીના સગાઓએ આક્ષેપ કર્યો છે રે, દર્દીઓને ચડાવેલ બોટલ તથા સિરિન્જ ક્ષતિગ્રસ્ત હોવાથી રિએકશન આવ્યું છે. જો કે. હોસ્પિટલના ફરજ પરના ડોકટરે, દર્દીઓને અપાયેલ DNSનું રીએક્શન આવ્યું હોવાનું જણાવ્યું છે. આ ઘટનાને લઈને દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. બે દર્દીને ગંભીર હાલતમાં અન્યત્ર ખાનગી હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગતો પણ સામે આવી છે.
બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર અનાદલિબ ઈલિયાસે કહ્યું છે કે વડાપ્રધાન શેખ હસીના દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા જઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમ શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.
શામળાજીના વેણપુર પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોચી છે. શામળાજીના વેણપુર પાસે નેશનલ હાઇવે પર ડિવાઇડર સાથે ટક્કર થયા બાદ કાર ફંગોળાઈ હતી અને અન્ય લેનમાં જઈ બીજી કારને પણ એડેફેટે લીધી હતી. શામળાજી પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
કડીની માઇનોર કેનાલમાં નાહવા પડેલા બે મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે. કડીના થોળ રોડ પર રંગપુરડા નજીકની કેનાલમાં આ ઘટના બની છે. બુડાસણના યુવકો કેનાલમાં નાહવા પડ્યા હતા. ભદ્રેશ ભરતભાઈ ચૌહાણ અને સંતોષ વિક્રમભાઈ દંતાણી કેનાવમાં ડૂબી જવાથી મોત થયુ છે. સ્થાનિક તરવૈયાઓ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
કચ્છના દરિયાકાંઠે અવારનવાર બિનવારસી ચરસના પેકેટ મળી આવે છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સ્ટેટ આઈબી અને મરીન પોલીસના પેટ્રોલિંગ દરમિયાન 10 પેકેટ ચરસના મળ્યા છે. સૈયદ સુલેમાનપીર દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળ્યા છે. સ્ટેટ આઈબી અને મરીન પોલીસે, બિનવારસી ચરસના પેકેટ કબજે કરીને વધુ કાર્યવાહી કરી છે.
વડોદરામાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા યુવાન-યુવતીઓ બાદ હવે જુગાર રમતા મહિલા અને પુરુષ ઝડપાયા છે. વાસણા ભાયલી રોડ પર અર્થ આર્ટિકા સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 4 પુરુષ અને 4 મહિલા ઝડપાઇ છે. પકડાયેલા મહિલા અને પુરુષ પાસેથી રોકડ રકમ, કલર કોઈન અને 7 મોબાઈલ મળી આવ્યા છે. સાથોસાથ વિદેશી દારૂની ત્રણ બોટલ પણ મળી આવી છે. જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા આ આઠેય સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી છે. નર્મદા બંધમાં હાલ પાણીની આવક 85,870 ક્યુસેક થઈ રહી છે. હાલ જળાશયમાં 3570 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરની છે. સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેમમાં પાણીની પૂરતી આવક સતત રહેતા તમામ rbph અને chph પાવર હાઉસ ચાલુ કરાયા છે. પાવર હાઉસ ચાલુ થતા રોજની 2.85 કરોડની વીજ ઉત્પાદનથી ગુજરાત સરકારને આવક થઈ રહી છે.
કચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં નાહવા પડેલા ચાર જણા તણાઈ ગયા હતા. તણાયેલા ચારમાંથી બે કિશોરના મોત થયા છે. જ્યારે એક કિશોરને બચાવી લેવાયો છે. જો કે દરિયામાં તણાયેલ ચોથી વ્યક્તિ હજુ પણ લાપત્તા હોવાનું કહેવાય છે. બનાવની જાણ થતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં આવેલ માનગઢ હિલ પર આવેલા પ્રવાસીઓને એક અલગ જ અનુભવ થયો હતો. વડોદરાથી માનગઢ હિલ વિસ્તારમાં પ્રવાસે પહોંચેલ મહિલાઓ સહિતના ગ્રુપને એક એવી વ્યક્તિએ ગાઈડ કર્યા હતા કે તેઓ આશ્ચર્ચ અનુભવવા લાગ્યા હતા. જે વ્યક્તિએ તેમને વિસ્તાર અને માનગઢ સહિતની માહિતી સાથે બતાવી હતી એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ રાજ્યના શિક્ષણ પ્રધાન છે. શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે પ્રવાસીઓને માહિતી સાથે વિસ્તારને બતાવ્યો હતો.
પ્રવાસીઓ આમ તો માહિતી વિના જ પરત ફરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન જ પ્રધાન ડીંડોરની મુલાકાત થઈ હતી. માહિતી સાથએ વિસ્તારને બતાવ્યા બાદ તેઓએ પોતાની ઓળખ આપતા જ પ્રવાસીઓ દંગ રહી ગયા હતા. પ્રધાન ડીંડોરે કહ્યુ હતુ તે, પોતાની પાસે રહેલી માહિતી આપવી જોઈએ અને જ્ઞાનની આપલે થવી જોઈએ. અગાઉ પ્રધાન ડીંડોર પ્રોફેસર તરીકે સાબરકાંઠાના તલોદમાં ફરજ બજાવી ચૂક્યા છે.
વડોદરાના માંજલપુરમાં મુખ્યપ્રધાન આવાસ યોજનામાં મકાન અપાવવાનુ કહીને છેતરપિંડી આચરનારો શખ્શ ઝડપાયો છે. માંજલપુર પોલીસે 2 આરોપીઓ સામે ગત 13 ઓગષ્ટે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. માંજલપુર વિસ્તારમાં એક પરિવારને ઘરનુ ઘર મુખ્ય પ્રધાન આવાસ યોજનામા અપાવવાનુ કહીને છેતરપિંડી આચરી હતી. 7.67 લાખ રુપિયાની રકમ દસ્તાવેજ ખર્ચ સહિતના પેટે લઈને છેતરપિંડી આચરી હતી.
આરોપી શખ્શે બનાવટી પહોંચ અને ફાળવણી પત્ર આપીને છેતરપિંડી કરી હતી. પોલીસે ભરત ગજ્જર નામના શખ્શને ઝડપીને જેલના હવાલે કર્યો છે. જ્યારે દિલીપ જોષી નામના વધુ એક શખ્શની શોધખોળ શરુ કરી છે. પોલીસે આવાસ યોજનાના નામે લોકોને છેતરનારી આ ટોળકીને લઈ પૂછપરછ શરુ કરી છે અને અન્ય કોઈને આ પ્રકારે શિકાર બનાવ્યા હતા કે, કેમ તેની પણ તપાસ શરુ કરી છે.
રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદના (Rain) કોઈ એંધાણ નથી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર થશે. ત્યાર બાદ બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે. જેના પરિણામે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઓગસ્ટ મહિનામાં સરેરાશ બે ઈંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે.
જગતના તાત એવા ખેડૂતની. કે જે હાલ પરેશાન છે. અને તેનું કારણ છે પાક ને નુકશાન. જુલાઈમાં પડેલા વધુ વરસાદ અને ઓગસ્ટમાં પડેલા નહિવત વરસાદ ના કારણે કેટલાક ગામના ખેડૂતોના પાક નાશ પામી ગયા છે. અમદાવાદ જિલ્લાના છેવાડે આવેલા કેટલાક ગામોના ખેડૂતો ના પાક પણ નાશ પામી ગયા છે. જે ખેડૂતોને હાલ રડવાનો વારો આવ્યો છે.
મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોટલમાં આગ લાગી હતી. ભીષણ આગને કારણે 3 લોકોના મોત થયા છે. આગ લગભગ 1 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. અનેક ફાયરની ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે.
વલસાડના પારડીમાં એક નકલી જ્યોતિષે પરિવારને પોતાની જાળમાં ફસાવીને ચિટીંગ કર્યાનુ સામે આવ્યુ છે. ઢોંગી જ્યોતિષે પારડી વિસ્તારના એક પરિવારને પોતાની વાતોની જાળમાં ફસાવી લીધુ હતુ. નકલી જ્યોતિષે પરિવારને તમારા ઘરમાં ગુપ્ત ધન દટાયેલુ હોવાનુ જણાવ્યુ હતુ. જ્યોતિષ મહેન્દ્ર જોષી પરિવારના ઘરે આવ્યો હતો. આ સમયે ઘરના મોભી ઘરે હાજર નહોતા અને પરિવારના અન્ય સભ્યોને ઘરમાં ગુપ્ત ધન હોવાની વાત કરી હતી. જો 105 દિવસમાં તે નહીં નિકાળો તો મોટુ નુક્શાન થવાનો ભય બતાવ્યો હતો.
વર્ષ 2018માં સૌ પ્રથમવાર આ જ્યોતિષ આવ્યો હતો અને તેણે આ જાળ બિછાવી હતી. ઘરની પાછળથી તાંબાના લોટા નિકાળ્યા હતા અને આ રીતે જાળમાં ફસાવ્યા હતા. ઘરમાં રહેલ ગુપ્ત સોના-ચાંદીના ધનને નહિં નિકાળવાથી નુક્શાન થવાની વાત કરી હતી. આ માટે મહેન્દ્ર જોષીએ અમદાવાદના સાગર જોષીને મળવાનુ કહ્યુ હતુ. આ માટે તાંત્રીક વિધી કરવાનો ઉપાય બતાવ્યો હતો અને વિધી માટે થઈને ટુકડે ટુકડે 91 લાખ કરતા વધારે રકમ પડાવી લીધી હતી. બાદમાં આરોપીએ જ્યોતિષે 6 લાખ રુપિયા પરત કર્યા હતા. પારડી પોલીસે બે જ્યોતિષ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. જેમાંથી એક જ્યોતિષ સાગર જોષીની ધરપકડ કરવામાં આવી છે.
કચ્છના માંડવીમાં ગઇ કાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઇ હતી. પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇ કાલે 2 શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા. થેલામાં અંદાજિત 50 લાખના દાગીના હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
મહત્વનું છે, પોલીસની શોધખોળમાં દાગીના ભરેલો એક થેલો મળી આવ્યો છે. હાલ, તો પોલીસે ફરાર 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સરેઆમ આ પ્રકારે વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. તો, તસ્કરોના વધતા ત્રાસ સામે પોલીસ કડક પગલાં લે તેવી માગ કરાઈ છે.
હરિયાણાના નુહમાં નલહર મંદિરના 200 મીટર પહેલા લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. CRP અને ITBPના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મંદિર તરફ જવાની પરવાનગી નથી.
G20 બિઝનેસ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ભારતમાં વિશ્વની સૌથી યુવા પ્રતિભા છે. ભારત સાથેની તમારી મિત્રતા જેટલી મજબૂત હશે તેટલી જ બંનેને વધુ સમૃદ્ધિ મળશે. કોવિડ દરમિયાન ભારતે વિશ્વનો જીવ બચાવ્યો. ભારતે 150 થી વધુ દેશોને રસી આપી. વિશ્વને ભારતની રસી પર વિશ્વાસ છે.
પશ્ચિમ બંગાળના દત્તપુકુરમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. વિસ્ફોટના કારણે અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે.
મન કી બાતમાં પીએમ મોદીએ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સને લઈને ખેલાડીઓ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણા યુવાનો રમતગમતના ક્ષેત્રમાં નવી સફળતાઓ હાંસલ કરી રહ્યા છે. ચીનમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં આપણા ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. આ ટુર્નામેન્ટમાં દેશના ખેલાડીઓએ 26 મેડલ જીત્યા હતા જેમાંથી 11 ગોલ્ડ મેડલ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે G20 સંબંધિત 200 બેઠકો થઈ છે. જી20 ઈવેન્ટમાં 1.5 કરોડ લોકો જોડાયા હતા. G20 ઈવેન્ટને સફળ બનાવવાની છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતની દીકરીઓ હવે અંતરિક્ષને પણ પડકાર આપી રહી છે. જ્યારે દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય છે તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરી રહ્યા છે. ચંદ્રયાન 3ની સફળતાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું છે કે ભારતે મેળવેલી આ સફળતાએ સાવનનો ઉત્સાહ બમણો કરી દીધો છે. તેમણે કહ્યું કે ચંદ્રયાનને ચંદ્ર પર પહોંચ્યાને ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેની જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે.
મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચંદ્રયાન મિશનના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. ચંદ્રયાન એ નવા ભારતનું પ્રતીક છે.
Surat : સુરતમાં વધુ એક નાગરિકોની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. સુરતના કોસાડમાં કોઇપણ પ્રકારના ભય વિના બસ સામે બાળકો મારામારી કરતા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે સહેજ માટે દુર્ઘટના ટળી હોય. જો બસ ચાલકે બ્રેક ન મારી હોત તો ઝઘડી રહેલા બાળકોનું ટોળુ બસ સાથે અથડાતુ અને વધુ એક અકસ્માત સર્જાઇ જતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે આટલી ઘટનાઓ બાદ પણ કેમ લોકો અટકતા નથી .કેમ BRTS રૂટને ટાઇમપાસનો રૂટ સમજી બેઠા છે.
ઘણા સમયથી સુરતમાં ‘BRTS’ રૂટમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સામે આવેલા બેદરકારીના આ દ્રશ્યો ચાડી ખાય છે કે ‘BRTS’ બસના ડ્રાઇવરનો જ વાંક નથી હોતો, ક્યાંક નાગરિકો પણ પોતાની ફરજ ચૂકી રહ્યા છે. કોઇને કોઇ જ ભય નથી. કોઇને જાણે કે મોતનો કોઇ જ ડર ન હોય તેવુ લાગી રહ્યુ છે. જો આવી જ બેદરકારી દાખવવામાં આવે તો સ્વાભાવિક છે કે અકસ્માતો સર્જાઈ શકે છે. ત્યારે તંત્ર કાયદા અને કાર્યવાહીનો ડંડો ઉગામે તે પહેલા નાગરિકો પોતાની જવાબદારી સ્વીકારે અને સુધરે. અન્યથા તંત્ર પર દોષનો ટોપલો ઢોળવાથી કોઇનો જીવ નહીં બચી જાય.
મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે બ્રજ મંડળની નૂહની મુલાકાત પર કહ્યું છે કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. મંદિરોમાં જલાભિષેકની છૂટ આપવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ યાત્રાને મંજૂરી આપવામાં આવી નથી.
રાજકોટના જામનગર રોડ પર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના જલારામ હોટલ નજીકની બની હોવાનું સામે આવ્યુ છે. જ્યાં 3થી 4 શખ્સોએ મળીને પ્રકાશ સોનારા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. મૃતક ખંઢેરી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપીઓ પણ ખંઢેરી ગામના જ હોવાનું અનુમાન છે. અંગત અદાવતમાં આરોપીઓ પ્રકાશ સોનારાની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
GST department raids : રાજ્યભરમાં સ્ટેટ જીએસટીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તમાકુના વેપારીઓની પેઢીઓમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. જેમાં મહેસાણા, ઊંઝા, સુરત, વલસાડ, રાજકોટ સહિતના શહેરોમાં 39 પેઢીના કુલ 58 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
Amit Shah : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ગાંધીનગરમાં અમિત શાહના અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની (Western Zonal Council meeting) બેઠકમાં અમિત શાહ હાજરી આપશે. તેમજ આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના મુખ્યપ્રધાનો હાજરી આપશે.
નૂહ હિંસા કેસમાં હરિયાણા પોલીસે ફિરોઝપુર ઝિરકાથી કોંગ્રેસના ધારાસભ્ય મમન ખાનને નોટિસ મોકલી છે. તેમને 30 ઓગસ્ટે તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Bhavnagar : ભાવનગરના મહુવા નજીક માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલણ નદીમાં નહાવા ગયેલા યુવકોમાંથી 2 યુવકના મૃતદેહ મળ્યા છે. જ્યારે ફાયરના જવાનો અને તરવૈયાઓ બે ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. તમામ યુવાનો મહુવાના રૂપાવટી ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
છેલ્લા કેટલા સમયથી રાજ્યમાં અસામાજીકતત્વોનો આતંક વધી ગયો છે. ત્યાં સુરતમાં નાગરિકોની રંજાડનું કારણ બનેલા, રાજા રજાડીની સાન આખરે પોલીસ ઠેકાણે લાવી છે. ગઇકાલે જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરીને ભયનો માહોલ ઉભો કરનાર રાજા રજાડીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ બંને ઈસમોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બંને આરોપીઓના આતંકથી લોકોમાં ભય જોવા મળ્યો હતો. જ્યાં ભયનું સામ્રાજ્ય ઉભુ કર્યું ત્યાં જ પોલીસે આરોપીઓની સરભરા કરી હતી. અને બંનેને સાથે રાખીને સ્થળ તપાસ પણ કરી હતી. જુઓ આરોપીઓના ચહેરા, જે હાથમાં હથિયાર હતા તે હાથમાં હથકડી છે.
યુક્રેનની રાજધાની કિવ પાસે બે L-39 કોમ્બેટ ટ્રેનર એરક્રાફ્ટ હવામાં અથડાતા ત્રણ પાઈલોટના મોત થયા હતા. આ ઘટના કોમ્બેટ મિશન દરમિયાન બની હતી.
અમેરિકાના ફ્લોરિડામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે વંશીય રીતે પ્રેરિત હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે તેની પણ હત્યા કરવામાં આવી છે.
Published On - 6:16 am, Sun, 27 August 23