Gujarat : હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, 15 તાલુકામાં 4 ઇંચથી 20.5 ઇંચ વરસાદ નોંધાયો, જામનગરમાં જળબંબાકાર
હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
રાજયમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે : હવામાન વિભાગ
હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તમામ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમોને સ્ટેન્ડબાયના આદેશ આપવામાં આવ્યા છે. અને જિલ્લા સ્તર પર વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે.
છેલ્લા 24 કલાકમાં અહીં નોંધાયો સારો વરસાદ
સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાં મેઘરાજાની જમાવટ રહી હતી. રાજ્યના કુલ 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 90 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યના 15 તાલુકાઓમાં 4 ઇંચથી 20.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકાઓમાં 8 ઇંચથી 20.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 20.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર કાલાવડમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં 9 ઇંચ વરસાદ ખાબકયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં 7.75 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે રાજકોટના ગોંડલ અને પડધરીમાં 7-7 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેર જિલ્લામાં પણ 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ
ભારે વરસાદને પગલે જામનગર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં સૌથી વધુ કાલાવડમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી. અને પાછલા 12 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. તો ભારે વરસાદને પગલે ગ્રામ્યના 36 ગામડાઓમાંથી કુલ 150 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. તો એરફોર્સની ટીમોએ 56 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. સાથે જ જામનગર શહેરમાં 1500 લોકોનું સ્થળાંતર કરાયું. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 26 ડેમમાંથી 17 ડેમ ઓવરફ્લો થયા છે.
તો ભારે વરસાદને તારાજી પણ સર્જી છે. જામજોધપુરમાં કોઝ વે પરથી પસાર થતા કાર તણાઇ અને દંપતિનું મૃત્યુ નિપજ્યું. જ્યારે 19 જેટલા પશુઓના પણ મોત થયા છે. સ્થિતિને જોતા જામનગરમાં, NDRFની 2 ટીમો, SDRFની 1 ટીમ, નેવીની 4 ટીમો, ફાયર વિભાગની 6 ટીમો, કોસ્ટગાર્ડની 1 ટીમ, એરફોર્સની 6 ટીમો તથા અમદાવાદ ફાયર વિભાગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.