Gujarat સરકારનો મહત્વનો નિર્ણય, રજીસ્ટર્ડ ગૌશાળાને પશુ દીઠ રૂપિયા 30ની સહાય અપાશે
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ(Jitu Vaghani)જણાવ્યુ છે કે, ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાને(Gausala) પશુ દીઠ રૂપિયા ૩૦ની સહાય 1 એપ્રિલ-૨૦૨૨થી આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં (Gujarat) રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા એક મહત્વના નિર્ણય મુજબ રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાને(Gausala) પશુ દીઠ રૂપિયા ૩૦ની સહાય 1 એપ્રિલ-૨૦૨૨થી આપવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ(Jitu Vaghani)જણાવ્યુ છે કે, ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આ નિર્ણય કર્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની વિગતો આપતા મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ગૌ માતા સંરક્ષણ માટે અંદાજપત્રમાં રૂપિયા 500 કરોડની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. જેમાં રજીસ્ટર્ડ પાંજરાપોળોમાં 4.42 લાખથી વધુ પશુધન છે તેઓને સહાયરૂપ થવા આ નિર્ણય કરાયો છે.
પાંજરાપોળોમાં બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટે પણ રૂ.2 કરોડની સહાય અપાશે
આ ઉપરાંત પાંજરાપોળોમાં ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટે પણ રૂ.2 કરોડની સહાય અપાશે. જેમાં 14 એકર જમીન તથા 1000 થી વધુ પશુ નિભાવ હોય તેને આ યોજનાનો લાભ મળશે. આ નિર્ણયને પરિણામે સાધુ-સંતો, પાંજરાપોળના સંચાલકો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન પણ આગામી સમયમાં કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે ચણા પકવતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આ વખત ચણાની ટેકાના ભાવે બમ્પર ખરીદી પણ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને રૂ. 1481 કરોડની ચૂકવણી પણ કરી દેવાઈ છે અને જરૂર પડે ટેકાના ભાવે વધુ ચણાની ખરીદી ખેડૂતોના હિતમાં કરવામાં આવશે.
મહેસૂલ વિભાગ દ્વારા 24 જેટલા જમીનોને લગતા ઈનામી કાયદાઓમાં નોધપાત્ર સુધારાઓ
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, મહેસૂલ વિભાગ દ્વારા 24 જેટલા જમીનોને લગતા ઈનામી કાયદાઓમાં નોધપાત્ર સુધારાઓ કર્યાં છે. જેના પરિણામે ખેડૂતોના નવી શરત અને જૂની શરતના મોટા ભાગના પ્રશ્નો હલ થયા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની આઝાદીના 75 વર્ષની યાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જે હેઠળ દેશભરના તમામ જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણનું કામ હાથ ધરાયું છે એ ક્ષેત્રે પણ ગુજરાતમાં કામગીરી શરૂ કરી દેવાઇ છે જે માટે સંબંધિતોને સત્વરે કામો પૂર્ણ કરવા સૂચનાઓ આપી દેવાઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આગામી તા. 23 મે થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓશ્રી ગુજરાતનું ગૌરવસમા એશિયાટીક સિંહોના સંવર્ધન સંદર્ભે તથા ગિર અભયારણ્ય નેસમાં વસતા નાગરિકો, હોટલના માલિકો અને ખેડૂતો સાથે પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ કરશે. આ ઉપરાંત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમિક્ષા બેઠક યોજશે.
તેમણે ઉમેર્યુ કે તાજેતરમાં ભાજપાની ચિંતન બેઠક યોજાઇ હતી એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભો સત્વરે નાગરિકોને મળતા થાય એ માટે તમામ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓને સ્થાનિક કક્ષાએ રિવ્યુ બેઠક કરીને કામો પૂર્ણ કરવા પણ સૂચના આપી છે.
56 જેટલી સરકારી સેવાઓ ઘર બેઠાં ઉપલબ્ધ
પ્રવકતા મંત્રીએ સેવાસેતુ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યભરમાં આ કાર્યક્રમ અંતર્ગત 56 જેટલી સરકારી સેવાઓ ઘર બેઠાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સેવા સેતુના આઠમા તબક્કાના બીજા રાઉન્ડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 4,57,222 અરજીઓ પૈકી 4,57,216 એટલે કે 99.58 ટકા અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે જયારે બાકી રહેતા લાભાર્થીઓને સત્વરે લાભ પૂરા પાડવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગની માહિતી આપતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા વિભાગ-વિભાગીય તેમજ રાજ્ય સ્તરીય સંલગ્ન એપ્લિકેશન સમન્વય કરીને એક કોમન ઈન્ટિગ્રેટેડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં વિભાગીય સ્તરે કામોનું નિરીક્ષણ, શેડ એસેટ, મેનેજમેન્ટ વગેરે જ્યારે રાજ્ય સ્તરીય સંલગ્ન એપમાં ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. એકસાથે ઈન્ટિગ્રેટેડ થવાથી વિભાગ, સરકાર તેમજ નાગરિકો માટે વધુ સારી સવલતો સમયસર પૂરી પાડી શકાશે. કામ મંજુરીથી કામ પૂર્ણ થાય ત્યાં સુધીના તબક્કાઓનું સતત મોનિટરિંગ થઈ શકશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે અને જળ સંચય થાય તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 84 ટકા કામો પૂર્ણ થયા છે. જે માટે કુલ 617.44 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ વર્ષે તા. 19 માર્ચ 2022 થી જળ અભિયાનના કામોનો શુભારંભ કરાયો હતો જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ રૂ. 61,744 લાખના ખર્ચે કુલ18,790 કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી કુલ 14,217 કામો પ્રગતિ હેઠળ છે અને 1809 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.