Cyclone Tauktae : તાકાતવર તૌકતે સામે ટક્કર લેવા ગુજરાતે કરી તૈયારી, જાણો કયા, કેટલી કરાઈ કામગીરી ?
Gujarat Weather Today : અરબી સમુદ્રમાં બનેલ વાવાઝોડુ તૌકતે, સૌરાષ્ટ્ર- કચ્છમાં ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગે કરેલી આગાહીને લઈને ગુજરાતનું વહીવટીતંત્રે આગોતરી તૈયારીઓ આદરી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં વાવાઝોડાની અસર ખાળવા માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે.
વાવોઝોડુ તૌકતે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ત્રાટકે તેવી સંભાવનાને ધ્યાને લઈને, રાજ્યના વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠો ધરાવતા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રે કામગીરી હાથ ધરી છે. મહેસુલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બંદર તેમજ અને મત્સ્યદ્યોગ વિભાગે તેમના વિભાગને લગતી કામગીરીઓ શરૂ કરી દીધી છે. તો જિલ્લા કલેકટર કક્ષાએ આ બધા વિભાગો વચ્ચે સંકલન કરીને કંટ્રોલરૂમ શરૂ કરવાની પણ તૈયારીઓ કરી દીધી છે.
ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકે તે પૂર્વે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓને લઈને, રાજ્ય સરકારે NDRFની 18 ટીમ સ્ટેન્ડ બાય રખી છે. ભારેથી અતિ ભારે વરસાદ અને વરસાદ બાદ ઉભી થનારી ગમે તેવી સ્થિતિમાં પહોચી વળવા માટે NDRFની 18 ટીમને કહેવાઈ ગયુ છે.
કચ્છ- તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાઓને પગલે કચ્છનુ વહીવટી તંત્ર એલર્ટ કરી દેવાઈ છે. દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશિંગ બોટ પરત બોલાવામાં આવી છે. જખૌ બંદર પર આજે વધુ 39 બોટ પરત ફરી ગઈ છે. કંડલા બંદર પર 198 બોટ પરત ફરી છે. હજુ પણ 53 જેટલી ફિશીગ બોટ દરિયામાં છે, જે આજે મોડી સાંજ સુધી પરત આવશે.
અમરેલી અમરેલીમાં તો વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેમ વાતાવરણમાં ફેરફાર થવા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારી તાલુકાના સુખપુર, ગોવિંદપુર, સહિતના અન્ય ગામોમાં વરસાદી માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી બાજુ ધારી ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધારી, સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુરના દરિયામાં હેલિકોપ્ટરથી સાયરન વગાડીને દરિયો ખેડવા ગયેલા માછીમારોને સાવચેત કરવાની સાથે તેમને પરત ફરવા માટે આદેશ કર્યો છે. ગુજરાત કોસ્ટગાર્ડના હેલીકોટર ઉડાડીને સાયરન વગાડી માછીમારોને સમુદ્રમાં નહિ જવા અને ગયેલા માછીમારોને દરિયા કિનારા પર પરત આવી જવા સૂચના આપવામાં આવી છે. પોરબંદરનું માધવપુર ગામ સમુદ્ર કિનારે વસેલુ ગામ છે. આ ગામ મુખ્યત્વે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાથી વાવાઝોડાથી સંભવિત નુકસાનીનો ભય રહેલો છે. માછીમારોને વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ના થાય તે માટે માછીમારી બોટ- હોડી સલામત સ્થળે ખસેડી લેવા માછીમારોને તાકીદ કરવામાં આવી છે. હવે કોઈ માછીમારોને બીજી સુચના ના મળે ત્યા સુધી દરિયા ના ખેડવા આદેશ અપાયો છે. પોરબંદર જિલ્લા હસ્તકના બંદર ઉપર ભયસૂચક એક નંબરનું સિગ્નલ લગાવાઈ દેવાયુ છે.
ભાવનગર આગામી 18થી 20 મે વચ્ચે અરબી સમુદ્રમાંથી તૌકતે વાવાઝોડા ભાવનગર સહીત સૌરાષ્ટ્ર ક્ચ્છના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જેના પગલે, બંદર વિભાગે ભાવનગર ઘોઘા બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દીધુ છે.
મોરબી મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદર ઉપર, સંભવિત તૌકતેના ત્રાટકવાની આગાહીને લઈને, 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લામા સંભવિત વાવાઝોડાની અસર નહિવત થવાની શક્યતા છે. છતા વહીવટીતંત્ર કોઈ કચાશ રાખવા માંગતુ નથી.
ગીરસોમનાથ અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને, વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ નંબંર 1 લગાવાયુ છે. અને માછીમારોને દરીયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના આપી દેવાઈ છે.