GUJARAT : કોરોનાની બીજી લહેરમાં ખાનગી ટ્રાવેલ ઉદ્યોગને મોટો ફટકો, ટ્રાવેલ સંચાલકો બસો વેચવા મજબૂર
GUJARAT : કોરોનાકાળમાં રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગની કમર તોડી નાંખી છે. ટૂર-ટ્રાવેલ સંચાલકોના કહેવા પ્રમાણે, કોરોનાને કારણે તેમના ધંધા-રોજગારી પડી ભાંગ્યા છે.
GUJARAT : કોરોનાકાળમાં રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગની કમર તોડી નાંખી છે. ટૂર-ટ્રાવેલ સંચાલકોના કહેવા પ્રમાણે, કોરોનાને કારણે તેમના ધંધા-રોજગારી પડી ભાંગ્યા છે. જેથી રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢવામાં આવી છે. જેમાંથી 30 ટકા બસો વેચાઇ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે. કોરોનાને કારણે રાજ્યમાં 2300 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. જેમાં સૌથી વધારે અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. એકલા અમદાવાદના ટ્રાવેલ સંચાલકોને કુલ 1500 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. જેથી શહેરમાં કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચવાની ફરજ પડી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરમાં 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂક્યો છે.
62,500 વ્યક્તિના ભરણપોષણને અસર પહોંચી
અંદાજ છેકે એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિનું ભરપોષણ થાય છે. જેથી અમદાવાદમાં 250 બસો વેચાતાં 5000 વ્યક્તિએ નોકરી ગુમાવી પડી છે. એટલું જ નહીં 2500માંથી 50 ટકા બસો વેચવા કાઢતાં હાલ 62,500 વ્યક્તિના ભરપોષણને અસર પહોંચી છે. સાથે જ સરકાર દ્વારા છ મહિનાના ટેક્સના રાહતમાં પણ કોઇ ફાયદો થયો નથી.
એક બસ બંધ રહે તો કેટલો ખર્ચ ?
જો એક બસ બંધ પડી રહે એટલે કે પાર્કિંગમાં ઊભી રહે તો મહિને 21 હજારથી લઇ 39 હજાર રૂપિયા સુધીનો ખર્ચનો અંદાજ છે. જેમાં RTO ટેક્સ, 7000 વીમો, 20000 ડ્રાઇવર-ક્લિનર, બેંક હપ્તો, કર્મચારીના પગાર, જીએસટી, 3500 બસ પાર્કિંગ ચાર્જ સહિત અન્ય વ્યવહારોનું આર્થિક ભારણ રહેતું હોય છે.
ઘણા બસચાલકો ફાસ્ટ ફૂડ બિઝનેસમાં જોડાયા
કોરોનાની પ્રથમ લહેરનો ફટકામાંથી હજુ ટ્રાવેલ સંચાલકો બહાર આવ્યા નથી. ત્યાં કોરોનાની બીજી લહેરથી ટ્રાવેલ સંચાલકો મુંજવણમાં મુકાયા છે. અને, ફરી ટ્રાવેલ સંચાલકોની કમર તૂટી ગઇ છે. ત્યારે સમગ્ર રાજ્યના બસ-સંચાલકોની ચિંતામાં ફરી વધારો થયો છે. તો એક અહેવાલ પ્રમાણે બસ સંચાલકો અન્ય ધંધા તરફ પણ વળી રહ્યાં છે. જેમાં ફાસ્ટફુટના બિઝનેસ સહિત અનેક ધંધામાં ટ્રાવેલ સંચાલકો નજર દોડાવી રહ્યાં છે.
50 બસ વેચી નાંખી, હજુ જરૂર પડશે તો વધું વેચીશું’
અમદાવાદના પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં બેંક લોનનું ભારણ વધતા ડિફોલ્ટરની સ્થિતિમાં 50 બસો વેચવી પડી હતી. એક વર્ષ પછી ધંધો સારો હશે તો બેંક ફરી લોન આપશે. પણ કોઇ ઉકેલ ન આવતાં સત્તાવાર જાહેરાત કરવી પડી હતી. અને, મારી કંપનીને વર્ષે 107 કરોડનું નુકસાન થતાં 1200માંથી 600 કર્મચારીઓને છૂટા કર્યા હોવાનું મને ઘણું દુ:ખ છે.